News of Saturday, 12th January 2019
જૂનાગઢ તા.૧૨ : ઉતરાયણ એટલે પતંગ ચગાવવાનો તહેવાર, આપણાં દેશનાં તહેવારો ધર્મ સાથે સંકળાયેલ હોય છે, પરંતુ પતંગનો એક જ એવો તહેવાર છે જેમાં પ્રકૃતિની સંગે પતંગરસીયાઓ ઉત્સવને માણે છે. આપણાં દેશમાં અનાદીકાળથી પતંગનો મહિમા વર્ણવાયો છે. ૧૪મી જાન્યુઆરીના રોજ ગુજરાતમાં તેને અનોખા ઉલ્લાસમય વાતાવરણમાં ઉજવવામાં આવે છે. પતંગને આકાશમાં ચઢાવવાનો ઉત્સાહ અનરો હોય છે. લોકો ઉત્સાહિ લોકો નાના, મોટા કદની, નીતનવા પ્રકાર- આકારની, રંગબેરંગી પતંગો ચગાવીને આકાશને સંપૂર્ણ ભરી દે છે. અબાલવૃદ્ઘ સૌ પતંગ ચગાવવાનો આનંદ લૂંટે છે. મકાનની અગાશીઓમાં લોકો ઉમટી પડે છે. યેનકેન પ્રકારે પ્રતિસ્પર્ધીઓની પતંગને કૌશલ્યભેર કાપીને આનંદ લૂંટવાનો અને આખો દિવસ ગુજરાતની પરંપરાગત પ્રખ્યાત વાનગીઓનો લુફત ઉઠાવવામાં આવે છે. આ પર્વે આખો દિવસ ચોમેરથી 'કાઇપો છે' અને 'લપેટ'ના નાદ ગુંજતા રહે છે.
આવા પ્રસંગે જૂનાગઢ પોલીસ તાલીમ મહાવિદ્યાલયની તાલીમાર્થી મહિલા લોકરક્ષકદળ નં ૧૩ અને ૮ની બહેનો અને રીફ્રેશર તાલીમાર્થી ભાઇઓ જયારે ૧૭ જાન્યુઆરીએ પાસીંગ પરેડ બાદ પોતાનાં કાર્યફલક પર વિદાય લેનાર હોય આ તાલીમાર્થી પતંગોત્સવથી વંચીત ના રહે અને વિવિધ જિલ્લાઓમાંથી તાલીમનાં ભાગરૂપ સાથે મળેલા સૈા તાલીમાર્થી એક ગ્રાઉન્ડ પર પતંગ ચગાવી તહેવારની ઉજાણી કરે તેવુ આયોજન પોલીસ તાલીમ મહાવિદ્યાલયનાં આચાર્ય એમ.એમ. અનારવાલાએ કર્યુ હતુ. આ પ્રસંગે રેન્જ આઇ.જી. શ્રી સુભાષ ત્રિવેદી મહિલા તાલીમાર્થીઓને પર્વોત્સવમાં પ્રોત્સાહિત કરવા ખાસ ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતાં સુભાષ ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે સામાન્ય રીતે પોલીસ ફોર્સનાં જવાનો તહેવારો દરમ્યાન લોકરક્ષા કાજ પોતાની ફરજ પર તૈનાત હોય છે, પણ તાલીમ મહાવિદ્યાલય ખાતે તાલીમ સંપન્ન મહિલા તાલીમાર્થીઓ માટે મકરસંક્રાંતનો તહેવાર યાદગાર અવસર બની રહે તેવુ આયોજન કરી આજે ઉતરાયણ પુર્વે આયોજન થયુ એ સૈા માટે સંભારણું બની રહેશે. પોલીસ તાલીમ મહવિદ્યાલય ખાતે વણવપરાશી કેટલાક લોખંડનાં ભંગાર પાઈપ અને પતરાનું સુંદર આયોજન કરી વેસ્ટ માંથી બેસ્ટની ઉકિત સાર્થ કરતા અહીં ઘુંમલી(ઝુંપડી) બનાવવામાં આવી છે જે સૈા તાલીમાર્થીને ઉપયોગી બની રહેશે ત્યારે તાલીમાર્થીઓને સંદેશો મળ્યો કે વણઉપયોગી ચીજો પણ યોગ્ય આયોજન થકી વપરાશી બની શકે છે.
આ પ્રસંગે પોલીસ તાલીમ મહાવિદ્યાલયનાં આચાર્ય મહમદ અનારવાલાએ તાલીમાર્થીઓને સંબોધતા જણાવ્યુ હતુ કે પતંગ હમેંશા વ્યકિતને હકારાત્મક ભાવ કેળવવા શીખ આપે છે ત્યારે ફરજ દરમ્યાન હકારાત્મક દ્વારા લોકસેવાની સાથે સંઘભાવના કેળવી ફરજમાં નિષ્ઠા સાથે સૈાનાં જીવનમાં પતંગોત્સવ સામાજિક સમરસતા અને સૌહાર્દ સાથે આનંદ ઉલ્લાસનો ઉત્સવ બની રહે, સૂર્યનારાયણની ઉર્ધ્વગતી જેમ જીવન વિકાસ યાત્રા માટે પણ સ્કાય ઇઝ ધ લિમિટ બની રહે તેવી નેમ રાખી છે.ઙ્ગસાથે પતંગ રસીયાઓએ પતંગ ચગાવતી વેળાએ પક્ષીઓની તકેદારી રાખવા પણ અનુરોધ કરતા જણાવ્યુ હતુ કે ઉતરાણ તેની સાથે હજારો પક્ષીઓ માટે ઘાતક સંદેશ પણ લાવે છે. અચાનક આકાશ પતંગના આકાશી યુદ્ઘનું રણમેદાન બની જાય છે અને ધારદાર દોરાઓની વચ્ચે પંખીઓ-પારેવાઓ અટવાઇ જાય છે. 'કરૂણા અભિયાન' એ આવા ઘાયલ પક્ષીઓને બચાવવાનો પ્રયાસ છે. ત્યારે આપણે જાગૃત પ્રહરી બની લોકોને શુ કરવું શું ન કરવું તેની સૂચના-માર્ગદર્શન આપીને પણ જવાબદાર નાગરિક પોતાની ફરજ નિભાવી શકીએ છીએ. આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ.એમ.ગોહીલ, શ્રી વાણીયા, તથા શિક્ષણક્ષેત્રનાં અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા. (૨૧.૩)