ભુજ તા.૧૯: કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા તાજેતરમાં એનઆરસી તથા સીએએ લોકસભા રાજ્યસભામાં પાસ કરાતા તેના સમગ્ર ભારતભરમાં ઘેરા પડઘા પડ્યા છે. ઠેર-ઠેર રેલીઓ કાઢી વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે આ કાળા કાયદાનો હિંદુ-મુસ્લિમ સહિત તથા ભારતીય નાગરિકો વિરોધ કરી રહ્યા છે. જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા એનઆરસી સીએએના વિરોધમાં એક જંગી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં હિંદુ-મુસ્લિમો સહિતના જોડાયા હતા.
આ રેલીને સંબોધન કરતા હાજી જુમા રાયમાએ જણાવેલ કે, મુસ્લિમ સમાજની સાથે તમામ લોકો આ વાતની સાબિતી આપે છે કે, સીએબીએ ફકત મુસ્લિમ સમાજ માટે નહીં સમગ્ર દેશ માટે હાનિકારક છે.
અને બંધારણની વિરૂદ્ધ છે. સમગ્ર ભારતમાં ફકત મુસ્લિમ સમાજ નહીં પણ હિંદુ,મુસ્લિમ,શીખ, ઇસાઇ તમામ વર્ગના લોકો આ બિલનો વિરોધ કરે છે અને ભાજપની સહયોગી પાર્ટી આસામ ગણ પરિષદ સહિત ઘણી બધી રાજકીય પાર્ટીઓ પણ આનો વિરોધ કરી રહી છે. આજે ખાસ એનઆરસી અને સીએબી હકીકતમાં હિંદુ સમાજને એમ લાગે છે કે, મુસ્લિમ સમાજ હિંદુઓને ભારતના નાગરિક બનવાનો વિરોધ કરી રહ્યા છે અને અમુક પ્રચાર માધ્યમો અને સોશિયલ મીડિયા દ્વારા આવા ખોટા મેસેજ ફેલાવી સમાજમાં અશાંતિનું વાતાવરણ કરી રહ્યા છે, ત્યારે ભારત દેશની અંદર હિંદુઓને ભારતની નાગરિકતા આપવાનો વિરોધ ગઇ કાલે પણ નહોતો કર્યો, આજે પણ નથી કરતા આવનારા સમયમાં પણ કયારે નહીં કરીએ મુદ્દો એ છે કે, વર્ષ ૧૯૪૭ પછી ભારતમાં વસતા તમામ મુસ્લિમ ભાઇઓને કોઇ તકલીફ ન પડવી જોઇએ અને લોકોને એનઆરસીના કાયદા તળે અપૂરતા કાગળોને કારણેએ લોકોને ભારતના નાગરિક ગણવામાં ન આવે એવા કાયદાનો વિરોધ કારણ કે, આ કાયદા અંદર ૧૯૪૭ પછીના જે કાગળો માંગવામાં આવ્યા છે. તેમાં મોટાભાગના લોકો પાસે પોતાના બાપ-દાદાઓના પુરવાઓ નહીં હોય અને આ વાત ઉપર લોકોને ભારતના નાગરિક ન માનવાએ કયાંયનો ન્યાય છે. મુસ્લિમો આ દેશમાં એક વખત નહીં પણ બે વખત ભારતીય છીએ. કારણ કે, બાય બર્થ (જન્મ) ભારતીય છીએ અને બાય ચોઇસ (પસંદગી) પણ ભારતીય છીએ. વર્ષ ૧૯૪૭માં જયારે પાકિસ્તાન જવાનું કીધું, ત્યારે ભારતથી મોહબ્બત અને પ્યાર કરતા હતા, તેથી ભારત દેશમાં જ રહેવાનું પસંદ કર્યુ આજે પણ આ દેશની આન, બાન અને શાન માટે જાન અને માલનું પણ બલિદાન આપવા અચકાશું નહી. હાજી જુમા રાયમાએ વધુમાં જણાવ્યું હતું કે, આ કોમવાદી અને ફાસિસ્ટ તાકતોને જો મુસ્લિમોનો ભારત પ્રત્યે દેશપ્રેમ અને મુસ્લિમોની ભારત પ્રત્યેની લાગણી જોવી હોય તો હું ચેલેન્જ આપું છું કે, સમગ્ર હિંદુસ્તાનમાં દરેક રાજ્યમાં એક-એક મોટી ગેસ ચેમ્બરો બનાવવામાં આવે જેવી ગેસ ચેમ્બર હિટલરે બનાવી હતી. અને માનવ સંહાર કર્યો હતો. આજે પણ આ ફાસિસ્ટ અને કોમવાદી તત્વો આવી ગેસ ચેમ્બરો બનાવી અને સમગ્ર હિંદુસ્તાનના મુસ્લિમોને એમ કહે કે, તમારે હિંદુસ્તાનમા રહેવું હોય તચો આ ગેસ ચેમ્બરોમાં મરવું પડશે. નહીંતર જીવતા રહેવું હોય તો આ દેશ છોડીને ચાલ્યા જાઓ. આજે દાવાથી કહું છું કે, ભારતના મુસ્લિમો અહીં ગેસ ચેમ્બરમાં મરવાનું અને ભારતની ધરતી ઉપર દફન થવાનું પસંદ કરશે, પણ આ દેશ છોડવાનું પસંદ નહીં કરે. આ વાતની આ ફાસિસ્ટ તાકતોએ નોંધ લેવી પડશે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે, આ દેશને અંગ્રેજો ગુલામીમાંથી આઝાદ કરવવા જેમ હિંદુ-મુસ્લિમો એક બની લડ્યા અને દેશને આઝાદી અપાવી, આજે પણ સમય આવ્યો છે કે, આ અંગ્રેજોના એજેન્ટીએ આ દેશને આજે આધુનિક ગુલામીમાં જકડી રાખ્યો છે. ત્યારે આજે આ આધુનિક ગુલામીમાંથી મુકત કરવા આ દેશના તમામ હિંદુ અને મુસ્લિમો એક થઇ લડતા આપી રહ્યા છે અને આજ અહીં કચ્છમાં પણ તમામ લોકો સાથે રહી લડત આપી રહ્યા છે.
પાકિસ્તાન,બાંગ્લાદેશ કે અફઘાનિસ્તાનના હિદુંઓને નહીં પણ સમગ્ર વિશ્વના હિંદુઓને આ દેશના નાગરિક બનાવો કોઇ તકલીફ નથી. દુનિયાના તમામ દેશોના મુસ્લિમોને નાગરિક ન આપો કાંઇ વાધો નથી, પણ ૧૯૪૭ થી આ દેશમાં રહેતા મુસ્લિમ સમાજને તમે વિદેશી ઘોષિત ન કરે અને અને યાતનાઓ ન આપો એજ માગણી છે.
આજે પણ વિશ્વના ઘણા બધા મુસ્લિમ દેશોના જેમ કે, (૧)સઉદી અરબમાં ૬૩ લાખ, (૨)ઓમાનમાં ૧૬ લાખ, (૩)કતરમાં ૧૩ લાખ, (૪)કુવેતમાં ૧૧ લાખ, (૫)બહેરિનમાં ૯ લાખ (૬) દુબઇમાં ૯ લાખ મુસ્લિમ રાષ્ટ્રોમાં હિંદુ ભાઇઓ વસી રહ્યા છે, ત્યારેએ લોકો સાથે ત્યાંની સરકારો દ્વારા જરા પણ દુર્ભાગ્યપૂર્ણ વ્યવહાર કરવામાં આવોત નથી. જે લોકો હિંદુ-મુસ્લિમ વચ્ચે નફરતની દીવાલ ઊભી કરી પોતાની ખિચડી પકાવી રહ્યા છે. એ લોકોને આ રેલી દ્વારા સંદેશો આપવા માંગું છું કે, મારો નારો છે કે, ''હિંદુ જીગર હૈ, તો મુસલમાન જાન હૈ, શીખ ઔર ઇસાઇ દેશી કી પહચાન હૈ, ઇન સબ કો મિલાકર બનતા હૈ, વહી હમારા હિંદુસ્તાન હૈ''