Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

કેન્દ્ર સરકાર દ્વારા ડી.એ.પી. ખાતર પર જાહેર કરાયેલ 140% ની સબસિડીને આવકારતા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

ચોમાસા પૂર્વે લેવાયેલ સરકારના ત્વરિત નિર્ણય થકી ખેડૂતોને કૃષિલક્ષી ફાયદો થશે - ધર્મેન્દ્રસિંહ જાડેજા: ખેડૂતોને ડી.એ.પી.ની એક બોરી પર રૂ.500ના બદલે રૂ.1,200 સબસિડી મળતા હવે એક બોરી રૂ.1,200માં જ મળશે

જામનગર :કેન્દ્ર સરકારે ડીએપી ખાતર પરની સબસિડી 140 ટકા વધારી દીધી છે. ખેડૂતોને હવે ડીએપીની એક બોરી પર 500 રૂપિયાના બદલે 1,200 રૂપિયા સબસિડી મળશે. સબસિડી વધારવામાં આવી તેના કારણે ખેડૂતોને ડીએપીની એક બોરી હવે 2,400 રૂપિયાના બદલે 1,200 રૂપિયામાં જ મળશે. સરકાર આ સબસિડી માટે 14,775 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચો કરશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રી ધર્મેનન્દ્રસિંહ જાડેજાએ આવકર્યો હતો તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય કૃષિ મંત્રી  પરષોત્તમ ભાઈ રૂપાલા, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા તથા કૃષિ મંત્રી આર.સી.ફળદુનો ચોમાસા પૂર્વે લેવાયેલ ખેડૂતહિત લક્ષી નિર્ણય અંગે આભાર વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ અંગે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય મૂલ્ય વૃદ્ધિ છતાં ખેડૂતોને જૂના ભાવે જ ખાતર મળશે. ખેડૂતોનુ કલ્યાણ એ સરકારની સર્વોચ્ય પ્રાથમિકતા છે. વડાપ્રધાન મોદીએ બુધવારે ખાતરની કિંમત મુદ્દે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી તેમજ પ્રેઝન્ટેશન દ્વારા ખાતરની કિંમતો વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી.
આંતરરાષ્ટ્રીય સ્તરે ફોસ્ફોરિક એસિડ, એમોનિયા વગેરેની વધતી કિંમતોના કારણે ખાતરની કિંમતોમાં વૃદ્ધિ થઈ રહી છે. વડાપ્રધાનએ આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધારા છતાં ખેડૂતોને જૂના ભાવે જ ખાતર મળવું જોઈએ તેમ ભારપૂર્વક કહ્યું હતું. આ બેઠકમાં ડીએપી ખાતર માટેની સબસિડી એક બોરી દીઠ 500 રૂપિયાથી 140 ટકા વધારીને 1,200 રૂપિયા પ્રતિ બોરી કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો. મૂલ્યવૃદ્ધિનો વધારાનો સંપૂર્ણ ભાર કેન્દ્ર સરકારે ઉઠાવવાનો નિર્ણય લીધો છે. એક બોરી દીઠ સબસિડીની રકમ ભૂતકાળમાં ક્યારેય એક વખતમાં આટલી વધારવામાં નથી આવી.

સરકાર દ્રારા ખેડૂત હિતમાં લેવાયેલ ખાતર અંગેના આ તત્વરીત નિર્ણયને જિલ્લાના ખેડૂતોવતી રાજ્ય મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આવકાર્યો હતો અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય કૃષિ મંત્રીશ્રી પરોષતમભાઈ રૂપાલા, કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા તથા કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુનો આભાર વ્યક્ત કર્યો હતો

(7:07 pm IST)