Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

સાયલાના ઢાંકણીયામાં પત્નિએ પ્રેમી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતાર્યો

તારમાં ફાંસો આવી જતા મોત થયાની સ્ટોરી ઉભી કર્યા બાદ પોલીસ પુછપરછમાં ખુલાસો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ર૧: સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકાનાં ઢાંકણીયા ગામમાં પત્નિ રેખા જેમાભાઇ વાઘેલા અને તેના પ્રેમી ભરત રંગપરાએ સાથે મળીને પતિ જેમા રૂપાભાઇ વાઘેલાની હત્યા કરતા ખળભળાટ મચી ગયો છે.

સાયલા તાલુકાના ઢાંકણીયા ગામે પરિવાર સાથે રહી ખેતીની જમીન ભાગમાં રાખી ખેતમજુરી કરતા ફરિયાદી રમેશભાઇ વાઘાભાઇ વાઘેલા ઉ.વ. ૪૧ વાળાના કાકી રેખાબેન વાઘેલા રહે. ઢાંકણીયાવાળાએ થોડા દિવસો પહેલા તેઓને ફોન કરી વાડીએ આવવાનું જણાવતાં ફરીયાદી વાડીએ પહોંચ્યા હતાં જયાં કાકી રેખાબેને જણાવ્યું હતું કે તેઓના કાકા જેમાભાઇ વાઘેલા માલઢોર તગડવા ગયા હતાં તે દરમ્યાન સેઢે આવેલ તારમાં ફસાઇ જતાં ગળે ફાંસો આવી જતાં મોત નીપજયું છે. આથી આ અંગેની જાણ પરિવારના અન્ય સભ્યોને કરતાં મૃત હાલતમાં જેમાભાઇ નજરે પડયા હતાં અને આ બાબતે કાકી રેખાબેને હોસ્પીટલે લઇ જવાનો ઇન્કાર કરતાં મૃતદેહને ઘરે લઇ જઇ સમગ્ર પરિવારજનોને એકત્ર કરી ગામના સ્મશાનમાં અંતિમવિધિ કરવામાં આવી હતી. ત્યારે આ બનાવ બાદ ફરીયાદી તથા અન્ય પરિવારજનો મૃતક જેમાભાઇની વાડીએ ગયા હતાં ત્યાં ભાંગી ગયેલ ખાટલો અને ખાટલા પર લોહીના ડાઘ તેમજ એક લોહીવાળો રૂમાલ પડયો હોય કાકાના મોત અંગે શંકા જતાં આ અંગે અન્ય પરિવારજનોને વાત કરી હતી અને આ મામલે સાયલા પોલીસ મથકે લેખીત જાણ કરતાં મહિલા પોલીસે મૃતકની પત્નિ રેખાબેનની પુછપરછ હાથ ધરી હતી.

જેમાં પુછપરછ કરતાં મૃતકના પત્નિ રેખાબેનને છેલ્લા બે વર્ષથી સોનગઢ ગામના ભરતભાઇ ભોપાભાઇ રંગપરા સાથે પ્રેમસબંધ હતો અને બન્ને અવાર-નવાર ફોનથી વાત કરતાં હતાં અને ગામમાં મળતાં હતાં અને બન્ને આજીવન સાથે રહેવા ઇચ્છતા પરંતુ પતિ જીવીત હોય શકય ન હોવાથી છેલ્લા ત્રણ મહિનાથી પતિને મારી નાખવાનું કાવતરૃં કરતા હતાં અને થોડા દિવસો પહેલા પતિની હત્યાનો પ્લાન બનાવ્યો હતો જેમાં પત્નિ રેખાબેન પતિને વાડીએ સુવા લઇ ગયા હતાં અને ત્યારબાદ પ્રેમી ભરતભાઇ રંગપરાને બોલાવી રાત્રીના સમયે એક સંપ થઇ પતિને ખાટલામાં દુપટ્ટા તથા સાડી વડે બળજબરીપૂર્વક મોઢું દબાવી દીધું હતું અને ગળે ફાંસો આપી હત્યા નીપજાવી હતી અને ત્યારબાદ બનાવ સ્થળેથી ભાગી ગયેલ ખાટલો અને મોબાઇલ સંતાડી દીધા હતાં અને પરિવારજનોને આ મામલે પતિ ઢોર તગડવા જતાં તારમાં ગળેફાંસો ખાવી જતાં આકસ્મીક રીતે મોત થયું હોવાનું જણાવ્યું હતું અને તયરબાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હોવાનું કબુલાત કરી હતી. જો કે આ સમગ્ર મામલે પ્રેમી અને પત્નિ દ્વારા પતિની હત્યા નીપજાવી હોવાનું બહાર આવ્યું હતું આથી આ અંગે સાયલા પોલીસ મથકે મૃતકના પરિવારજન રમેશભાઇ વાઘેલાએ પત્નિ રેખા વાઘેલા તથા પ્રેમી ભરત રંગપરા સામે હત્યા અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(12:56 pm IST)