Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

ચોટીલા અને સાયલા વચ્ચે થયેલ અકસ્‍માતઃ કાર નાલા સાથે અથડાતા કારનો કડુસલો બોલી ગયોઃ કારમાં સવાર દેવભુમિ દ્વારકા જિલ્લાના ડી.આર.ડી.એ. નિયામક અશોક વાઘેલા અને તેમના પત્ની સહિત ત્રણના મોત

સુરેન્દ્રનગર : ચોટીલા અને સાયલા વચ્ચે થયેલ એક ગમખ્વાર અકસ્‍માતમાં કાર નાલા સાથે અથડાતા કારનો કડુસલો બોલી ગયો હતો. કારમાં સવાર દેવભુમિ દ્વારકા જિલ્લાના ડી.આર.ડી.એ. નિયામક અશોક વાઘેલા અને તેમના પત્ની સહિત ત્રણના મૃત્યુ થયા હતા. જ્યારે કારમાં સવાર બાળકીનો ચમત્કારીક બચાવ થયો હતો.

આ કારમાં જામનગરનાં પાંચ લોકો જઇ રહ્યાં હતાં. આ પરિવાર જામનગરથી પાલનપુર જતો હતો. તે દરમિયાન ચોટીલા બળદેવ હોટલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.

આ અકસ્માતને પગલે સ્થાનિકો એકઠા થયા હતાં. જે બાદ પોલીસ અને 108ની ટીમને પણ જાણ કરાતા તેઓ ઘટનાસ્થળે આવી ગયા હતાં.

નોંધનીય છે કે, થોડા જ દિવસ પહેલા લીંબડી અમદાવાદ હાઇવે પર મૂળ વિજયવાડાનો અને હાલ અમદાવાદમાં નોકરી કરતા એક યુવકનાં પરિવારજનો વહેલી સવારે સોમનાથનાં દર્શન કરવા નીકળ્યા હતા. જેમાં પાંચ લોકોનાં મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક લિંબડીની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ પોલીસ અને ટ્રાફિક વિભાગે ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને એમ્બ્યુલન્સની મદદથી ઇજાગ્રસ્તનો લિંબડી રેફરલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

(12:14 pm IST)