રાજકોટ,તા. ૧૫: કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે યાત્રાધામ ચોટીલામાં એક જ દી'માં ૧૦ પોઝીટીવ કેસ નોંધાતા ભયનું મોજુ ફરી વળ્યું છે અને સુરેન્દ્રનગર જીલ્લામાં કેસોની સંખ્યા વધી હોય તેમ એક જ દી'માં ૩૧ કેસ નોંધાવા પામ્યા છે. તો કચ્છ-૧૭, ભાવનગર -૧૬, મોરબીમાં ૧૫ કેસ નોંધાયા છે. અને ખંભાળીયામાં ૪ નવા કેસ સામે ૪ દર્દી ડીસ્ચાર્જ થવા પામ્યા છે. તો સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોનાથી ત્રણના મોત પણ થવા પામ્યા છે.
કોરોનાથી મોતનો સિલસિલો યથાવત
વઢવાણ ફઝલ ચૌહાણના અહેવાલ મુજબ, સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે અને દિન-પ્રતિદિન લોકલ સંક્રમણ વધતાં પોઝીટીવ કેસો સતત વધી રહ્યાં છે અંદાજે ૨૦થી વધુ પોઝીટીવ કેસો રોજ નોંધાઈ રહ્યાં છે.
ગઈકાલે એક જ દિવસમાં જિલ્લામાં ૩૧ વ્યકિતઓને કોરોના પોઝીટીવ આવ્યો હતો અને કોરોના વિસ્ફોટ થતાં લોકોમાં ચીંતા જોવા મળી રહી હતી તેમજ બીજી બાજુ જિલ્લામાં કોરોનાથી મોતની સંખ્યા પણ દિન-પ્રતિદિન વધતાં તંત્ર સહિત લોકો માટે ચીંતાનો વિષય બન્યો છે.
જો કે સરકારી ચોપડે માત્ર મર્યાદિત કેસો જ દર્શાવવામાં આવી રહ્યાં છે.
ત્યારે જિલ્લામાં એક જ દિવસમાં વધુ ૧૯ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતાં અને જિલ્લાનો કુલ કોરોના પોઝીટીવ આંક-૩૩૯૩ થયો હતો. આ તમામ દર્દીઓને હોમ આઈસોલેશન અથવા શહેરની સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં જયારે જિલ્લામાં કોરોનાથી અંદાજે ત્રણ થી વધુ લોકોના ગઇ કાલે મોત પણ નીપજયાં હતાં.
યાત્રાધામ ચોટીલામાં ભયનું મોજું
ચોટીલા : યાત્રાધામ ચોટીલા શહેરમાં કોરોના પોઝિટિવના દસ કેસ આવતા લોકોમાં ભયનું મોજુ ફરી વળ્યું છે.
ચાર દિવસમાં આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ રેપીડ કિટ ટેસ્ટમાં ખાનગી તબીબ, મેડીસીન વિતરક અને સ્ટાફ સહિતનાં પરિવારનાં ૧૩ જેટલા સદસ્યો ઝપટમાં આવેલ છે
શહેરમાં કુલ ૧૭ જેટલા પોઝિટિવ કેસ એકટીવ છે. યાત્રાધામમાં કોરોના નો કહર વધુ વકરે તે પહેલા તંત્ર એ સજાગ બની સઘન કામગીરી કરવી જરૂરી છે.
તબીબી વ્યવસાયકારો કોરોનાં સંક્રાંમિત થતા અનેક લોકોમાં ભય છવાયેલ છે કેમ કે અનેક દર્દીઓ ડોકટરો અને મેડીકલ સ્ટોર્સ વાળાનાં સંપર્કમાં આવેલ હોવાની શકયતાઓ છે ત્યારે આરોગ્ય વિભાગ અને સ્થાનિક તંત્ર અને નાગરીકોનાં સહિયારા પ્રયાસથી ચોટીલામાં વધુ કોવીડ ન વકરે તે માટે કમર કસવી જરૂરી બનેલ છે.
કચ્છમાં એકિટવ દર્દીઓ ૨૫૫
ભુજ : ઠંડી વચ્ચે કરછમાં કોરોના ના દરદીઓ વધી રહ્યા છે. નવા ૧૭ કેસ અને ૨૫૫ એકિટવ દરદીઓ સાથે કુલ આંકડો ૩૫૯૭ થયો છે. સાજા થનાર ૩૨૨૨ દરદીઓ છે. જયારે સરકારી ચોપડે ૭૯ મોત બોલે છે.
ભાવનગરમાં ૯૨ દર્દીઓ સારવાર હેઠળ
ભાવનગરઃ જિલ્લામા વધુ ૧૬ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૫૪૦ થવા પામી છે. શહેરી વિસ્તારમા ૧૨ પુરૂષ અને ૧ સ્ત્રી મળી કુલ ૧૩ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા પાલીતાણા ખાતે ૧, સિહોર ખાતે ૧ તથા મહુવા ખાતે ૧ કેસ મળી કુલ ૩ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.
આમ જિલ્લામા નોંધાયેલા ૫,૫૪૦ કેસ પૈકી હાલ ૯૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૫,૩૭૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૯ દર્દીઓના અવસાન થયેલ છે.
મોરબી જીલ્લાના પાંચ તાલુકામાં કોરોનાના ૨૦ દર્દીઅ સ્વસ્થ થયા
મોરબી : મોરબી જીલ્લામાં કોરોના કેસો પ્રતિદિન વધી રહ્યા છે પાંચ તાલુકામાં મળીને કોરોનાના નવા ૧૫ કેસો નોંધાયા છે તો વધુ ૨૦ દર્દીઓ આજે સ્વસ્થ થયા છે.
મોરબી જીલ્લાના નવા કેસોમાં મોરબી તાલુકાના ૦૮ કેસ જેમાં ૦૫ ગ્રામ્ય અને ૦૩ શહેરી વિસ્તારમાં, વાંકાનેરનો ૦૧ કેસ ગ્રામ્ય વિસ્તારમાં, હળવદના ૦૩ કેસો શહેરી વિસ્તારમાં જયારે ટંકારામાં ૦૨ અને માળિયામાં ૦૧ કેસ ગ્રામ્ય વિસ્તારમાં મળીને નવા ૧૫ કેસો નોંધાયા છે જયારે વધુ ૨૦ દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે નવા કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૨૯૬૦ થયો છે જેમાં ૧૯૨ એકટીવ કેસ છે અત્યાર સુધીમાં કુલ ૨૫૭૩ દર્દીઓ સ્વસ્થ થયા છે.
ખંભાળિયા
ખંભાળીયા : દેવભૂમી દ્વારકામાં () સમગ્ર જિલ્લામાં માત્ર એક જ કોરોના પોઝીટીવ નીકળ્યો હતો. જે પછી ગઇ કાલે તેમાં વધારો થતા ચાર પોઝીટીવ કેસ નીકળ્યા હતાન.
કલ્યાણપુરમાં બે તથા ભાણવડ અને ખંભાળિયામાં એક એક મળીને કુલ ચાર નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતા. જેમાં ભાણવડમાં પરા વિસ્તારમાંથી એક, ખોળિયા, () વિસ્તારમાંથી એક તથા કલ્યાણપુર તાલુકાના ગઢકામાં બે કુલ નોંધાયા હતા. જ્યારે દ્વારકામાંથી એક કલ્યાણપુરમાંથી એક તથા ખંભાળિયામાંથી બે મળીને કુલ ચાર દર્દી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જિલ્લામાં હાલ એકિટવ કેસો ૪૭ છે.