Gujarati News

Gujarati News

News of Wednesday, 8th March 2023

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રાજીબેન મોરીના અધ્યક્ષસ્થાને ભાણવડ ખાતે જન ઔષધી દિવસ ઉજવાયો

લોકોને જેનરિક દવા અપનાવવા અંગે માર્ગદર્શન અપાયું

દેવભૂમિ દ્વારકા:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પહેલ પર પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી પરિયોજના વિશે જાગૃતિ વધારવા અને જેનરીક દવાઓને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે તા. ૭ માર્ચના જન ઔષધી દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ "જન ઔષધી સસ્તી ભી, અચ્છી ભી"ની થીમ ઉપર જન ઔષધી દિવસ ઉજવવાનું આયોજન કરાયું હતું. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાના જન ઔષધી દિવસની ઉજવણી ભાણવડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રાજીબેન મોરીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી.

આ તકે ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી જે.આર. પરમારે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી જન ઔષધી દિવસની જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે.  વડાપ્રધાનએ લોકોને આરોગ્યની સુવિધા લોકોને પોસાય ભાવમાં મળી રહે તે માટે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી પરિયોજના શરૂ કરી છે. આ યોજનાનો હેતુ ગુણવત્તાયુક્ત જેનરીક દવાઓ રાહત ભાવે મળી રહે તે છે.

વધુમાં જણાવ્યું હતું કે, લોકોએ પૂર્વાગ્રહ છોડી પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રો ખાતે મળતી દવાઓ લેવી જોઈએ.

આ પ્રસંગે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન નથુભાઈ ચાવડાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી જન ઔષધી દિવસની ઉજવણી લોકોમાં જેનરીક દવાઓ અંગે જાગૃતિ લાવવા માટે કરવામાં આવે છે સરકારએ આરોગ્યલક્ષી અનેક સેવાઓ ઉભી કરી છે. તેમાં પીએમજેએવાય કાર્ડ થકી અનેક બીમારીઓનો સારવારનો ખર્ચ સરકારશ્રી ઉઠાવે છે. જેથી જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક સારી સારવાર ઉપલબ્ધ થઈ છે.  તેવી જ રીતે અનેક બીમારીઓ એવી હોય છે કે જેની દવા લાંબા સમય સુધી આપવામાં આવતી હોય ત્યારે લોકોને રાહત ભાવમાં દવા મળી રહે તે હેતુથી આ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી પરિયોજના શરૂ કરવામાં આવી છે.

જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પાલાભાઈ કરમુરે આ તકે જણાવ્યું હતું કે, સરકારશ્રી દ્વારા અનેક યોજનાઓ બનાવવામાં આવી છે. આ તમામ યોજનામાં શિરમોર યોજના છે આરોગ્યલક્ષી યોજનાઓ. આપણે પણ ઘણી વાર એવું અનુભવ્યું હોય છે કે ઘરમાં કોઈ બીમાર પડ્યું હોય ત્યારે આપણે અન્ય પાસેથી પૈસા લઈને સારવાર કરાવવી પડતી હતી. પરંતુ હવે સરકારએ આયુષ્યમાન કાર્ડ થકી એ પ્રશ્ન પણ દૂર કરી દીધો છે. તેવી જ રીતે  જેનરીક દવાઓ થકી લોકોને સારી અને ઉચ્ચ ગુણવત્તા વાળી દવા સસ્તા ભાવે મળી રહે છે. આપણે સૌએ જેનરીક દવાઓ અપનાવવી જોઈએ.કાર્યક્રમમાં પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રના સંચાલકને પ્રસ્શતીપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.

આ તકે સી.ડી.એચ.ઓ ભંડેરીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે ડો. ભટ્ટ દ્વારા જેનરીક દવાઓ શા માટે અપનાવવી જોઈએ તે અંગેની સમજણ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા બ્લડ પ્રેશર, હીમોગ્લોબીનની તપાસ કરાવવા માટે વિવિધ સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ખંભાળિયા તાલુકા પંચાયતના પ્રમુખ રામદેભાઈ કરમુર, અગ્રણીઓ વી.ડી.મોરી, હમીરભાઇ કનારા, ગોવિંદભાઈ કનારા, દેવશીભાઇ કરમુર તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:28 am IST)