Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

મનરેગા હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી આપવામાં ભાવનગર જિલ્લો સમગ્ર રાજયમાં પ્રથમ

૧૨૯ ગ્રામ પંચાયતમા ૩૭ હજારથી વધુ શ્રમીકોને મળી રહી છે રોજગારી

ભાવનગર, તા.૧૨: ભાવનગર જિલ્લામાં રાજય સરકાર દ્વારા મનરેગા હેઠળના કામો શરૂ કરવાની મંજૂરી મળતા જિલ્લાની ૧૨૯ ગ્રામ્ય પંચાયતમા આ કામો શરૂ કરી દેવામા આવ્યા છે અને જેના થકી હાલ ૩૭,૫૧૯ શ્રમીકોને જિલ્લામાં રોજગારી મળી રહી છે. આ આંકડા જાહેર થતાની સાથે જ ભાવનગર જીલ્લો સમગ્ર રાજયમા મનરેગા હેઠળ ગ્રામીણ વિસ્તારોમા રોજગારી આપવામા પ્રથમ સ્થાને છે.

આ અંગે વધુ વિગતો આપતા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેકટર શ્રી ધર્મેશ પટેલે જણાવ્યું હતું કે સ્થાનિક ભંડોળ ઊભું કરવા તેમજ ગ્રામીણ રોજગારી પ્રદાન કરવાના હેતુથી શરૂ કરાયેલ મનરેગા યોજના હેઠળ મહત્ત્।મ લોકોને રોજગારી મળે તે પ્રકારે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા છે. જેમા જુના ઉપરાંત ૫ હજાર જેટલા નવા જોબ કાર્ડ ઇસ્યુ કરાયા છે તેમજ નવા દર મુજબ શ્રમિકોનુ ભથ્થુ રૂ.૨૨૪ મુકરર કરવામાં આવ્યું છે.

આ યોજના હેઠળ રોજગારીની સાથે સાથે ગ્રામીણ વિકાસ પણ કરવામા આવી રહ્યો છે. જે અંતર્ગત તળાવો, ચેકડેમો, રિવર રીજયુવીનેશન પ્રોજેકટ અંતર્ગત ડિસલ્ટીંગ, સામાજિક વનીકરણ હેઠળના વૃક્ષારોપણના કામો, વોટરશેડ પ્રોજેકટ અંતર્ગતના કામો પણ તબક્કાવાર શરૂ કરી આગામી સમયમા તમામ ગ્રામ પંચાયતને નરેગાના કામ હેઠળ આવરી લેવામાં આવશે.

શ્રી ધર્મેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે મનરેગા હેઠળના કામોનું સુચારૂ સંચાલન થાય તે હેતુથી તમામ તાલુકા સ્તરે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ૬૫થી વધુ કર્મચારીઓ/અધિકારીઓ કામગીરી કરી રહ્યા છે. જેમના દ્વારા કામોની યાંત્રિક/વહીવટી મંજૂરી, મસ્ટર જનરેટ, જીઓ ટેગીંગ કામનું માળખું, માર્ગદર્શન, મેજરમેન્ટ બુક, સોફ્ટવેર દ્વારા હાજરી, વેતનની ચુકવણી વગેરે જેવી કામગીરી અસરકારક રીતે નીભાવાઈ રહી છે. શ્રમીકોને તેમનું વેતન ૭ દિવસમા જ મળી રહે તેવી સુચારૂ વ્યવસ્થા પણ તંત્ર દ્વારા ઉભી કરાઇ છે.

 

(10:47 am IST)