Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

દેવભુમી દ્વારકા જીલ્લામાં પણ કમોસમી વરસાદ : કલ્યાણપુર-ખંભાળીયામાં ઝાપટા

માછીમારોને માછીમારી કરવા ન જવા ચેતવણી : જનજીવન પ્રભાવિત

જામ ખંભાળિયા, તા. ૬ :  ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે આખો દિવસ કેમ આજે પણ સવારથી વાતાવરણમાં પલટો યથાવત હતો. ગઈકાલે બપોર બાદ આખા જિલ્લામાં કમોસમી છાંટા વરસ્યા હતા. જે આજે પણ અવિરત રીતે વરસ્યા હતા. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ ખંભાળિયા તાલુકા સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ મોસમમાં પલટો આવ્યો છે. આજે પણ સવારથી સૂર્યનારાયણના દર્શન થયા ન હતા અને ઘટાટોપ વાદળો વચ્ચે ખંભાળિયા તાલુકામાં ગઈકાલે બપોરથી કમોસમી છાંટા વરસ્યા હતા. ગત આજે સાંજે ખંભાળિયા શહેર ઉપરાંત તાલુકાનાં જુદા જુદા ગામોમાં નોંધપાત્ર વરસાદી ઝાપટાંથી ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. શહેરના માર્ગો પર પાણી ચાલી નીકળ્યા હતા. આજે સવારે પણ સમગ્ર પંથકમાં ધીમીધારે કમોસમી છાંટા વરસતા લોકો હાલાકીમાં મુકાઈ ગયા છે.

જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં પણ માવઠું વરસતા જનજીવન પ્રભાવિત બન્યું હતું. ખેતરોમાં જીરૂ સહિતના પાકને નુકસાની થવાની દહેશત પણ વ્યકત કરવામાં આવી રહી છે. કમોસમી માવઠાને પગલે વાતાવરણમાં ઠંડી પ્રસરી હતી અને ગત રાત્રે બજારો વહેલી

બંધ થઈ ગઈ હતી અને આજે સવારે પણ બજારો મોડી ખુલી હતી.

આજે સવાર સુધીમાં કલ્યાણપુર તાલુકામાં ચાર અને ખંભાળિયા તાલુકાના બે મિલીમીટર વરસાદ નોંધાયો છે. આ માવઠાના પગલે આગામી સમયમાં તાવ, શરદી જેવો રોગચાળો થવાની સંભાવનાઓ પણ વ્યકત કરાઈ રહી છે

 દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા  તારીખ ૫ થી ૭ જાન્યુઆરી સુધી કમોસમી વરસાદની સંભાવના વચ્ચે માછીમારોને દરિયામાં દૂર સુધી માછીમારી ન કરવા તથા કિનારાની નજીક રહી અને માછીમારી કરવા ઉપરાંત ભારે પવન તથા વરસાદની પરિસ્થિતિમાં તાકીદે કિનારા પર પહોંચી જવા જિલ્લાના જુદા જુદા મત્સ્યોદ્યોગ કેન્દ્ર તથા આ અંગેના એસો.ને લેખિત પત્ર દ્વારા જણાવાયું છે.

(12:52 pm IST)