Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

તરણેતર મેળાનો બીજો 'દિઃ ગ્રામીણ ઓલ વિકાસનાં વિજેતાઓનું સન્માન

સુરેન્દ્રનગર જીલ્લાને સાંસ્કૃતિક વિરાસતનો સમૃધ્ધ વારસો મળ્યો છેઃ ગણપતભાઇ વસાવા આજે પાળીયાદનાં પૂ. નિર્મળાબાના હસ્તે ધાજારોહણ

વઢવાણ, તા.૧૩: કંકુવરણી ભોમકામાં પ્રતિવર્ષ યોજાતા પાંચાળની લોકસંસ્કૃતિને ઉજાગર કરતા જગ વિખ્યાત તરણેતરના લોકમેળાનો આજથી શુભારંભ થયો હતો.

આદિજાતિ વિકાસ, પ્રવાસન, વન, મહિલા અને બાળકલ્યાણ મંત્રીશ્રી ગણપતભાઇ વસાવા, કલેકટરશ્રી કે. રાજેશ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષકુમાર બંસલ, પ્રાંત અધિકારીશ્રી વી.કે. પટેલ, સહિત અન્ય મહાનુભાવોએ ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન - અર્ચન કર્યું હતું. મંત્રીશ્રી ગણપતભાઇ વસાવાએ દિપ પ્રાગટય કરી તરણેતર લોકમેળાને ખુલ્લો મુકયો હતો.

તરણેતર લોકમેળાને ખુલ્લો મુકયા બાદ મંત્રીશ્રી ગણપતભાઇ વસાવાએ  જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લાને મોટી સાંસ્કૃતિક વિરાસતનો સમૃધ્ધ વારસો મળેલ છે. ભારતની સંસ્કૃતિ ઉત્સવપ્રિય સંસ્કૃતિ છે. જે પ્રાચીનકાળથી મેળાઓ સાથે જોડીને જળવાઇ રહી છે. આ મેળામાં યોવન, રંગ, મસ્તી, લોકગીત, લોકનૃત્ય, લોકસંસ્કૃતિ માણવાનો અવસર મળે છે.

મંત્રીશ્રી તેમજ મહાનુભાવોએ રાજય સરકારના માહિતી વિભાગ દ્વારા પ્રદર્શિત ગુજરાતના વિકાસને ઉજાગર કરતા પ્રદર્શન તેમજ આરોગ્ય અને પશુપાલન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલ પ્રદર્શનને રીબન કાપી ખૂલ્લા મૂકયા હતા તેમજ મંત્રીશ્રીએ ગૌપુજન કર્યું હતું.

તરણેતરના આ લોકમેળામાં મંત્રીશ્રીએ મેળાના આકર્ષણ સમા ગ્રામિણ ઓલમ્પિકસનું ઉદ્દઘાટન કરી ગ્રામિણ ઓલમ્પિકસનું પણ ઉદ્દઘાટન કરેલ હતું. મંત્રીશ્રીએ ગ્રામીણ ઓલમ્પિકસમાં ૧૦૦ મીટર દોડની રમતને પ્રસ્થાન કરાવ્યું હતું. મંત્રીશ્રીના હસ્તે ૧૫૦૦ મીટર તથા ૮૦૦ મીટર દોડમાં પ્રથમ, દ્વિતિય અને તૃતીય સ્થાને આવેલ ખેલાડીઓને પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવેલ હતાં. 

 કેવડા ત્રીજના શુભ દિને ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના પુજારીશ્રી છગનગીરી બાપુએ મંત્રીશ્રી તથા મહાનુભાવોને શાલ ઓઢાડી સત્કાર્યા હતા તેમજ પ્રકાશગીરી બાપુએ પુજા- અર્ચન વિધિ કરાવી હતી. આજે મેળાનો બીજો દિવસ છે. પાળીયાદનાં પૂ. નિર્મળાબાના હસ્તે ધાજારોહણ કર્યુ હતું.

 આ પ્રસંગે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરના કમિશ્નરશ્રી સતિષભાઇ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી પી.કે. પરમાર, જિલ્લા રમતગમત અધિકારીશ્રી બળવંતસિંહ ચૌહાણ, મામલતદારશ્રી, અગ્રણી સર્વશ્રી દિલીપભાઇ પટેલ, વિજયભાઇ ભગત, પ્રતાપભાઇ ખાચર, સરપંચશ્રી વનિતાબેન વજાભાઇ ખમાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.

ગુજરાતની વિકાસગાથાને પ્રદર્શિત કરતાં માહિતી ખાતાના પ્રદર્શનને ખુલ્લું મુકતા ગણપતભાઇ  વસાવા

 ગુજરાતની ગ્રામિણ સંસ્કૃતિને ઉજાગર કરતા પાંચાળ ભૂમિના સુપ્રસિધ્ધ તરણેતરના ભાતીગળ લોકમેળામાં ગુજરાતની વિકાસની ગાથાઓને રજુ કરતાં માહિતી ખાતા દ્વારા પ્રદર્શિત વિકાસલક્ષી પ્રદર્શનને આદિજાતિ વિકાસ, પ્રવાસન, વન, મહિલા અને બાળ કલ્યાણના મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા તથા જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખૂલ્લુ મુકયુ હતું.

ગુજરાતે સાધેલા વિકાસની સિધ્ધિને સુંદર તસ્વીરો દ્વારા આકર્ષક રીતે રજુ કરવા બદલ માહિતી ખાતાને અભિનંદન આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસના ચિત્રનો સમન્વય સાધીને પ્રચાર માધ્યમ દ્વારા ગ્રામિણ સંસ્કૃતિ વિશ્વ સ્તરે પ્રખ્યાત થઈ છે. પ્રદર્શનએ પ્રચાર - પ્રસારનું સબળ માધ્યમ છે અને તેના દ્વારા આમ પ્રજાને સરકારની વિવિધ યોજનાઓની જાણકારી મળી રહે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જયાં ગ્રામ્ય પ્રજા સૌથી વધુ આવે છે તેવા આ તરણેતરના મેળામાં અત્યાધુનિક ડોમમાં દરેક વિષય વસ્તુને આવરી લેનારી ભવ્ય તસ્વીરો વિકાસની ગાથા રજુ કરે છે. માહિતી ખાતા દ્વારા યોજાયેલા આ પ્રદર્શનમાં રાજય સરકારે સાધેલી વિકાસ યાત્રાની આછેરી ઝલક તસ્વીરો દ્વારા રજુ કરાઇ છે. જેમાં ગુજરાતના વિકાસની ઝાંખી પ્રદર્શિત થાય છે. 

મેળાની મુલાકાત લેતા લોકસમુહને માહિતી ખાતા દ્વારા યોજાયેલ પ્રદર્શનની મુલાકાત લેવા હાર્દિક આમંત્રણ અપાયું છે.(૨૨.૪)

(11:58 am IST)