Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

સાયલા પાસે કાર ઉંધી વળતા રાજકોટના બે દેવીપૂજકના મોત

વઢવાણ તા. ૨૧ : સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે સહિત મુખ્ય માર્ગો પર અકસ્માતના બનાવો વધી રહ્યાં છે ત્યારે સાયલા તાલુકાના નવા સુદામડા ગામ પાસે કાર પલટી મારી જતાં બે વ્યકિતના મોત નીપજયાં હતાં જે અંગે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી હતી. આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટનો પરિવાર બાજરડા તરફ કારમાં જઈ રહ્યો હતો તે દરમ્યાન નવા સુદામડા ગામના પાટીયા પાસે કારચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતાં કાર પલટી મારી ગઈ હતી. જેમાં મહેશભાઈ ત્રિકમભાઈ દેવીપુજક અને પીન્ટુભાઈ ગભરૂભાઈ દેવીપુજકનું મોત નીપજયું હતું. જયારે આ અંગેની જાણ થતાં સાયલા પોલીસ કાફલો સહિતના અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં અને બંન્ને મૃતકોને સાયલા સરકારી હોસ્પીટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતાં. જયારે આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.

(11:06 am IST)