Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

પોરબંદરના આંગણે કાલથી પૂ.લાલબાપુની ઉપસ્થિતીમાં બે દિવસીય ધર્મોત્સવ : શોભાયાત્રા

રિવરફ્રન્ટ ખાતે પૂ.લાલબાપુનો સ્વાગત કાર્યક્રમ : સ્વાગત રૂટ ઉપર શણગાર : પૂ.લાલબાપુ અને પૂ. રમેશભાઇ ઓઝા સહિત સંતો ધર્મસભાને સંબોધશે : ધર્મસભાએ જવા સુદામા ચોકથી બસ વ્યવસ્થા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા. ૨૫:પોરબંદરના આંગણે આવતીકાલે ગધેથળ આશ્રમના પૂ.લાલબાપુ પધારી રહ્યા છે. પૂ.લાલબાપુની ઉપસ્થિતીમાં બે દિવસ ધર્મોત્સવનું આયોજન કરેલ છે. આ અવસરે યોજાનાર ધર્મસભાને પૂ. લાલબાપુ અને પૂ.રમેશભાઇ ઓઝા સંબોધશે. રીવરફ્રન્ટ ખાતે પૂ. લાલબાપુનો કાલે સ્વાગત કાર્યક્રમ રાખેલ છે. તથા શોભાયાત્રા સહિત કાર્યક્રમોના આયોજન થયેલ છે.

આવતીકાલે તા.ર૭ રોજ રિવરફ્રન્ટ ખાતેથી પૂજય લાલબાપુનું ભકિતરસ સાથે સ્વાગત કરવામાં આવશે.બે દિવસીય ધર્મોત્સવને લઇને સ્વાગત રૂટ સહિત શહેરને હોર્ડિંગ્સ અને બેનરથી શણગારવામાં આવ્યા છે.

તા.ર૮ ઓકટોબરના રોજ સાંજે પાંચ કલાકે રાજવી પાર્ટી પ્લોટ ખાતે ધર્મસભાનું આયોજન કરેલ છે. પૂજય લાલબાપૂ અને ભાઇશ્રી રમેશભાઇ ઓઝા સહિતના સંતો ધર્મસભાને સંબોધશે.

બે દિવસ સુધી પૂજય લાલબાપુની ઉપસ્થિતિમાં શોભાયાત્રા અને ધર્મસભા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પૂજય લાલબાપૂ અને રાષ્ટ્રીયસંત રમેશભાઇ ઓઝા ધર્મસભાને સંબોધશે.

વિશ્વમાં સુદામાપુરી તરીકે જાણિતા પોરબંદરની આ પાવન ભૂમિ ઉપર ગાયત્રી માતાના પરમ ઉપાસક અને ગધેથળ આશ્રમના પૂજય લાલબાપુ પધારી રહ્યાં છે ત્યારે પોરબંદરમાં એક ધર્મ ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. પોરબંદર રાજપૂત સમાજના પ્રમુખ અને જીટીપીએલના સૌરાષ્ટ્ર-કચ્છના ડાયરેકટર રાજભા જેઠવાના નિમંત્રણને માન આપી અને પૂજય લાલબાપૂ પોરબંદરના આંગણે પધારી રહ્યાં છે. કાર્યક્રમનું આયોજન જેઠવા રાજપૂત સમાજ અને રાજશાખા દ્વારા કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમ દરેક સમાજ, સંસ્થાઓને જોડી અને આ ધર્મ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જ્ઞાતી-જાતીના ભેદભાવ વિના આ ધર્મઉત્સવ ઉજવવામાં આવશે.

ગધેથળ આશ્રમના પરમ વંદનિય સંત સૌ પ્રથમ વખત આશ્રમની બહાર અને ખાસ કરીને પોરબંદરના આંગણે પધારી રહ્યાં છે. પૂજય લાલબાપૂના દર્શન કરવા માટે લોકો થનગની રહ્યાં છે. આગામી ર૭મીના રોજ સવારે ૯ કલાકે પૂજય લાલબાપૂ પોરબંદરની પાવન ભૂમિ ઉપર પોતાના ચરણ મુકશે. રિવરફ્રન્ટ ખાતે તેમનું ભકિતરસ સાથે સ્વાગત કરવામાં આવશે. રિવર ફ્રન્ટ ખાતેથી પૂજય લાલબાપૂ રાષ્ટ્રીય સંત રમેશભાઇ ઓઝા સહિતના સંતો, મહંતો સાથેની શોભાયાત્રા નિકળશે જે શહેરના રાજમાર્ગો પરથી પસાર થશે અને અનેક સ્થળોએ સંતોનું સ્વાગત કરવામાં આવશે. મોટી સંખ્યામાં બાઇક અને કાર સાથેની શોભાયાત્રામાં મહેર સમાજના યુવાનોનો મણિયારો રાસ તેમજ ભજનની રમઝટ બોલશે અને આ શોભાયાત્રા છાંયા દરબારગઢ ખાતે પહોંચશે જયાં વિરામ પામશે. પૂજય લાલબાપુ સહિતના સંતો, મહંતો દરબારગઢમાં બિરાજતા વિંઘ્યવાસીની માતાજીના દર્શન કરશે.

આ શોભાયાત્રા બાદ ર૭ના સાંજે પ કલાકે વાડી પ્લોટ ખાતે નવનિર્મિત રાજપૂત સમાજનું લોકાર્પણ પૂજય લાલબાપૂના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે રાજપૂત સમાજ દ્વારા પૂજય લાલબાપૂનું સ્વાગત કરવામાં આવશે. તા.ર૮મીના રોજ સાંજે પ કલાકે ઓડદર રોડ ઉપર આવેલા રાજવી પાર્ટી પ્લોટ ખાતે એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે હિન્દુ સમાજ અને મુસ્લિમ  સમાજ તેમજ સંસ્થાઓ દ્વારા પૂજય લાલબાપૂનું સ્વાગત કરવામાં આવશે. ધર્મસભાના પ્રારંભે રાજશાખા દ્વાર તિલકવિધિ કરવામાં આવશે.

આ ધર્મસભાનું લાઇવ પ્રસારણ જીટીપીએલની લોકલ ચેનલ-૯૮૩, તેમજ જીટીપીએલની રીઝીનલ ચેનલ-પપપ ઉપર લાઇવ પ્રસારણ સાંજના પાંચ વાગ્યાથી કરવામાં આવશે. આ ધર્મસભાનો દરેક લોકો ઘરબેઠા લાભ લઇ શકશે. આ ધર્મસભા માટે સુદામાચોકથી રાજવી પાર્ટી પ્લોટ સુધી બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પૂજય સંત લાલબાપૂ પોરબંદરના આંગણે પધારી રહ્યાં છે ત્યારે તેમને વંદનસાથે આવકારવા શહેરના માર્ગો ઉપર બેનર અને હોર્ડિંગ્સ લગાડવામાં આવ્યા છે.

(12:51 pm IST)