Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

પાળિયાદના રંગપર ગામે કોળી યુવાનની હત્યા

પાણી અને ગટરના કામે જેસીબી ચલાવવા બાબતે બોલાચાલી થતાં સરપંચે લાફો મારેલ : મનદુઃખના લીધે ફરી ઝઘડો કરી છ શખ્સોએ અમિત તાવીયાને પતાવી દીધો

 ભાવનગર તા. ૮ : બોટાદ જિલ્લાના પાળીયાદ તાબેના રંગપર ગામે રહેતા કોળી યુવાનને છ શખ્સોએ તિક્ષણ હથિયારો વડે જીવલેણ હુમલો કરી માર મારતા ગંભીર હાલતે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં દાખલ કરાયેલ. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો. બનાવ સંદર્ભે મૃતકના કૌટુંબીક ભાઇએ છ શખ્સો વિરૂધ્ધ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

વિગતો મુજબ પાળીયાદ તાબેના રંગપર ગામે રહેતા કોળી યુવાન અમીત પ્રેમજીભાઇ તાવીયા (ઉ.વ.૧૮)ને રંગપર ગામે પાણી અને ગટરના કામે જેસીબી ચલાવવા બાબતે સરપંચ સાથે બોલાચાલી થતાં સરપંચે લાફો મારેલ હોય અને તા. ૪ના રોજ સવારે આઠેક વાગ્યે ફરી સાથે બોલાચાલી કરેલ. જે બાબતનું મનદુઃખ રાખી રાજેશ પ્રેમીજભાઇ કુકડીયા, જગદીશ પ્રેમજીભાઇ કુકડીયા, જયંતિ પ્રેમજીભાઇ કુકડીયા, મુન્ના ધનજી કુકડીયા, રવિ જેસાભાઇ કુકડીયા તથા સુરેશ રતુભાઇ પરમાર એકસંપ કરી યુવાન અમીતને લોખંડના પાઇપ, ધારીયુ, છરી, લાકડાનો ધોકો સહિત હથિયારો વડે માથાના ભાગે તથા ફરિયાદી તેજાભાઇને પણ ઇજા કરતાં ગંભીર હાલતે અમીત તાવીયાને ભાવનગર સર ટી. હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયેલ.

આ બનાવ અંગે તેજાભાઇ વેલાભાઇ તાવીયાએ ઉપરોકત છ શખ્સો સામે ફરિયાદ દાખલ કરાવેલ.

ગંભીર હાલતે સારવારમાં ખસેડાયેલ અમીતનું સારવાર દરમિયાન મોત થતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો અને પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી આરોપીઓને ઝડપી લેવાની તજવીજ હાથ ધરેલ છે.(૨૧.૧૦)

(10:14 am IST)