Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

જામનગરના વિભાપરમાં ૮ વર્ષની બાળા ઉપર દુષ્કર્મ

માસુમ બાળા ઉપર દુષ્કર્મ આચરનાર પોરબંદરનો અરવિંદ બાબુ દેવીપૂજક ગણત્રીની કલાકોમાં ઝડપાઇ ગયો : કાનાલુસમાં પાણીના ટબમાં ડુબી જવાથી એક વર્ષના બાળકનું મોત

જામનગર તા. ૮ : જામનગર નજીક આવેલ વિભાપર ગામમાં ભારે અરેરાટી જગાડનારા બનાવની વિગત એવી છે કે, વિભાપર ગામમાં આવેલ ખાનગી સ્કૂલના આસપાસના વિસ્તારમાં ગઈકાલે સવારે આઠ વર્ષની એક માસુમ બાળકી રમી રહી હતી જેને એક નરાધમ શખ્સે ઉઠાવી જઈ નિર્જન સ્થળે લઈ જઈ તેણી ઉપર પાશવી બળાત્કાર ગુજારી કણસતી હાલતમાં ત્યજી દઈ ભાગી ગયો હતો.

આ પ્રકરણમાં પોલીસે પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા અરવિંદ બાબુભાઇ દેવીપૂજકની ગણત્રીના કલાકોમાં ધરપકડ કરી લીધી હતી.

આ બનાવ પછી બાળા રડતી રડતી ગામ તરફ આવતા અન્ય એક મહિલાએ તેણીનો રડવાનું કારણ પુછતા તેણીએ પોતાના પર એક નરાધમ શખ્સે જઘન્ય કૃત્ય આચર્યુ હોવાનું જણાવતા તાત્કાલિક અસરથી બાળકીની માતાનો મોબાઈલ નંબર મેળવી તેનો સંપર્ક કર્યો હતો અને તેણીની માતા બાળકીને લઈ બેડી મરીન પોલીસ સ્ટેશનનો સંપર્ક સાઘ્યો હતો અને અજાણ્યા ઈસમ સામે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી બાળકીને તાત્કાલીક જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. એસપી પ્રદિપ સેજુલના માર્ગદર્શન હેઠળ અધિક્ષક ઉમેશ પટેલ, જામનગર એલસીબીના પીઆઇ આર.કે.ડોડીયાની ટીમે ગણત્રીની કલાકોમાં દુષ્કર્મ આચરનાર શખ્સને ઝડપી લીધો છે.

કાનાલુસમાં પાણીના ટબમાં ડુબી જતા એક વર્ષના બાળકનું મોત

લાલપુર તાલુકાના કાનાલુસ ગામે એલ.સી.–૮ માં રહેતી ગીતાબેન સુરેશભાઈ દલસીંગ ઉ.વ. ૩૦ એ પોલીસમાં જાહેર કરેલ છે કે, નનેદ સુરેશભાઈ ઉ.વ. ૧ રમતા રમતા પોતાના ઘર બહાર પાણીનો ટબ ભરેલ હોય તેમાં ડુબી જતા સારવાર અર્થે રિલાયન્સ હોસ્પિટલે લઈ જતાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કરેલ.

ખોજાનાકા પાસે છરી મારી ઇજા કર્યાની રાવ

અહીં નીલકંઠ નગર હર્ષદમીલની ચાલી શેરી નં. ૩ માં રહેતા અલ્પેશ નલીકુમાર આશર ઉ.વ. ૩ર એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, હિતેષ ભરતભાઈ આશરે ફરીયાદીને ડાબા હાથમાં છરી વડે ઈજા કરી ગુન્હો કરેલ છે.

બાલંભામાં દાઝી ગયેલ પરિણીતાનું મૃત્યુ

જી.જી.હોસ્પિટલ ચોકીમાં ફરજ બજાવતા એમ.કે.ચનીયારાએ જાહેર કરેલ છે કે, જસુબેન પ્રવિણભાઈ સોલંકી (ઉ.વ. ૪૦) બાલંભા ગામે પોતાના ઘરે ચુલા પર રસોઈ બનાવતા હતા ત્યારે ચુલામાં કેરોસીન રેડતા ભડકો થતા તેની ઝાળ કપડાને લાગતા શરીરે દાઝી જતાં સારવાર બાદ તેણીનું તા. ૭ ના રોજ મૃત્યુ નિપજેલ છે.

મુંગણી ગામે બીમારીથી કંટાળી ગળેફાંસો

જામનગર તાલુકાના મુંગણી ગામે રહેતા ભુપતસિંહ સુરાજી જાડેજાએ પોલીસમાં જાહેર કરેલ છે કે, ભરતસિંહ સુરાજી જાડેજા ઉ.વ. પ૮ ને ઘણા સમયથી બી.પી.ની તેમજ ગેંગરીનની બીમારી હોય જેનાથી કંટાળી જઈ પોતાના ઘરે પંખાના હુંકમાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ આયખું ટુકાવ્યું હતું.

રહેણાંક મકાનેથી ૨૬૭ ટીન બીયર ઝડપાયો

સીટી સી ડિવિઝનના પી.જી.જાડેજાએ શંકરટેકરી નવી નિશાળ હુશેની ચોક પાસે રહેતો આમદ અબ્બાસ ખફીના રહેણાંક મકાને બાતમીના આધારે રેઈડ પાડી ત્યાંથી બીયરના ર૬૭ ટીન કિંમત રૂ. ર૬૭૦૦ ના ઝડપી પાડયા હતા જયારે આરોપી નાશી ગયો હતો.(૨૧.૧૭)

(12:43 pm IST)