Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

ગિરનાર પરિક્રમામાં ૨૪ કલાક વિનામૂલ્યે અન્નક્ષેત્રોનો ધમધમાટ

૨૪ કલાક વિનામૂલ્યે ગરમાગરમ ગાંઠીયા-જલેબી અને નકરા દૂધની ચા યાત્રિકોને પિરસાય છેઃ પરિક્રમામાં ૫૦ જેટલી તાવડી પર ગરમાગરમ રોટલા-ખીચડી-ઓળાની સેવાનો ધમધમાટઃ કયાંક ચોખ્ખા ઘીનો શિરોઃ ૭૦ જેટલા અન્નક્ષેત્રોમાં હરીહરની હાકલ, ૩૦ ચા-પાણીની નિઃશુલ્ક સેવા આપતા સેવાભાવીઃ 'અકિલા'ની ટીમ દ્વારા સેવાભાવીઓની સેવાનું જાત નિરીક્ષણ કરી તૈયાર થયેલ અભ્યાસપૂર્ણ અહેવાલનું આ છે તારણ

જુનાગઢઃ ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો મધરાતે મેયર આદ્યાશકિતબેન મજમુદાર ડેપ્યુટી મેયર ગિરીશભાઇ કોટેચા શ્રીમતી ગીતાબેન કોટેચા પુ.ઇન્દ્રભારતીબાપુ, મહાદેવગીરીબાપુ તેમજ જીલ્લા કલેકટરશ્રી સૌરભ પારધી મ્યુકમિશનરશ્રી પ્રકાશ સોલંકી આસી. કમી.શ્રી પ્રફુલ્લ કનેરીયા સહિતનાએ દિપ પ્રાગટય કરી વિધીવત પ્રારંભ કરાવ્યો હતો. ગરવા ગિરનારની ૩૬ કી.મી. પાવકારી લીલી પરિક્રમાનો વિધીવત પ્રારંભ થાય તે પહેલા બે દિવસ અગાઉ પરિક્રમાર્થીઓ આવી પહોચતા તંત્ર દ્વારા બે દિવસ અગાઉ વન વિભાગે પ્રવેશ આપવાનો શરૂ કરતા લાખો યાત્રાળુઓ પરિક્રમાના અંતિમ રૂટ પર પડાવ કરી રહ્યા છે. અને ગતરાત્રે વિધિવત પ્રારંભ થતા અમુક પરપંરાગત અને વિધીવત પરિક્રમા કરતા યાત્રિકો પણ ઉમટી પડયા હતા. ઉપરોકત તસ્વીરમાં ભવનાથ તળેટી ખાતે માનવ મહેરાણ ઉમટયો હતો અને હકડેઠઠ મેદની જોવા મળતી હતી અને પરિક્રમા માર્ગે આગળ ધપતા પરિક્રમાર્થીઓ નજરે પડે છે. પરિક્રમા અંતિમ ચરણમાં પહોંચી છે. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા-જુનાગઢ)

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૨૦ :. પરિક્રમામાં યાત્રિકોનો અવિરત પ્રવાહ ગિરનાર જંગલમાં વહી રહ્યો છે. લાખો પરિક્રમાર્થીઓ જંગલમાં મંગલ જેવુ વાતાવરણ જામ્યુ છે.

ગઈકાલે જૂનાગઢ અકિલા બ્યુરોની ટીમ દ્વારા પરિક્રમાના મુખ્ય રૂટથી શરૂ કરી જીણાબાવાની મઢી માળવેલા બોરદેવી છેલ્લા પડાવ સુધી પરિક્રમા કરી અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થા નિહાળી અને યાત્રિકોના અનુભવ અને વિવિધ સેવાકીય સંસ્થાઓની મુલાકાત લીધેલ જે અત્રે વિગતવાર પ્રસ્તુત છે.

સોમનાથ ગૌશાળાનો અનોખો સેવાયજ્ઞ

રૂપાયતન નજીક આવેલ કેશવહરી સેવાશ્રમ પાસે પોરબંદર નજીક આવેલ કોલીખડા ગામની શ્રી સોમનાથ ગૌસેવા ટ્રસ્ટ સંચાલિત ગૌશાળામાં ૨૦૦ જેટલી લુલી લંગડી અપંગ નિરાધાર ગાયોને નિભાવવામાં આવે છે.

આ ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઈ દેવીદાસ ગોંડલીયાએ જણાવ્યુ હતુ કે અમારી ગૌશાળામાં ૨૦ જેટલા સ્વયંસેવકો દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં કોઈપણ જગ્યાએ થતા મેળાવડા હોય ત્યાં પહોંચી જઈ રાવટી નાખી અને ગાયો માટે જોળી ફેલાવી એક એક બે-બે રૂપિયા ઉઘરાવી અને ગાયો માટે ફંડ એકત્ર કરીએ છીએ અને ધર્મપ્રેમી જનતા પણ ઉદારહાથે ગૌમાતાના નિભાવ અર્થે અમને સારો સહકાર આપી રહી છે. અનુદાન આપવા ઈચ્છતા લોકોએ મો. ૯૯૨૫૨ ૫૬૭૯૬ ઉપર સંપર્ક કરવો.

૭૦ જેટલા અન્નક્ષેત્રોમાં હરીહરની હાકલ

જીણાબાવાની મઢી પાસે ખોડિયાર મંડળ રાજકોટનું છેલ્લા ૫૮ વર્ષથી ચાલતુ અન્નક્ષેત્ર શનિવારથી જ શરૂ કરી દેવાયુ છે. જેના સ્વયંસેવક હરેશભાઈ ઠુમ્મરે જણાવ્યુ હતુ કે આ અન્નક્ષેત્રમાં ૨૪ કલાક ચા-પાણી તેમજ જરૂરીયાતમંદોને શરદી-તાવની દવા, વિંછી ઉતારવાની દવા પણ આપવામાં આવે છે અને પરિક્રમાર્થીઓને ગુંદી, ગાંઠીયા, રોટલી-શાક, ખમણ તેમજ લીંબુ મરચાના અથાણા અને છાસ ભાવપૂર્વક પિરસવામાં આવી રહ્યુ છે.

ઉપરાંત માળવેલા ખાતે ભેંસાણ તાલુકાના કરીયા ગામ દ્વારા છેલ્લા ૨૦ વર્ષથી સમસ્ત ગ્રામજનો દ્વારા ફંડફાળો એકત્ર કરી સતત પાંચ દિવસ સુધી યાત્રિકોને કાઠીયાવાડી ભોજન, બાજરાનો રોટલો, ઓળો, કઢી, ખીચડી પિરસાય રહ્યા છે.

અને ૫૦ જેટલી તાવડીઓ પર મહિલાઓ સતત વ્યસ્ત રોટલા શેકતા નજરે પડતા હતા.

ત્યાંથી આગળ પસાર થતા કપરી અને કઠીન પર્વતમાળામાં સારૂ અને સાત્વિક ભોજન આપવાનું મહાકાર્ય સાવરકુંડલાના કાના તળાવ ગામનું અન્નક્ષેત્ર શિવદરબાર પરિવાર કરી રહ્યું છે.

પરિક્રમામાં છેલ્લા રર વર્ષથી ઉષામૈયાના ર૫૦ થી વધુ સ્વયંસેવકો સાથે ભાવિકોને ચોખ્ખા ઘીનો શીરો સહિત વાનગીઓ પિરસી માનવસેવા એજ પ્રભુસેવા જીવનમંત્ર સિદ્ધ કરે છે.

માળવેલા ખાતે વાહનો જઇ શકતા નથી એટલે સ્વયંસેવકો પોતાના ખભે ઉપડે તેટલી  ચીજો ઉંચકીને વજનદાર વસ્તુઓ ઉંટ પર લાદીને તમામ માલ સામાન પગપાળા રૂપાયતન નજીક કેશવ હરિ સેવા આશ્રમ ખાતે ર૪ કલાક ગરમા ગરમ ગાંઠિયા મરચા ચા પાણીની સેવા આપી રહયા છે.

તેમજ ધોરાજી સીતારામ અન્નક્ષેત્ર દ્વારા ભાવિકો માટે ૨૪ કલાક જલેબી ગાંઠિયા મરચા પ્યોર દૂધની ચા અનન્ય સેવા દ્વારા પુણ્યનું ભાથુ બાંધતી નજરે પડી રહી હતી અને સુપ્રસિદ્ધ સરકડીયા હનુમાનજી મંદિર ખાતે યાત્રિકોને વિશ્રામ અને મહાપ્રસાદની જગ્યાના મહંત રામદાસજી દ્વારા કરવામાં આવેલ. આ રૂટ પરથી પસાર થતાં અસંખ્ય ભાવિકો સતત પાંચ દિવસ સુધી ભોજન પ્રસાદ લઇ શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવેલ છે.

આ મુલાકાત દરમ્યાન ૭૦ જેટલા અન્નક્ષેત્રમાં નોંધપાત્ર સંખ્યામાં ભાવિકો મહાપ્રસાદ લેવા પહોંચતો કરે છે.

લાખો ભાવિકો માટે પાણીની વ્યવસ્થા માટે શિવ દરબાર પરિવારના સેવક ધનશ્યામભાઇ એ જણાવેલ કે માળવેલા ખાતે શુદ્ધ જળની પ્રાપ્તિ માટે અગાઉ કોઇ વ્યવ્સ્થા ન હતી જે તે વખતે ગાળેલા કુવા માંથી કાંપ અને માટી કાઢી સાફ સુફ કરી યાત્રિકોને સ્વચ્છ કલોરીનેશન કરી સ્વચ્છ જળ વિતરીત કરીએ છીએ.

વધુમાં વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે યાત્રિકોની સુવિધા માટે અમે ૧૩૫  ડબ્બા શુદ્ધ એગમાર્ગવાળુ અમુલનું ઘી ૧૫૦ ડબ્બા શુદ્ધ સિંગતેલ ૫૫૦૦ કિલો શાકભાજી ૭ ટન મસાલા અને પ્રકૃતિને બચાવવા વતનના લાકડા પ૦ મણ અમે સાવરકુંડલાથી સાથે જ લાવીએ છીએ અને કોઇપણ જાતના નાત જાતના ભેદભાવ વગર ભાવિકોને ભોજન પ્રસાદ પિરસવામાં આવે છે.

નજરે પડતા હતા આ ઉપરાંત મોરબી ના જોગ ડુંગરી આશ્રમ દ્વારા યાત્રિકોને ર૪ કલાક છાસનુ વિના મુલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું હતું. અને જઠરાગ્નિને સાતા આપવા યાત્રીકો છાસ પીવા પડાપડી કરતા જોવા મળ્યા હતાં.

અંતિમ પડાવ બોરદેવી મંદિર ખાતે પણ ભાવિકો માટે ગરમા ગરમા ગુંદી - ગાંઠીયા  મરચા પિરસાય રહ્યા હતાં. તેમજ દાસા રામ અન્નક્ષેત્ર સીતારામ અન્નક્ષેત્રમાં મહાપ્રસાદમાં ભાવિકોની કતારબધ્ધ લાઇનમાં જોવા મળતા હતાં.

પરિક્રમાર્થીઓના પરિક્રમા  અંગે અનુભવો

સતત ચાર દિવસ પાવનકારી પરિક્રમા માં શ્રધ્ધાળુઓ ભાવિકો આસ્થાપૂર્વક પુર્ણ કરે છે ત્યારે પ્રથમ પડાવ જીણા બાવાની મઢી ખાતે અમરાપુર ગીરના ખેડૂત ગોરધનભાઇ જોષીએ જણાવ્યું હતું કે આ ગીરનારની અંદર તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે. અહી ઋષિમુનિઓ અવતારી મહાપુરૂષોની તપોભૂમિ એવા ગરવા ગીરનારી પરિક્રમા કરવી એ તો ભાગ્યશાળી આભાઓના ભાગ્યમાં જ હોય છે હુ છેલ્લા વીસ વર્ષથી પરિક્રમમાં આવુ છું મારી ઉ.૬૧ વર્ષ છે છતા મને કોઇપણ જાતનો થાક અનુભવતો નથી અને સ્વસ્થતા પૂર્વક પરિક્રમા કરુ છુ અને તેની સંભારણા સાથે લઇ જાવ છુ પ્રકૃતિના ખોળે આળોટવાનો આ અદ્ભુત અવસર છે.

માળવેલા પાસે માણાવદર નજીક આવેલ સમેગા ગામના વતની રસીકલાલ ઠાકરશીભાઇ વાછાણી નામના યુવાને જણાવ્યું હતું કે ગીરનારીન, પ્રદક્ષિણાનું મહાત્મ પુરાણોમાં પણ વર્ણવેલુ છે પરિક્રમા માનવ શ્રધ્ધા અને પુણ્ય મેળવવાના હેતુ આજે લાખોની સંખ્યામાં ભાવિકો જોડાય છે અને પોતાના જીવનમાં આધ્યાત્મિક ઉન્નિત પ્રાપ્ત કરી પરત થાય છે.

ગરવા ગિરનારની પાવનકારી પરિક્રમાં અવિરત અન્નક્ષેત્રો ધમધમી રહ્યા છે ઉપરોકત તસ્વીરમાં ભવનાથ તળેટી સ્થિત શિવ ગૌરક્ષક આશ્રમ ખાતે પુ. શેરનાથબાપુ દ્વારા ભાવિકો માટે સ્વંય સેવક બહેનો મોટી ચુલ બનાવી તેમાં તાવડી પર ગરમા ગરમા રોટલા - રોટલી બનાવી રહી છે. તેમજ સૂર્ય મંદિર સરદારપરાના મહંત મહામંડલેશ્વર જગજીવનદાસબાપુ દ્વારા ભવનાથ શ્રી સદ્ગુરૂ ત્રિકમદાસબાપુ અન્નક્ષેત્ર પરિક્રમાર્થીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યુ છે. જેમાં પુ. જગજીવનદાસબાપુ, પૂ. વિશ્વેસબાપુ ખડેપગે પરિક્રમાર્થીઓને ગરમા ગરમ ગાંઠીયા - ગુંદી - મોહનથાળ-રોટલા-રોટલી-શાક - કઢી-ભાત-ખીચડી ભાવપૂર્વક જમાડી રહ્યા છે. જેમાં ભોજન લેતા ભાવિકો નજરે પડે છે.  (તસ્વીર : મુકેશ વાઘેલા જૂનાગઢ)

(1:42 pm IST)