Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

સૌરાષ્ટ્રના સાગરકાંઠાના વિસ્તારોમાં ૫ થી ૭ ઈંચ વરસાદ પડવા સંભાવના

ઈસરો સાથે તંત્ર સતત સંપર્કમાં : બીચ વિસ્તારમાં નહિં જવા પ્રવાસીઓને તાકીદ

ગાંધીનગર : આ વાવાઝોડું ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના દરિયાઇ-કાંઠાળા વિસ્તારને વધુ અસર કરશે. વાવાઝોડા દરમિયાન સમુદ્રના મોજાં બે મીટરથી વધુ ઉછળવાની સંભાવના છે. પવનની ઝડપ ૮૦ કિ.મી.થી વધીને ૧૦૦ કિ.મી. સુધી પહોંચવાની સંભાવના છે. કેટલાંક વિસ્તારોમાં પાંચ-સાત ઇંચ જેટલો ભારે વરસાદ પડવાની પણ સંભાવના છે. (અમુક હવામાન શાસ્ત્રી ૧૧૦ થી ૧૨૦ કિ.મી. સુધી ઝડપે ફૂંકાશે તેમ કહે છે.)

 સંભવિત વાવાઝોડાની સ્થિતિ સંદર્ભે રાજય સરકાર ભારતના હવામાન ખાતા અને ઇસરો સાથે સતત સંપર્કમાં રહીને પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહી છે. ખાસ કરીને રાહત-બચાવ કામગીરી કરનારી એજન્સીઓ, લશ્કર, હવાઇદળ, તટરક્ષક દળ, નેશનલ ડિઝાસ્ટર રેસ્કયુ ફોર્સ અને સ્ટેટ ડિઝાસ્ટર રેસ્કયુ ફોર્સને સજ્જ કરવામાં આવ્યા છે.

વાવાઝોડાની સ્થિતિને ધ્યાને લઇ પ્રવાસીઓને દરિયાકિનારે કે બીચ ઉપર સહેલગાહે નહીં જવા પણ જણાવાયું છે.

અધિક મુખ્ય સચિવ પંકજકુમારે બોલાવેલ બેઠકમાં લશ્કર, હવાઇદળ, કોસ્ટગાર્ડ, એનડીઆરએફ, એસડીઆરએફના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત રાજય સરકારના સંબંધિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓને ઉપસ્થિત રહી સંભવિત વાવાઝોડાની સ્થિતિ સંદર્ભે સમીક્ષા કરી હતી.

(2:15 pm IST)