Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

કાર્તિકી પુર્ણિમા મેળામાં જેલના કેદીઓએ બનાવેલા ભજીયા સ્ટોલ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

વિશ્વાસ સંપાદન કરનારા પાકા કામના કેદીઓ હાથકડી કે પોલીસ પહેરા વગર બનાવે છે સ્વાદિષ્ટ ચીજવસ્તુઓ

વેરાવળ-પ્રભાસ-પાટણ તા.૧૩: સોમનાથ કાર્તિક પ્રર્ણિમા મેળા રસિકોને રાજકોટ મધ્યસ્થ જેઇલના કેદીઓ દ્વારા બનતા ગરમાગરમ મેથી ભાજીના ભજીયાના ગોટા દાઢે વળગ્યા છે.

રાજય જેઇલ અધિક પોલિસ મહાનિર્દેશક ડો.રાવ અને રાજકોટ જેઇલના એસ.પી.બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ સોમનાથ મેળામાં ટીપ વડા અને જેઇલ રેકટરી મેનેજર એ.એસ.પરમાર સંચાલન કરે છે.

ટીમવડા અધિકારી અરવિંદ પરમાર કહે છે ''આ સ્ટોલમાં રાજકોટ જેઇલમાં સજા ભોગવતા પાકા કામના ૯ કેદીઓ અને જેઇલનો ૯ સ્ટાફ અત્રે આવેલ છે.

આ સ્ટોલમાં કેદીઓ દ્વારા બનાવાતા ભજીયાં ગુણવત્તા શુધ્ધતા, સ્વચ્છતા-સારું તેલ ચણાનો લોટ,વેસણ મેથી-મરી-ધાણાજીરૃં સાથે ચટાકેદાર સ્વાદપ્રચુર બનાવવામાં આવે છે જે ભજીયાં મેળા રસિકોને આંગળા ચાટતા કરી દે તેવી દાઢે વળગે છે. આ ભજીયા ભાવ રૂપીયા ૧૫૦ કિલો છે પરંતુ લોકોને પરવડે તેટલાં એટલે કે રૂપીયા પંદરથી માંડી રૂપીયા ૧૫૦ લેખે જેટલાં જોઇએ તેટલાં સ્ટોલે આપવામાં આવે છે.

સ્ટોલ ખાતે વેચાણ કરતા કે તેલની કડાઇમાં ઝારાથી ભજીયાં તળતા કે જીણી-જીણી મેથી ભાજી સમારતા તો કોઇ મરી-મસાલા નાખતા જોઇ લોકો આશ્ચર્ય પામે છે.

જેમાંના કેટલાક ગંભીર હત્યા કે મોટા બનાવમાં આજીવન કેદની સજા ભોગવતા હોય છે તેઓને અહીં હાથકડી કે તેમની ઉપર ગંભીર પોલિસ પહેરો ન હોવા છતાં જેમાંનો એક પણ કેદી ભાગતો નથી અને ભજીયા હાઉસમાં વફાદારીથી ફરજ બજાવે છે.

ઓપન ભજીયા હાઉસમાં પસંદગી કઇ રીતે મેળામાં કે શહેરોના જાહેર સ્ટોલમાં લઇ આવૃતા કેદીઓ જેની ચાલચલગત સારી હોઇ જેલમાં કોઇ પણ શિક્ષાત્મક પગલા ભરાયા ન હોય જેઇલમાં રજા ઉપર ગયા બાદ પરત ફર્યા હોય અને ૫૦ ટકાથી વધુ સજા ભરાઇ ગઇ હોય અને ભરોસો સંપાદન કર્યો હોય તે લોકોને આમાં જોડવામાં આવે છે.

સોમનાથ મેળામાં જેઇલ ફેકટરી મેનેજર ઉપરાંત સુબેદાર હરેષ ટાંક તેમજ પાંચ કોન્સ.વેચાણ-સલામતી અને વ્યવસ્થા ધ્યાન રાખે  છે.

ભજીયા હાઉસ એટલે ખુલ્લી જેઇલ આ પ્રવૃતિ પ્રારંભ ૧૯૯૭માં અમદાવાદમાં યોજાયેલ એન.જી.મેઇકથી જેઇલવાસીઓને સ્વાવલંબન માટે વિચાર આવ્યો અને તા.૧૮-૨-૧૯૯૮ના રોજ અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે પ્રથમ ભજીયા હાઉસ ખોલાયું જેને આજે પણ લોકો સુભાષબ્રિજની સાથે ભજીયા બ્રિજ તરીકે ઓળખે છે અમદાવાદથી પ્લેનમાં વિદેશ જતા લોકો પણ આ સ્વાદિષ્ટ ભજીયાની અચૂક મોજ માણે છે.

રાજકોટ જેઇલમાં અંદાજે ૧૬૦૦ થી વધારે કાચાકામ-પાકાકામ કેદીઓ છે જેમા ચલાવતા ગૃહઉદ્યોગના વેચાણનું સવાસો કરોડનું વાર્ષિક ટર્ન ઓવર છે.

જેઇલમાં વણાટ, સુથારી, ધોબીકામ,દરજીકામ બેકરી,હેરકટીંગ વોકશનલ તાલીમબધ્ધ કરાય છે સ્ટડી સેન્ટરમાં કેદી ભણી પણ શકે છે. ઇગ્નુ નેશનલ યુનિ ઓપન સેન્ટરમાં કેદી ધોરણ ૧૦,૧૨ અને ઉંચ્ચ અભ્યાસ કરી શકે છે. લાયબ્રેરી સુવિધા જેમાં સકારાત્મક પુસ્તકો રખાયેલા છે.

સરકારનો મુળ ઉદ્દેશ જેઇલમાંથી સજાપુરી થયે મુકત થતા કેદીઓ સ્વાભિમાન-સ્વાવલંબન-સન્માનપુર્વક જીવી શકે અને ભારતના સારા નાગરિક બની પ્રમાણિકતાથી આજીવીકા મેળવી શકે તેવી તાલીમ અને સારા જીવનધોરણના વિચારો અપાય છે.

(11:44 am IST)