Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે ગુજરાતની યુવા શકિતનો થનગનાટ ઉડીને આંખે વળગે તેવો : વિજયભાઇ રૂપાણી

સુરેન્દ્રનગરમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત યુવા સંમેલન યોજાયું

વઢવાણ - સુરેન્દ્રનગર તા. ૧૬ : રાજય સરકારે ગુજરાતના યુવાધનને વિશેષ તકો - પ્રોત્સાહન આપવાની પ્રણાલી વિકસાવીને તેને અગ્રિમતા આપી છે. ગુજરાતનો યુવાન ગ્લોબલ યુથ બને, વિશ્વનાં શ્રેષ્ઠ જ્ઞાન - કૌશલ્યનો એને લાભ મળે તે માટે શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રકચર - રિચર્સ ફેસિલિટી, ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટની તક યુવાશકિતને ઘર આંગણે મળે તેવી પહેલ આપણે કરી છે અને એટલા માટે જ શ્રેષ્ઠ ભારતનાં નિમાર્ણ માટે આપણા ગુજરાતની યુવાશકિતનો થનગનાટ ઉંડીને આંખે વળગે તેવો છે, તેમ રાજયનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજરોજ વઢવાણ ખાતે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત યુવાનોને સંબોધન કરતા જણાવ્યુ હતું.

સુરેન્દ્રનગરમાં આન – બાન અને શાન સાથે થઈ રહેલી ૭૨ માં સ્વાતંત્ર્ય પર્વની રાજયકક્ષાની ઉજવણીમાં સહભાગી થવા આજરોજ રાજયનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી વઢવાણ ખાતે જિલ્લા તંત્ર દ્વારા આયોજિત વિશાળ યુવા સંમેલનમાં પ્રેરક ઉપસ્થિત રહયા હતા અને અને આ યુવા સંમેલનનો મંગલદીપ પ્રગટાવીને શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ આ તકે યુવાઓને જણાવ્યુ હતુ કે, નવા ભારતનાં નિમાર્ણ માટે ગુજરાતની યુવાશકિત પોતાનું મહતમ યોગદાન આપે તે બાબતને અગ્રતા આપીને સરકાર યુવાનોનાં શૈક્ષણિક વિકાસની સાથે કૌશલ્ય નિમાર્ણ માટે સતત પ્રયત્નશીલ રહી છે.

ભૂતકાળમાં રાજયમાં ૭ યુનિવર્સીટીઓ હતી. જેની સામે આજે ગુજરાતમાં ૫૬ જેટલી યુનિવર્સીટીઓ કાર્યરત છે. તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર દેશમાં ફોરેન્સીંગ સાયન્સ યુનિવર્સિટી એકમાત્ર ગુજરાતમાં જ કાર્યરત છે તથા આગામી દિવસોમાં રાજયના રાજપીપળા ખાતે ટ્રાયબલ યુનિવર્સીટીનો પ્રારંભ કરવાનું આયોજન પણ છે. તેમ પણ કહયું હતુ.

મુખ્યમંત્રીશ્રીએ રાજયના યુવાનોને સાધનસંપન્ન કરી તેમને યોગ્ય તક પૂરી પાડી દેશને પરમ વૈભવના શિખર ઉપર લઈ જવા સરકાર કાર્યશીલ છે, તેમ જણાવી ઉપસ્થિત યુવાવર્ગને નયા ભારતના નિર્માણ માટે આગળ આવી સહયોગી બનવા અનુરોધ કર્યો હતો.

રાજયમાં ૪૦૦ થી વધુ આઈ.ટી.આઈ. દ્વારા બે લાખ જેટલા યુવાનોના કૌશલ્યના વિકાસનો યજ્ઞ આરંભાયો છે, મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના થકી રાજયના યુવાનો દેશ-દુનિયા સાથે ખભે ખભા મિલાવી આગળ વધે તે માટેનું કાર્ય પણ રાજય સરકારે હાથ ધર્યું છે.

તેમણે યુનિવર્સિટી - વિશ્વવિદ્યાલયમાં ભણનારો રાજયનો પ્રત્યેક યુવાન જ્ઞાનપુંજ બને તે દિશામાં સરકાર કાર્યરત છે, તેમ જણાવી એ વધુમાં ઉમેર્યું હતું કે, યુવાનોના સપનાઓની પૂર્તતા માટે સરકાર કટિબદ્ઘ છે અને નયા ભારતના નિર્માણ માટે યુવાશકિતને જોડીને સરકાર આગળ વધી રહી છે. 'હમ દિન ચાર રહે ના રહે, માં તેરા વૈભવ અમર રહે'ના શુભ ભાવ સાથે વીર શહીદોએ શહાદત વહોરીને આપણને મહામૂલી આઝાદી અપાવી છે, તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ દેશને સ્વરાજય મળ્યું છે, તેને સુરાજય બનાવવા રાજય સરકારે વિકાસની રાજનીતિ દ્વારા આગવા પ્રકારનું કાર્ય હાથ ધર્યું છે, તેમ પણ ઉમેર્યું હતું.

સમારોહમાં પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યુ હતુ કે, ગુજરાતનાં યુવાનોના સર્વાંગી વિકાસ માટે રાજય સરકાર સતત કાર્યશીલ છે. કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા યુવાનો માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકેલ છે અને રોજગારી વધારવા માટે સરકાર સતત સક્રિય છે.

યુવા સંમેલનમાં ટેકનિકલ એજયુકેશન ગાંધીનગરનાં કે.કે. નિરાલાએ યોજનાકિય વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી તેમજ યુવાનોએ ટેબ્લેટનો મહત્ત્।મ ઉપયોગ કરી શિક્ષણક્ષેત્રે અગ્રેસર થવા અનુરોધ કર્યો હતો.

યુવા સંમેલનમાં રાજયનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સમારોહ સ્થળે તંત્ર દ્વારા આયોજિત 'આઝાદી કી નિશાનીયા' પ્રદર્શનનુ ઉદ્દઘાટન કર્યુ હતું, તેમજ એપ્રેન્ટીસ કરાર પત્રોનું વિતરણ, એકમનાં પ્રતિનિધિશ્રીનું સન્માન, દિવ્યાંગોનું સન્માન કરવામાં આવ્યુ હતું અને જમીન ફાળવણીની સનદનું વિતરણ કરવામાં આવ્યુ હતું તેમજ મુંખ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને ટેબલેટનું વિતરણ કર્યું હતું.

આ તકે સરકારશ્રીની એપેન્ટીસ યોજનાનો લાભ લેનાર તાલીમાર્થી કું. મોનાલીસા ચૌહાણે તેમજ ઔધોગિક એકમનાં પ્રતિનિધિશ્રી મીતુલભાઇ અંબાલાલભાઇ પટેલે સાફલ્ય ગાથાઓ વર્ણવી હતી. આ તકે એપ્રેન્ટીસ યોજના અંગેની ડોકયુમેન્ટરી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમની શરૂઆતમાં તારક મહેતાનાં ઉલટા ચશ્મા સીરીયલનાં કલાકાર સર્વશ્રી નટુકાકા, બાધો તથા બાવરીએ તેમની આગવી શૈલીમાં સ્વચ્છતા અભિયાનનો સંદેશો આપેલ હતો

યુવા સંમેલનમાં સાંસદશ્રી દેવજીભાઇ ફતેપરા, ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલ, રાજકોટ રેન્જ આઈ. જી. શ્રી સંદિપસિંહ, જિલ્લા કલેકટરશ્રી કે. રાજેશ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષકુમાર બંસલ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મનિન્દરસિંહ પવાર, નિયામકશ્રી સી. જી. પટેલ, નગરપાલિકાના પ્રમુખશ્રી વીપીન ટોળિયા, પૂર્વ સાંસદશ્રી શંકરભાઈ વેગડ, પૂર્વ ધારાસભ્ય સર્વશ્રી કિરીટસિંહ રાણા, શ્રીમતી વર્ષાબેન દોશી, અગ્રણી સર્વશ્રી દિલીપ પટેલ, જગદિશ મકવાણા, ઋત્વિક પટેલ, અનિરૂધ્ધસિંહ પઢિયાર, આ પ્રસંગે વિશાળ સંખ્યામાં યુવાનો પદાધિકારીઓ-અધિકારીઓ જિલ્લાના અગ્રણીઓ અને નગરજનો ઉપસ્થિત રહયા હતા.

(3:47 pm IST)