Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

માળીયામિયાણા પાસે મચ્છુ નદીમાંથી અજાણ્યા આધેડની લાશ મળીઃ હત્યા થયાની શંકા

મોતનું કારણ જાણવા લાશને ફોરેન્સીક પીએમ માટે રાજકોટ ખસેડાઇઃ પેટના ભાગે ગંભીર ઇજા હોય હત્યાની શંકાઃ ઓળખ મેળવવા તપાસનો ધમધમાટ

માળીયા મીંયાણા તા. ૧પ :. માળીયા મીંયાણા નજીક મચ્છુ નદીમાંથી અજાણ્યા આઘેડની લાશ મળી આવી છે પોલીસે હત્યા થઇ હોવાની દ્રઢ શંકાએ તપાસ હાથ ધરી છે.

 

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા નજીક મચ્છુ નદીમાંથી આશરે ૪પ વર્ષની વયના એક અજાણ્યા પુરૂષની લાશ મળી આવી છે અન બનાવની જાણ થતા માળીયા પીએસઆઇ બી. વી. ઝાલા સહિતના કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે અને લાશને માળીયા હોસ્પિટલમાં ખસેડીને તપાસ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર લાશ કોહવાયેલી હોવાથી આ બનાવ ત્રણ દિવસ પહેલાનો હોવાનું અનુમાન છે અને મૃતક પરપ્રાંતીય હોવાનું તારણ છે જો કે મૃતકના પેટના ભાગની ગંભીર હાલત જોતા તેની હત્યા થયાની પોલીસને પ્રબળ શંકા છે મૃતકને કોઇ મારીને લાશને નદીમાં ફેંકી દીધી હોવાની પોલીસને દ્રઢ શંકા છે. માળીયા પોલીસે લાશને ફોરેન્સીક પી. એમ. માટે રાજકોટ હોસ્પીટલમાં ખસેડી છે. પી. એમ. રીપોર્ટ બાદ મોતનું સાચુ કારણ બહાર આવશે. બીજી બાજુ પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.

(11:51 am IST)