Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

પદ્માવતી પર પ્રતિબંધના નિર્ણયના મોરબીમાં વધામણા

મોરબી તા. ૨૪ : સંજય લીલા ભણસાલીના નિર્દેશનની ફિલ્મ પદ્માવતીનો સમગ્ર રાજય અને દેશમાં ભારે વિરોધ થઇ રહ્યો છે અને ફિલ્મની રીલીઝ અટકાવવાની માંગ સાથે રાજપૂત સમાજ તેમજ કરણી સેના રોડ પર ઉતરી આવી હતી ત્યારે વિરોધને ધ્યાનમાં રાખીને તેમજ વિધાનસભા ચુંટણીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો હવાલો આપીને રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ ગુજરાતમાં પદ્માવતી ફિલ્મ રીલીઝ નહિ થાય તેવી જાહેરાત કર્યા બાદ આ અંગે જાહેરનામું પણ પ્રસિદ્ઘ કરી દેવાયું છે જેને પગલે રાજપૂત સમાજમાં હર્ષની લાગણી ફેલાઈ છે.

રાજય સરકારના આ નિર્ણયને મોરબી રાજપૂત કરણી સેનાએ વધાવ્યો છે. મોરબી રાજપૂત કરણી સેનાના કાર્યકરો નહેરુ ગેઇટ ચોક ખાતે એકત્ર થયા હતા જયાં ફટાકડા ફોડી આતશબાજી કરીને સરકારના નિર્ણયને વધાવ્યો હતો અને ખુશીની લાગણી વ્યકત કરી હતી.

(12:44 pm IST)