Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

વેદાંતની પરંપરામાં અક્ષરપુરૂષોત્તમ સ્વામિનારાયણ દર્શનનો ઉમેરો

ગોંડલ અક્ષર દેરી સ્વામિનારાયણ મંદિર સાર્ધ શતાબ્દી મહોત્સવમાં કાશીના વિદ્વાનોની જાહેરાત

ગોંડલ તા. ૨૪ : ભારતમાં કેટલીય શતાબ્દીઓથી ષડ્દર્શનની પરંપરા પ્રસિદ્ઘ છે. દર્શન એટલે કે તત્ત્વજ્ઞાન, ફિલોસોફી. વિશ્વભરમાં ભારતની આ છ ફિલોસોફીઓનું એક આગવું મહત્ત્વ રહ્યું છે. ભારતની બૌદ્ઘિક સંપદામાં આ છ ફિલોસોફીઓનું એક અનોખું મહત્ત્વ રહ્યું છે.

આ છ ફિલોસોફીઓના છત્ર તળે ભારતમાં અનેક સંશોધનો થયા છે. શ્રીમદ્ આદિ શંકરાચાર્યથી લઈને સ્વામી વિવેકાનંદજી સુધી પ્રકાંડ વિદ્વાન બુદ્ઘિમંતોએ આ છ દર્શનો પર શતાબ્દીઓ સુધી વિમર્શ કર્યા છે. નોંધનીય છે કે મુગલ અને બ્રિટિશ શાસન દરમ્યાન છેલ્લી કેટલીય શતાબ્દીઓથી આ છ ફિલોસોફીની પરંપરામાં વિકાસ અટકી ગયો હતો. પરંતુ બસ્સો વર્ષ પૂર્વે ભગવાન શ્રી સ્વામિનારાયણે એક નવી ફિલોસોફી આપીને ભારતીય તત્ત્વજ્ઞાનની પરંપરામાં એક આગવું પ્રદાન આપ્યું છે. દસ હજાર વર્ષોથી વૈદિક પરંપરામાં ચર્ચાતા બ્રહ્મ અને પરબ્રહ્મના એ તત્ત્વજ્ઞાનને તેમણે ભકિત સાથે જોડીને એક નવીન માર્ગ ચીંધ્યો. આ તત્ત્વજ્ઞાનને સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સંત શાસ્ત્રીજી મહારાજ સ્વામીશ્રી યજ્ઞપુરુષદાસજીએ 'અક્ષર પુરૂષોત્તમ સિદ્ઘાંત' કે તત્ત્વજ્ઞાન નામ આપ્યું અને તેના મૂર્તિમંત સ્વરૂપો પણ પધરાવ્યા.

પરંતુ જયાં સુધી આ સિધ્ધાંતને ઉપનિષદો, બ્રહ્મસૂત્ર અને ભગવદ્ ગીતાના આધાર પર શાસ્ત્રીય રીતે સિદ્ઘ કરવામાં ન આવે ત્યાં સુધી ભારતની મુખ્ય દાર્શનિક પરંપરામાં તેનો સ્વીકાર ન થઈ શકે. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે ઉપરોકત ત્રણેય ગ્રંથો એટલે કે પ્રસ્થાનત્રયી પર બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વિદ્વાન સંત પૂજય ભદ્રેશદાસ સ્વામી દ્વારા ભાષ્યો તથા વાદગ્રંથ લખાવીને ભગવાન સ્વામિનારાયણના એ તત્ત્વજ્ઞાનને શાસ્ત્રીય રીતે સિદ્ઘ કરી આપ્યું. તાજેતરમાં વિદ્વાનોની નગરી કાશીમાં વિખ્યાત કાશી વિદ્વત્ પરિષદે આ ગ્રંથોનું અનુશીલન કર્યું ત્યારે તેમને લાગ્યું કે ભગવાન સ્વામિનારાયણનું તત્ત્વજ્ઞાન એક મૌલિક અને વૈદિક તત્ત્વજ્ઞાન છે, જે શતાબ્દીઓથી ચાલતી છ દર્શનોની પરંપરામાં એક અનોખું વિલક્ષણ અને સ્વતંત્ર દાર્શનિક પ્રદાન છે. આથી, તેની દ્યોષણા થવી જોઈએ.

અત્રે નોંધનીય છે કે શ્રીમદ્ આદિ શંકરાચાર્યજીથી લઈને ભારતના તમામ આચાર્યોએ પોતાના તત્ત્વજ્ઞાનની શરૂઆત કાશીના વિદ્વાનો સમક્ષ પોતાનો મત પ્રસ્તુત કરીને કરી છે. કાશીના વિદ્વાનો તેનો સ્વીકાર કરે ત્યારબાદ તે સર્વથા માન્યતા પ્રાપ્ત કરે છે. આવી એક પરંપરા ભારતમાં શતાબ્દીઓથી ચાલી રહી છે. એ જ પરંપરાનું જતન કરતાં કાશીના મૂર્ધન્ય વિદ્વાનોની વિખ્યાત વિદ્વદ્ સંસ્થા 'શ્રી કાશી વિદ્વત્ પરિષદે' ભગવાન સ્વામિનારાયણના તત્ત્વજ્ઞાનને એક મૌલિક અને સ્વતંત્ર વૈદિક તત્ત્વજ્ઞાન તરીકે 'અક્ષરપુરૂષોત્તમ દર્શન' એવા નામ સાથે સ્વીકારીને તેને સમર્થન આપ્યું છે.

'અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવે' કાશીથી પધારેલા કાશી વિદ્વત્ પરિષદના મૂર્ધન્ય વિદ્વાનોએ તેની ઘોષણા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વૈદિક તત્ત્વજ્ઞાનની પરંપરામાં છ દર્શન ઉપરાંત આ એક નવું તત્ત્વજ્ઞાન કે દર્શન ઉમેરાય છે, તેને અમે કાશીના વિદ્વાનો સર્વ સંમતિથી સમર્થન આપીને આનંદ અને ગૌરવપૂર્વક તેની દ્યોષણા કરીએ છીએ. જેવી રીતે આદિ શંકરાચાર્યજીનું તત્ત્વજ્ઞાન અદ્વૈત વેદાંત તરીકે ઓળખાય છે, રામાનુજાચાર્યનું તત્ત્વજ્ઞાન વિશિષ્ટાદ્વૈત વેદાંત તરીકે ઓળખાય છે, તેવી જ રીતે આ ભગવાન સ્વામિનારાયણનું આગવું સ્વતંત્ર અને વૈદિક તત્ત્વજ્ઞાન અક્ષરપુરુષોત્ત્।મ દર્શન તરીકે ઓળખવું સર્વથા ઉચિત છે.

આ સ્વર્ણિમ ઘોષણા પત્ર તેમણે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન અધ્યક્ષ પૂજય મહંત સ્વામી મહારાજને અર્પણ કરીને ગૌરવ અનુભવ્યું હતું. છેલ્લી કેટલીય શતાબ્દીઓથી ભારતીય તત્ત્વજ્ઞાનની સ્થગિત થઈ ગયેલી પરંપરામાં આ નવી શોધ ઉમેરાતાં વિદ્વાનોએ અને વિરાટ ભકતસમુદાયે હર્ષ પ્રગટ કર્યો હતો. અત્રે નોંધનીય છે કે તાજેતરમાં અમેરિકા ખાતે યોજાયેલા સમારોહમાં વેદાંતના પશ્યિમી વિદ્વાનોએ પણ આ અક્ષરપુરુષોત્ત્।મ દર્શન-તત્ત્વજ્ઞાનને એક મૌલિક વૈદિક તત્ત્વજ્ઞાન તરીકે સમર્થન આપીને બિરદાવ્યું છે.

(11:47 am IST)