Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

અમરેલીમાં કોરોનાને ભરી પીવા ૫૦ બેડના આઇસોલેશન વોર્ડ તૈયારઃ ૬૫ બેડની કોરન્ટાઇન સુવિધા

પીપાવાવ પોર્ટ ખાતે વિશેષ સુવિધાઓઃ તમામ જાહેર કાર્યક્રમો રદઃ આયુષ ઓક

અમરેલી, તા.૧૮:જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકની અધ્યક્ષતામાં કોરોના વાયરસ અંતર્ગત  પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.

સમગ્ર અમરેલી જિલ્લામાં અંદાજે ૫૦ બેડના આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં અમરેલી સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ૨૫ બેડની વ્યવસ્થા તેમજ ૫ ખાનગી હોસ્પિટલો સાથે એમ.ઓ.યુ. કરી ૪ અમરેલીની અને ૧ સાવરકુંડલાની હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લામાં અમરેલીના શિક્ષણ તાલીમ ભવન ખાતે ૩૦ બેડની, ચિતલ સી.એચ.સી ખાતે ૧૫ બેડની અને લીલીયા સી.એચ.સી ખાતે ૨૦ બેડ એમ કુલ મળી ૬૫ જેટલા બેડની કોરન્ટાઇન ફેસીલીટી ઉભી કરવામાં આવી છે. પીપાવાવ પોર્ટ ખાતે ૨૪ કલાક મેડિકલ ટીમ અને વેન્ટીલેટર એમ્બ્યુલેન્સને હાજર રાખવામાં આવે છે અને એમના દ્વારા પોર્ટ ઉપર થતી અવર-જવર ઉપર દેખરેખ રાખવામાં આવે છે.

અમરેલી જિલ્લામાં કુલ ૪૫ જેટલા મુસાફરો નોંધાયેલા છે અને તે પૈકી ૨૧ જેટલા મુસાફરોનું હોમ કોરન્ટાઇન પૂર્ણ થયેલ છે અને ૨૪ જેટલા મુસાફરો હોમ કોરન્ટાઇન હેઠળ છે. આ તમામ કેસોનું દૈનિક હેલ્થ ચેક-અપ અને સ્ટેટસની કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત સરકારની સૂચના અનુસાર હોમ કોરન્ટાઇન પૂર્ણ થયેલા મુસાફરોનું ફરી રી-સ્ક્રીનીંગ કરવામાં આવશે.  તેમ આયુષ ઓકએ જણાવેલ.

જિલ્લાના તમામ સરકારી આયુર્વેદિક દવાખાનાઓમાં વિનામૂલ્યે કોરોના વિરોધક ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ હાથ ધરવામાં આવ્યું છે. આ ઉકાળાનું સતત ૫ દિવસ સુધી સેવન કરવાથી અત્યંત ઉપયોગી નીવડે છે.અમરેલીમાં સુરતથી આવતી ફ્લાઈટ્સની દેખરેખ રાખવામાં આવી રહી છે. સરકાર દ્વારા થૂંકવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે તો જિલ્લામાં એનું ચુસ્તપણે પાલન થાય તે દિશામાં તંત્ર કાર્ય કરી રહ્યું છે. માસ્ક અને સેનિટાઇઝર્સ જેવી આવશ્યક ચીજવસ્તુઓના જથ્થા અંગે સબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા પણ કરવામાં આવી છે. જિલ્લામાં તમામ જાહેર કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા હોવાનું શ્રી ઓકએ જણાવેલ.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેજસ પરમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી એચ.એફ.પટેલ, ડો. સિંઘ, ડો. પટેલ ઉપસ્થિત રહ્યા હતા

(12:11 pm IST)