Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથિએ

વિરજીભાઇ ઠુંમરે લાઠી - બાબરા અને દામનગર સિવિલ હોસ્પિટલમાં ઓકિસજન, વેન્ટિલેટર અને એમ્બ્યુલન્સની ખરીદી માટે ગ્રાન્ટ ફાળવી

(દિપક કનૈયા દ્વારા) બાબરા તા. ૨૧ : દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ રાજીવગાંધીની પુણ્યતિથીની બાબરા લાઠી અને દામનગર વિસ્તારમાં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની આગેવાની હેઠળ ઉજવણી કરવામાં આવી અહીં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે તેમજ કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સ્વ. રાજીવગાંધીને ફુલહાર કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી ત્યારબાદ શહેરના જાહેર માર્ગો અને બઝારોમાં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે લોકોને માસ્કનું વિતરણ કરી માસ્ક અચૂક પહેરવાની અપીલ કરી હતી.

રાજીવગાંધીનીની પુણ્યતિથીએ બાબરા, લાઠી અને દામનગર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સાધનો ખરીદી માટે ૫૦ લાખની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી હતી જેના પત્રની નકલ બાબરા સિવિલ હોસ્પિટલના ડો મિહિર તેરૈયા ને અર્પણ કરવામાં આવી હતી

લાઠી, બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ રાજીવગાંધીની પુણ્યતિથિની દેશભરમાં કોંગ્રેસ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજયમાં પણ પ્રદેશ કોંગ્રેસની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ લાઠી વિધાનસભા વિસ્તારમાં લોકોને વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ હાલ કોરોના મહામારીમાં લોકોને આરોગ્ય સવલતો વધુ સારી બને તે માટે બાબરા અને લાઠી સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની ખરીદી માટે ૨૦ લાખ તેમજ ઓકિસજન વેન્ટિલેટરની ખરીદી માટે ૨૦ લાખ મળી કુલ ૪૦ લાખની ગ્રાન્ટ બંને તાલુકામાં ફાળવવામાં આવી છે તેમજ દામનગર સિવિલ હોસ્પિટલમાં ઓકિસજન વેન્ટિલેટરની ખરીદી માટે ૧૦ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે આમ બાબરા લાઠી અને દામનગર વિસ્તારમાં સિવિલ હોસ્પિટલમાં કુલ ૫૦ લાખની ગ્રાન્ટ મેડિકલના ઉપયોગ માટે ફાળવવામાં આવી હતી. આ તકે તાલુકા કોંગ્રેસના પ્રમુખ જસમતભાઈ ચોવટિયા, મનસુખભાઈ પલસાણા, ધીરૂભાઈ વહાણી, ઉકેસભાઈ શિયાણી, અશોકભાઈ ખાચર, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ખીમજીભાઈ મારૂ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(1:03 pm IST)