Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

દુષ્ટતા વધે ત્યારે સજજનો લાલ આંખ કરે, ભગવાને પણ આતતાયીઓનો સંહાર કર્યો છેઃ પૂજય ભાઇશ્રી

પોરબંદર હરિ મંદિરે અધિક-પુરૂષોતમ માસની ઓનલાઇન શ્રીમદ્ ભાગવત કથા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૪ :.. દુષ્ટો જ દુષ્ટોનું સમર્થન કરે છે, માટે સંસારમાં દુષ્ટતા વધતી હોય છે. આવા સમયે સજજને પણ રૂષ્ટ બનવું જોઇએ એટલે કે દુષ્ટતાની સામે લાલ આંખ કરવી જોઇએ તો જ સજજનો સંગઠીત બની શકે. ભગવાનને પણ આતતાયીઓનો સંહાર કર્યો છે, એમ કથાકાર પૂજય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ બુધવારે અધિક-પુરૂષોતમ માસના છઠ્ઠા દિવસે શ્રીમદ્ ભાગવત કથા-જ્ઞાનયજ્ઞનાં પ્રારંભે શ્રીહરિ મંદિર-પોરબંદર ખાતેથી જણાવ્યું હતું.

પૂજય ભાઇશ્રીએ જણાવ્યું કે જયારે સોમનાથનું મંદિર તોડવા આક્રાંતાઓ આવ્યા હતા ત્યારે તેઓ અનેક હિન્દુ રાજયોમાંથી પસાર થઇને આવ્યા હોવા જોઇએ, પરંતુ આપણી સંકુચિત માનસિકતાને પગલે તેઓ ફાવી ગયા હતા. એ સમયે જો સજજનો સંગઠીત બન્યા હોત તો મંદિર તૂટતું બચાવી શકાયું હોત. આવું પુનરાવર્તન પુનઃ ન થાય તે માટે સૌએ યાદ રાખવાનું છે કે આપણી  સંસ્કૃતિ સમષ્ટિના કલ્યાણની છે, છતાં ભગવાન શ્રીકૃષ્ણે વેણુનાદ પણ કર્યો છે અને સાથોસાથ વિનાશય ચ દુષ્કૃતામ નો સંદેશો પણ શ્રીમદ ભગવદ ગીતાના માધ્યમે આપીને આતતાયીઓ યોગ્ય પાઠ ભણાવ્યો છે.

પૂજય ભાઇશ્રીએ જણાવ્યું કે આપણી સંસ્કૃતિ સર્વે સન્તુ નિરામાયા નો ઉદઘોષ કરે છે. વર્તમાન સમયમાં આપણે એકબીજાને સંભાળવાના છે. વિશેષ સાવધાની રાખવાની છે. જો કદાચ કોઇ સંક્રમીત થાય તો સંયમ અને સદભાવથી તેને સંભાળવાનો છે. બીમાર પ્રત્યે તિરસ્કારની લાગણી ન થવી જોઇએ. માત્ર હું સ્વસ્થ રહું કે સુખી રહું અને બીજા દુઃખી હોય તો મારે શું ? એવી લાગણી યોગ્ય નથી. દુષ્ટો સામે આક્રમતા જરૂરી છે, પરંતુ પરિવારમાં હાર, પરાજય સ્વીકારો. જેમ કે, પાડોશીને કોરોના થાય તો તમે પણ ખતરામાં મુકાઇ શકો છો. આપણે પૂજા વખતે ગાયત્રી  મંત્ર બોલીએ છીએ. તેમાં 'ધિયો યો નઃ' શબ્દ આવે છે. મારી એકલાની નહીં, પરંતુ અમારી બધાની બુધ્ધિને સન્માર્ગમાં પ્રેરિત કરો - એવી રીતે સંકલ્પ કરીએ ત્યારે ત્રણ વખત વિષ્ણુ શબ્દનો ઉચ્ચાર કરીએ છીએ. જે આધિ-વ્યાધિ-ઉપાધિ-એમ ત્રિવિધ તાપના નાશ માટે પ્રાર્થના કરીએ છીએ. આપણી સંસ્કૃતિ વિશ્વ કલ્યાણની સંસ્કૃતિ છે. આપણા પાડોશીની પણ કાળજી રાખવી જોઇએ.

(12:54 pm IST)