News of Wednesday, 24th March 2021
જામનગર : જેતલસરની 16 વર્ષની સૃષ્ટિને મોતને ઘાટ ઉતારવાની ચકચારી ઘટનાને પગલે જામનગરના લેઉવા પટેલ સમાજના હોદ્દેદારો અને અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રીને સંબોધતું આવેદનપત્ર કલેકટર કચેરી ખાતે આપી ઘટનાને વખોડી તાત્કાલિક આરોપીને ફાંસી જેવી આકરી સજા આપવા માંગ કરી છે (તસવીર: કિંજલ કારસરીયા)
જામનગરમાં જેતલસર ની સોળ વર્ષની તરુણી પર છરી વડે ઘરમાં ઘૂસી હુમલો કરી મોતને ઘાટ ઉતારનાર આરોપીને ફાંસી જેવી સજા થાય તે માટે લેઉવા પટેલ સમાજ દ્વારા મુખ્યમંત્રીને સંબોધતું આવેદનપત્ર કલેક્ટર કચેરીએ આપવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને સંબોધન આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, જેતલસરમાં સૃષ્ટિ નામની ૧૬ વર્ષની તરુણીનાં હત્યારાને ફાંસી જેવી આકરી સજા આપવા અંગે માંગણી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રના રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામની ૧૬ વર્ષની સૃષ્ટી કિશોરભાઈ રૈયાણી નામની દીકરીની તાજેતરમાં જ ઘરમાં ઘુસી નિર્મમ હત્યા કરવામાં આવી છે અસામાજિક, લુખ્ખા તત્વો દ્વારા બેરેહમીથી છરી જેવા તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી ઘરમાં જ લુખ્ખાએ આતંક મચાવી નાનાભાઈ ઉપર પણ હિચકારો હુમલો કરી સૃષ્ટી પર ઉપરાછાપરી છરીનાં અનેક ઘા ઝીંકી નિર્મમ અને ક્રૂર હત્યા નીપજાવી છે. આ ઘટનાના સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે, શાંતિ અને સલામતી અનુભવતા ગુજરાતમાં હવેથી અસામાજિક તત્વો માથું ઉચકી બહેન દીકરીઓની ઈજ્જત આબરૂ પર ડોરો નાખી હત્યા જેવી ઘટનાને અંજામ આપે છે. જે સભ્ય સમાજ માટે ખુબ જ વરવી બાબત કહી શકાય ત્યારે સૃષ્ટી નામની ૧૬ વર્ષની દીકરી પર છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારનાર નરાધમને પોલીસે ઝડપી પાડ્યો છે. તેને તાત્કાલિક ન્યાય તંત્રમાં ફાંસી જેવી આકરી સજા અપાવી સમાજમાં આવારા તત્વોને ડામવા સરકાર દાખલો બેસાડે તેવી અમારી માંગણી છે.
આ સમગ્ર ઘટનાને લઈને સમાજમાં ભય અને અસલામતિનું વાતાવરણ ઉભું થયેલ છે. ગુજરાતમાં સંવેદનશિલતા અને એકતા તેમજ ભાઈચારા માટે મિશાલરૂપ સરકાર ખરા અર્થમાં આવા ગુનેગારોને ડામવા એક્શન મોડમાં આવશે. તો જ, ગુજરાતમાં શાંતિ અને સલામતી જળવાયેલી રહેશે. આ જેતલસરની ઘટનાને લેઉવા પટેલ સમાજ- જામનગર સખત શબ્દોમાં વખોડે છે અને હત્યામાં સંડોવાયેલા ગુનેગારો કોઈને કોઈ કારણોસર છૂટી ન જાય તે માટે ઊંડાણ પૂર્વક ખાસ એજન્સી દ્વારા તપાસ કરાવી ગુનેગારોને તાત્કાલિક કડક માં કડક ફાંસી જેવી આકરી સજા થાય અને પીડિત પરિવારને ઝડપથી ન્યાય મળે તે માટે સંબંધિત અધિકારીઓને સુચના આપવા નમ્ર વિનંતી છે.ભવિષ્યમાં અન્ય આવો કોઈ બનાવ ન બને તેમજ અસામાજિક તત્વો કે લુખ્ખા તત્વોમાં ફફળાટ સાથે ભય રહે માટે જરૂર જણાયે આ માટે ખાસ ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી વહેલામાં વહેલી તકે આરોપીને ફાંસી જેવી આકરી સજા થાય તેવી અમારી માંગણી છે. જેથી પીડિત પરિવારને જરૂરી સહાય અને સમયસર ન્યાય મળે અને ભવિષ્યમાં આવા બનાવોનું પુનરાવર્તન ન થાય તેમ જણાવવામાં આવ્યું છે.
સમગ્ર ઘટનાને વખોડી જામનગર લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઇ રાબડીયા, ઉપપ્રમુખ અરજણભાઈ સોજીત્રા, મંત્રી અશોકભાઈ પટેલ, ખજાનચી લવજીભાઈ વાદી, સહમંત્રી રમેશભાઈ વેકરિયા સહિતના હોદ્દેદારો અને અગ્રણીઓ અને સમાજના મહિલા અગ્રણીઓ દ્વારા આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે