Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

સાયલાના ઢીંકવાડીયાના મહેશ ભરાડીયાનો ઝેરી દવા પી આપઘાતઃ વ્યાજખોરી કારણભુત?

રાજકોટમાં દમ તોડ્યોઃ બે પુત્રીએ પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૭: સાયલાના ઢીંકવાડીયા ગામે રહેતાં અને ગામની સીમ પાસે આવેલા ગારંભડી ગામે જોરૂભાની વાડીએ પત્નિ-પુત્રીઓ સાથે રહી મજૂરી કરતાં મહેશભાઇ ઠાકરશીભાઇ ભરાડીયા (કોળી)  (ઉ.વ.૩૦) નામના યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

મહેશે ગઇકાલે સવારે સાતેક વાગ્યે વાડીએ ઝેર પી લેતાં બોટાદ હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ ગત મોડી રાતે દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ ધજાળા પોલીસને જાણ કરી હતી.

આપઘાત કરનાર મહેશભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટો હતો. સંતાનમાં બે પુત્રી છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવતાં ગમગીની છવાઇ ગઇ છે. આપઘાત કરનારના મામાના દિકરા ભરતભાઇએ ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે વ્યાજખોરીમાં મહેશભાઇ ફસાઇ ગયાની ચર્ચા છે. પોલીસે ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

(12:05 pm IST)