Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

રાજ્યમાં ફાયર સેફટી NOC અંગે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય આવકારદાયકઃ પ્રદિપ ખીમાણી

જૂનાગઢ, તા. ૭ :. રાજ્યમાં ફાયર સેફટી એનઓસી અંગે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયને પ્રદિપ ખીમાણીએ આવકાર્યો હતો.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કરેલા આ નિર્ણય અનુસાર ૯ મીટરથી ઓછી ઉંચાઇ ધરાવતા હોય અને બેઇઝમેન્ટ ન હોય તેવા મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓએ હવે ફાયર એનઓસી લેવાનું રહેશે નહિ. પરંતુ આવી શૈક્ષણિક સંસ્થાઓ નિર્દિષ્ટ નિયમાનુસારની ફાયર સેફટી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરીને સેલ્ફ એટેસ્ટેડ  સ્વપ્રમાણિત રીતે ફાયર એનઓસી જાતે મેળવી શકશે.

આ સ્વપ્રમાણિત સેલ્ફ એટેસ્ટેડ ફાયર એનઓસી કર્યાની જાણ સંબંધિત નગર, શહેર કે જિલ્લામાં શિક્ષણ વિભાગના અધિકારીને કરવાની રહેશે. 

રાજ્યમાં ઘણા કિસ્સાઓમાં ફાયર એનઓસીની તમામ જોગવાઇઓ પૂર્ણ થતી હોવા છતાં બી.યુ. પરમીશન ન હોવાને કારણે ફાયર એનઓસી આપવામાં આવતું નથી. મકાનના વપરાશ પ્રમાણપત્ર એટલે કે બી.યુ. ન મળવાના અન્ય કારણો પણ હોઇ શકે છે.

આ સંદર્ભમાં રાજ્ય સરકાર દ્વારા  નિયામકશ્રી અગ્નિ શમન સેવાઓને સ્પષ્ટતા કરવામાં આવી છે કે ફાયર એનઓસી આપવી એ બી.યુ. પરમીશન પૂર્વેની જરૂરિયાત છે.

આ બેઠકમાં અન્ય એક એવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે નગરપાલિકા વિસ્તારોમાં ફાયર એનઓસી આપવાની સત્તા અને અધિકારો અગ્નિશમન નિયામકના સ્થાને સંબંધિત નગરપાલિકાના ફાયર ઓફિસરોને આપવામાં આવશે. આ નિર્ણયને પરિણામે રાજ્યના નગરોમાં ફાયર એનઓસી લોકોને ત્વરાએ  મળી શકશે.

હવે રાજ્યમાં આઠ મહાનગરો ઉપરાંત રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટિઝ કચેરીના કાર્યક્ષેત્ર મુજબ અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, રાજકોટ અને ભાવનગર એમ છ ફાયર રિજિયન મળી કુલ ૧૪ ફાયર રિજિયન કાર્યરત થશ.

આ ફાયર રિજિયનના ફાયર ઓફિસરોએ આઇ.એ.એસ. કક્ષાના સિનિયર ઓફિસરો  જે તે પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવે છે તેમના નિયંત્રણ હેઠળ ફરજો બજાવવાની રહેશે.

આ તમામ બાબતોને પ્રદીપભાઇ ખીમાણીએ આવકારી હકારાત્મક નિર્ણય લેવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અભિનંદન પાઠવી તેમનો આભાર માનેલ છે.

(1:38 pm IST)