Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીમે મોંઘવારી-ખેડુતોના પ્રશ્ને ઢોલ નગારા વગાડી વિરોધ નોંધાવ્યો

અમરેલી : ધારાસભ્ય અને વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ મોંઘવારી અને ખેડૂતોના પ્રશ્નોના મુદ્દે સરકારનો વિરોધ કરવા શનિવારે ઢોલ-નગારાં વગાડી વિરોધ નોંધાવ્યો હતો. શનિવારે કોંગ્રેસ દ્વારા અમરેલી જિલ્લાનાં અલગ અલગ ગામોમાં આ ઘંટનાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જોકે આ કાર્યક્રમની તેમણે અગાઉથી જાણકારી આપી હતી.

અમરેલીના રાજકમલ ચોકમાં પરેશ ધાનાણીએ નગારું વગાડી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. મોંઘવારી મુદ્દે લોકોનો અવાજ ભાજપ સરકાર સાંભળતી ન હોવાનો કોંગ્રેસે આક્ષેપ મૂકી તેના કાન ખોલવા આ વ્યંગ્યાત્મક વિરોધ નોંધાવ્યો છે. આ સિવાય એક દિવસના પ્રતીક ઉપવાસ પણ કરવામાં આવ્યા હતા.

આ સિવાય ખેડૂત આંદોલનના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા રવિવારે રસ્તા રોકો અને જેલભરો આંદોલન કરવામાં આવશે.

ગત આઠ જૂનથી કોંગ્રેસ ખેડૂતોના વિવિધ મુદ્દે ચાલી રહેલા આંદોલનને સમર્થન કરી રહી છે, જે અંતર્ગત 8મી જૂને રાજ્યના દરેક તાલુકા મથકોએ ધરણા કરવામાં આવ્યાં હતાં.

આ પહેલાં કોંગ્રેસે ચેતવણી આપતા કહ્યું હતું કે, 9 જૂન સુધી ખેડૂતોની માગણીઓ સરકાર નહીં સ્વીકારે તો ખેડૂતોની સાથે 10 જૂને રસ્તા પર ઊતરીને કોંગ્રેસ જેલ ભરો આંદોલનમાં જોડાશે.

(11:36 pm IST)