Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં વાંકિયા ખાતે તાલુકા કક્ષાનો આયુષ મેળો યોજાયો

આયુષ નિદાન સારવાર કેમ્પમાં આયુર્વેદ સર્વરોગ નિદાન સારવાર, ઉકાળા વિતરણ, રસોડાની ઔષધીઓનું પ્રદર્શન, યોગા માર્ગદર્શન, આયુર્વેદ ચાર્ટ પ્રદર્શન જેવી સેવાઓથી લોકોને માર્ગદર્શિત કરાયા: આયુષ મેળામાં મંત્રીના હસ્તે લાભાર્થીઓને આયુષ કીટ, બાલ આયુષકીટ તેમજ આયુષ્માન કાર્ડનું વિતરણ કરાયું :આયુર્વેદ ઉપચારનો સૌથી મોટો ફાયદોએ છે કે તેની કોઈ આડ અસર થતી નથી : રાધવજીભાઈ પટેલ

 (સંજય ડાંગર દ્વારા ) ધ્રોલ : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર નિયામક, આયુષ કચેરી ગાંધીનગરના માર્ગદર્શનથી અને આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત જામનગર દ્વારા જામનગર જિલ્લાના વાંકિયા ગામે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધ્યોગ, ગ્રામ વિકાસ અને ગૃહનિર્માણ વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં તાલુકા કક્ષાના આયુષ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રી રાઘવજીભાઈના હસ્તે કેમ્પની શરૂઆત કરાવવામાં આવી હતી. આ કેમ્પમાં આયુર્વેદ સારવાર અંગેના વિવિધ સ્ટોલનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અને લોકોને આયુર્વેદિક સારવાર અને તેના લાભો વિષે સમજ આપવામાં આવી હતી.
આયુષ નિદાન કેમ્પમાં આયુર્વેદ સર્વરોગ નિદાન સારવાર, હોમિયોપેથી સર્વરોગ નિદાન સારવાર, પ્રકૃતિ પરીક્ષણ, સુવર્ણ પ્રાશન, પંચકર્મ, યોગા માર્ગદર્શન, રોગ પ્રતિકારક ઔષધ વિતરણ, આયુર્વેદ ચાર્ટ પ્રદર્શન, સ્વસ્થવૃત માર્ગદર્શન, વૃધ્ધાવસ્થાજન્ય રોગોની સારવાર, ઔષધ રોપા વિતરણ,સ્વાસ્થ્યવર્ધક ઉકાળા વિતરણ, રસોડાની ઔષધિઓનું પ્રદર્શન જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. મંત્રીએ આયુષ કેમ્પની મુલાકાત લઈને લોકોને પણ આયુર્વેદ પદ્ધતિથી પોતાનો ઈલાજ કરાવવા માટે અપીલ કરી હતી.
આયુષ કેમ્પમાં મંત્રીએ જણાવ્યું  હતું કે પહેલું સુખ તે જાતે નર્યા, દરેક લોકોએ સૌ પ્રથમ પોતાના આરોગ્યની સંભાળ લેવી જોઈએ. આયુર્વેદ આપણી પ્રાચીન આરોગ્યની પધ્ધતિ છે. આ પધ્ધતિથી ઈલાજ કરવાનો સૌથી મોટો ફાયદોએ છે કે તેની કોઈ આડ અસર થતી નથી. જામનગરની ગુલાબકુંવરબા આયુર્વેદ યુનિવર્સિટી વિદેશભરમાં પ્રખ્યાત છે. વડાપ્રધાનએ ભારતની આયુર્વેદ પધ્ધતિને વૈશ્વિક સ્તરે ઓળખ આપવા માટે અનેક પ્રયાસો કર્યા છે. જેનું ગૌરવ આપણા જામનગરને મળ્યું છે. કારણકે આયુષ મંત્રાલય હેઠળ ડબલ્યુએચઓનું ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર જામનગરના ગોરધનપરમાં સ્થાપવા જઇ રહ્યું છે. અહિયાં આપણી પ્રાચીન દવાઓનું સંશોધન અને સારવાર પણ ઉપલબ્ધ થશે. આયુર્વેદ પધ્ધતિના ઉપચારથી દર્દીઓ સ્વસ્થ થયા છે અને તેમના આયુષ્યમાં પણ વધારો થયો છે. આયુર્વેદ પધ્ધતિથી સારવાર માટે જામનગર જિલ્લો વિશ્વભરમાં પ્રખ્યાત છે. દેશના નાનામાં નાના માણસને પણ તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. અને આયુષ્માન કાર્ડ, અમૃતમ કાર્ડ જેવી યોજનાઓ થકી લોકો વિનામૂલ્યે સારવાર મેળવી શકે તે દિશામાં કામગીરી કરી રહી છે. દર્દીને પોતાના જિલ્લામાં જ ડાયાલિસીસની સારવાર મળી રહે તે મારે સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે.
स्वस्थस्य स्वास्थ्य रक्षणं, आतुरस्य विकार प्रशमनं। એટલે કે વ્યક્તિને જે રોગ હોય તેની સારવાર સાથે આયુર્વેદ શરીરના એકંદર સ્વાસ્થ્યનું પણ રક્ષણ કરે છે. લોકોની જીવનશૈલીમાં ફેરફાર આવે, લોકો તંદુરસ્ત જીવન જીવે તેમજ લોકોને વિવિધ રોગો વિષેની જાણકારી અને તેના આયુર્વેદિક ઉપચાર અંગે માહિતી મળી રહે તે હેતુસર આયુષ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ત્યારે તમામ લોકોએ આયુષ કેમ્પની મુલાકાત લેવી જોઈએ. જેથી કરીને તેમનું જીવન સુધરે. જામનગર જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા અને ડોક્ટરોએ લોકોના સ્વસ્થ્યની ચિંતા કરીને લોકોના સ્વસ્થ્યમાં સુધારો આવે અને આર્યુવેદ પધ્ધતથી માહિતગાર થાય તે હેતુસર આયુષ કેમ્પનું આયોજન કરવા બદલ મંત્રીશ્રીએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. બાદમાં મંત્રીશ્રીના હસ્તે લાભાર્થીઓને આયુષ કીટ વિતરણ, બાલ આયુષ કીટ વિતરણ તેમજ આયુષ્માન કાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ગીતાબા જાડેજા, જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન જગદીશભાઈ, શિક્ષણ સમિતિના ચેરમેન લખધીરસિંહ જાડેજા, વાંકિયાના સરપંચ રમેશભાઈ ભીમાણી, પ્રાંત અધિકારી વી.ડી.સાકરીયા, જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.ફોરમ એસ.પરમાર, અન્ય ડોકટરો તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

(8:09 pm IST)