Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

પાલીતાણાના વીરપુરમાં તળાવમાં ડુબી જતા ૩ સગા ભાઇના મોત

દિવાળીનાં તહેવાર પહેલા કોળી સમાજમાં અરેરાટીઃ ન્હાવા પડતા ભોગ લેવાયો

તસ્વીરમાં સગાભાઇઓના મૃતદેહો,ઘટના સ્થળે લોકો નજરે પડે છે. (તસ્વીર) મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૧: ભાવનગરના  પાલીતાણા પંથકમાં તળાવમાં ન્હાવા પડેલા ત્રણ સગાભાઇઓનાં મોત નિપજતાં આ બનાવે ભારે શોકની લાગણી ફેલાવી છે. કોળી પરિવારમાં ઘેરો શોક છવાયો છે.

મળતી વિગતો મુજબ ભાવનગર જીલ્લાનાં પાલીતાણા તાલુકાનાં વીરપુર ગામે રહેતાં સુખાભાઇ મેઘજીભાઇ ચૌહાણના ત્રણ સંતાનો પૃથ્વી સુખાભાઇ ચૌહાણ ઉ.વ.૧૦, ચિરાગ સુખાભાઇ ચૌહાણ ઉ.વ.૮ તથા હાર્દિક સુખાભાઇ ચૌહાણ ઉ.વ.૬ ગામના પાદરે આવેલા તળાવમાં ન્હાવા પડયા હતા ત્યારે ત્રણેય બાળકો-સગાભાઇઓ તળાવના પાણીમાં ડુબી જતાં ત્રણેયના કરૂણ મોત નિપજ્યા હતા.

આ બનાવની જાણ થતાં જ ગ્રામ્યજનો અને પોલીસ બનાવ સ્થળે દોડી આવ્યા હતા. દિવાળીનાં ટાણે આ કરૂણ બનાવ બનતાં ગામમાં ભારે શોકની લાગણી ફેલાઇ ગઇ છે.

બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડેલ છે એક સાથે ત્રણ સગા ભાઇઓના મોતથી નાના એવા વીરપુર ગામમાં ઘેરો શોક છવાયો છે.

(3:58 pm IST)