Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

ભાવનગરમાં વણીક યુવકનું અપહરણ : ૩૦ લાખની માંગણી

'નીરમા' કંપનીના કર્મચારી વિક્રમભાઇ શાંતિભાઇ શેઠને પોલીસે પાળીયાદ નજીક વાડીમાંથી બાંધેલી હાલતમાંથી છોડાવ્યા : અપહરણકારોની શોધખોળ

ભાવનગર, તા. ૧પઃ ભાવનગર શહેરમાં વણીક યુવાનનું અપહરણ કરી રૂ.૩૦ લાખની માંગણી કરાઇ હતી. પોલીસે ગણતરીની કલાકોમાં પાળીયાદ નજીક વાડીમાં બાંધી રાખેલા વણીક યુવાનને છોડાવ્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના સુભાષનગર નેપરલ પાર્કમાં રહેતા અને નીરમા કંપનીમાં નોકરી કરતા વિક્રમભાઇ શાંતિભાઇ શેઠ સુભાષનગર દેરાસર ખાતે ધોતી-ખેસ પહેરી પૂજા કરવા ગયા હતા. ત્યાંથી પરત ન આવતા તેના પત્ની હિનાબેન શોધખોળ શરૂ કરતા રસ્તામાં સ્કૂટર મળી આવ્યું હતું.

આથી તેઓની ચિંતા વધવા લાગી. દરમ્યાન વણીક યુવાનનો મોબાઇલ ઘરે હતો એ મોબાઇલમાં ગોપાલ નામના કોઇ શખ્સે ફોન કરી અને વિક્રમનું અપહરણ કર્યું છે અને રૂ. ૩૦ લાખ આપો તો જ છોડશું.

એમ કહેતા ગભરાઇ ગયેલ આ વણીક પરિવારે પોલીસને જાણ કરી હતી.

આ અંગે બી-ડીવીઝન પોલીસને ગોપાલ નામના શખ્સની માહિતી મળતા પોલીસે મોબાઇલના આધારે લોકેશન ટ્રેક કરી પાળીયાદ નજીક એક વાડીમાં બાંધી રાખેલા વિક્રમ શેઠને શોધી મુકત કર્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ ટૂંક સમયમાં ઝડપાઇ જશે.

(1:09 pm IST)