Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

તલગાજરડાની રામકથા મારા માટે સ્વપ્ન સમાન : પૂ. મોરારીબાપુ

૨૭મીથી શરૂ થતી 'માનસ ત્રિભુવન' શ્રીરામ કથાની તડામાર તૈયારી : કથા સ્થળની મુલાકાત લેતા પૂ. મોરારીબાપુ

તસ્વીરમાં પૂ. મોરારીબાપુએ કથા સ્થળની મુલાકાત લીધી તે નજરે પડે છે. (તસ્વીર - અહેવાલ: મુકુંદ બદિયાણી - જામનગર, મેઘના વિપુલ હિરાણી - ભાવનગર)

જામનગર - ભાવનગર તા. ૨૨ : પૂ. મોરારીબાપુના વ્યાસાસને તા. ૨૭ ઓકટોબરથી તા. ૪ નવેમ્બર સુધી તેમના વતન તલગાજરડા ખાતે શ્રી રામ કથાનું ભવ્યાતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પૂ. મોરારીબાપુ તા. ૨૭ના સાંજે પ્રથમ દિવસે ૪ વાગ્યાથી શ્રી રામકથા શરૂ કરશે અને તા. ૨૮ થી તા. ૪ નવેમ્બર સુધી દરરોજ સવારે ૯.૩૦થી બપોરના ૧.૩૦ સુધી શ્રી રામ કથાનું રસપાન કરાવશે.

તલગાજરડા ખાતે ૨૭ ઓકટોબર ના રોજ શરૂ થનારી રામકથાના સ્થળની આજે સંધ્યા સમયે પૂજય બાપુએ રૂબરૂ મુલાકાત લીધી હતી. યજમાન શ્રી હરિભાઈ, દર્શનભાઈ, પરેશભાઇ, શ્રી બાબુભાઈ રામ તથા અન્ય ભાવકો સાથે કથા સ્થળે પધારેલા બાપુએ તૈયાર થઈ રહેલ ૫૬૦૦૦ શ્રોતાઓ બેસી શકે તેવો વિશાળ કથા મંડપ, બેઠક વ્યવસ્થા, વાહન વ્યવહાર ની અવર જવર માટેની સ્થિતિ, પાર્કિંગ વ્યવસ્થા ૨૫૦૦૦ જેટલા શ્રાવકો એકસાથે પ્રસાદ લઈ શકે એવી ભાઈઓ અને બહેનો માટેની અલગ અલગ ભોજન- વ્યવસ્થા, બંને સ્થાન વચ્ચેનું વિશાળ રસોડું વગેરે તમામ બાબતો નું નિરીક્ષણ કર્યું હતું. બાપુ એ તૈયારીઓ બાબતે પોતાનો રાજીપો વ્યકત કર્યો હતો. ત્યારબાદ બાપુ રામકથા કાર્યાલય પર પધાર્યા હતા અને પ્રસન્નતા સાથે જણાવ્યું હતું કે આ કથા તેમના માટે એક સ્વપ્ન સમાન છે. પોતે એક સ્વપ્ન જોઈ રહ્યા છે અને કથા પુર્ણ થયા પછી પણ જાણે આ એક સ્વપ્ન જ હોય એવું લાગશે.

ઉલ્લેખનિય છે કે બાપુ પોતાના દાદાગુરુના નામ સાથે જોડાયેલી 'માનસ - ત્રિભુવન'નું ગાન કરવાના છે. એ પણ પોતાની જન્મ ભૂમિ કે જયાં દાદાજીનું પૂરું જીવન વ્યતિત થયું છે, તે પાવન ધરતી પર થઈ રહ્યું છે. પોતાના જ ગામના શ્રી હરિભાઈ નકૂમ કથાના યજમાન છે.

પૂજય બાપુ એ અગાઉ એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે 'તલગાજરડું મારો પ્રાણ છે......મારે આ કથામાં ગરુડની જેમ ઊડવું છે, પૂષ્પની જેમ ખીલવું છે અને શ્રોતાઓને પ્રસન્ન કરવા છે. હનુમાનજી ઙ્ગનવ નવ દિવસ સહુને આશીર્વાદ આપશે.' ત્યારે આ કથા અદ્ભૂત બની રહેશે એવું વ્યાસપીઠ ના શ્રાવકો અનુભવી રહ્યા છે.સહુથી વિશેષ બાબત એ છે કે બાપુ દાદા ગુરુને નિરંતર સ્મરે છે અને કથામાં બહુધા એમનું પ્રકટ સ્મરણ પણ કરે છે, પરંતુ તેમના નામથી જ જોડાયેલી સમગ્ર કથા પ્રથમ વખત થઇ રહી છે. ત્યારે આ કથા અદ્ભૂત, અનન્ય અને અનોખી બની રહેશે.

મુકેશભાઇ અંબાણી-નીતા અંબાણી-અમિતાભ બચ્ચન આવે તેવી સંભાવના

જામનગર, તા. રર : ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ખાતે પૂ. મોરારીબાપુના વ્યાસાસને તા. ર૭થી શ્રીરામ કથાનો પ્રારંભ થશે.

પૂ. મોરારીબાપુના વતન તલગાજરડામાં યોજાનાર શ્રી રામકથામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશભાઇ અંબાણી, નીતા અંબાણી, અમિતાભ બચ્ચન સહિતના આવે તેવી સંભાવના છે.

(11:57 am IST)