Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

સમરસ છાત્રાલય કન્‍યા કેળવણીને સક્ષમ બનાવશે : સી.આર.પાટીલ

ભુજમાં સાંસદ વિનોદ ચાવડા સંચાલિત સમાજ નવનિર્માણ ટ્રસ્‍ટ દ્વારા ૨૦૦ કન્‍યાઓના અભ્‍યાસ અર્થે ભીમરત્‍ન સમરસ કન્‍યા છાત્રાલયનું લોકાર્પણ : શૈક્ષણિક સેવા એ શ્રેષ્‍ઠ સેવા : ડો. નીમાબેન આચાર્ય

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૬ : કચ્‍છના ભુજ નજીક મિરઝાપર ખાતે સમાજ નવનિર્માણ ટ્રસ્‍ટ-ભુજ દ્વારા ભીમરત્‍ન સમરસ કન્‍યા છાત્રાલયનું નવસારીના સાંસદ અને ભાજપા પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પાટીલ દ્વારા લોકાર્પણ કરાયું હતું.

ઉદ્દઘાટન કાર્યક્રમમાં અધ્‍યક્ષસ્‍થાનેથી નવસારી સાંસદ અને ભાજપા પ્રદેશ અધ્‍યક્ષશ્રી સી.આર.પાટીલે જણાવ્‍યું હતું કે, આ છાત્રાલયનું નિર્માણ થયું છે એક ખૂબ મોટું પગલું છે આ છાત્રાલયમાં કન્‍યાઓ રહીને ખૂબ જ અભ્‍યાસ કરીને આગળ વધશે તેવી શુભેચ્‍છા આપી હતી.

તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે સમાજ નવનિર્માણ ટ્રસ્‍ટ દ્વારા જે સેવા અને ખાસ બાબાસાહેબના વિચારોને લઇને જે શિક્ષણ માટે કાર્યો કર્યા છે એ ખૂબ જ પ્રશંસાને પાત્ર છે.

તેમણે વધુમાં જણાવ્‍યું હંતુ કે મહિલાઓને આગળ લાવવા માટે આપણે શિક્ષણને લગતી બધી જ પ્રવૃત્તિઓમાં આગળ રહેવું જોઈએ. દિવ્‍યાંગોને આ ટ્રસ્‍ટ દ્વારા સેવા આપવામાં આવે છે તેમને પણ બિરદાવી હતી.

આ પ્રસંગે વિધાનસભા અધ્‍યક્ષાશ્રી ડો. નીમાબેન આચાર્યે જણાવ્‍યું હતું કે, સેવા એજ ધર્મ છે. આ છાત્રાલયનું લોકાર્પણ થયું છે તેનાથી તમામ સમાજની બહેનોને સારૂં શિક્ષણ મળી રહેશે. આપણા વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા પણ મહિલાઓને આગળ લાવવા અનેક પ્રયાસો જેવા કે બેટી બચાવો બેટી પઢાવો દ્વારા મહિલાઓની અંદર શિક્ષણનો સંચાર પુર્યો છે અને મહિલાઓને દરેક ક્ષેત્રમાં ૫૦ ટકા અનામત અપાવીને તેમના ઉત્‍થાન માટે ભગીરથ કાર્ય કર્યું છે.

આ પ્રસંગે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્‍યું હતું કે સમાજ નવનિર્માણ ટ્રસ્‍ટ દ્વારા ભીમરત્‍ન સમરસ કન્‍યા છાત્રાલયમાં વિવિધ સમાજની ૨૦૦થી વધુ બાળાઓને રહેવા માટેની સગવડો ઉભી કરવામાં આવી છે.

આ છાત્રાલયમાં બધાજ સમાજની બાળાઓ શિક્ષણ લેશે અને આગળ આવશે તેવા તમામ પ્રયાસો કરવામાં આવશે.

સમાજ નવનિર્માણ ટ્રસ્‍ટ નો પાયો ૨૦૧૨માં નાખવામાં આવ્‍યો હતો અને અત્‍યાર સુધીમાં ૨૦૦થી વધુ પ્રકારનાં કામોની સેવા આ ટ્રસ્‍ટ દ્વારા આપવામાં આવી રહી છે. છાત્રાલયના મુખ્‍ય દાતાશ્રી વિશ્રામભાઇ વરસાણી છે.

આ પ્રસંગે કચ્‍છ જિલ્લા પ્રભારી અને શિક્ષણ રાજયમંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, અંજાર ધારાસભ્‍યશ્રી વાસણભાઇ આહિર, માંડવી-મુન્‍દ્રા ધારાસભ્‍યશ્રી વિરેન્‍દ્રસિંહ જાડેજા, અબડાસા ધારાસભ્‍યશ્રી પ્રધ્‍યુમનસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્‍યશ્રી માલતીબેન મહેશ્વરી, પૂર્વ ધારાસભ્‍યશ્રી પંકજભાઇ મહેતા, પૂર્વ ધારાસભ્‍યશ્રી રમેશભાઈ મહેશ્વરી, ક્‍ચ્‍છ જીલ્લા સામાજીક ન્‍યાય સમિતી ચેરમેનશ્રી કેશવજી રોશિયા, ભુજ નગરપતિશ્રી ઘનશ્‍યામભાઇ ઠકકર, અગ્રણી સર્વશ્રી કેશુભાઈ પટેલ,દિલિપભાઇ દેશમુખ, ત્રિકમભાઇ છાંગા,પુર્વમંત્રીશ્રી દિનેશભાઇ ત્રિવેદી, સમાજ નવનિર્માણ ટ્રસ્‍ટના તમામ હોદેદારો,દાતાશ્રીઓ તેમજ સર્વ સમાજના આગેવાનો અને નગરજનો વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.

(10:36 am IST)