Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

થાનગઢમાં ભરવાડ નવોઢા રેખાએ ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી

બે મહિના પહેલા જ લગ્ન થયા'તાઃ બે દિવસથી ગૂમસુમ રહેતી'તીઃ રાજકોટ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ માવતર પક્ષ કહે છે દિકરીને કોઇ તકલીફ નહોતી બે ભાઇની એકની એક બહેન હતી

રાજકોટ તા. ૨૪: થાનગઢમાં વાસુકી પોટરી પાછળ રહેતી રેખાબેન ભગા મીર (ઉ.૨૩) નામની ભરવાડ નવોઢાએ ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. કરૂણતા એ છે કે બે મહિના પહેલા જ આ યુવતિના લગ્ન થયા હતાં.

રેખાબેને ગઇકાલે બપોર બાદ સાડા ત્રણેક વાગ્યે ગળાફાંસો ખાઇ લેતાં પરિવારજનો જોઇ જતાં નીચે ઉતારી બેભાન હાલતમાં રાજકોટ ખસેડી હતી. પરંતુ અહિ તેણીએ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે થાન પોલીસને જાણ કરી હતી. રેખાબેનના માવતર થાનમાં જ રહે છે. પિતાનું નામ રતાભાઇ રામભાઇ પરમાર છે. તેના પતિ ભગા મીર ખેતી કરી ગુજરાન ચલાવે છે. માવતર પક્ષના કહેવા મુજબ તેણીને કોઇ તકલીફ નહોતી. બે દિવસથી ગૂમસુમ રહેતી હતી. તેણે ખરેખર કયા કારણોસર આ પગલું ભર્યુ તે અંગે કોઇ કંઇ જાણતું નથી. રેખાબેન બે ભાઇથી નાની અને માતા-પિતાની એક જ દિકરી હતી. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(11:34 am IST)