Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

કોવિડના મૃતકોને ચાર લાખની સહાય આપવા મામલે મોરબી જીલ્લા કોંગ્રેસના ઉગ્ર દેખાવ.

“ન્યાય તો હમ દિલાકર રહેંગે, ચાર લાખ લે કે રહેંગે” ના બનેર સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું.

મોરબી :કોરોનાની બીજી લહેર દરમિયાન અનેક લોકો મૃત્યુના ખપ્પરમાં હોમાંય ગયા હતા. ત્યારે સરકાર અસવેદનશીલ બની કોરોનાનો મૃત્યુ આક છુપાવી કોરોનાના હતભાગીઓના સ્વજનને યોગ્ય વળતર ન ચૂકવીને ક્રૂર મજાક કરી રહી હોવાના આક્ષેપ સાથે મોરબીમાં કલેકટર કચેરી ખાતે કોંગ્રેસે ઉગ્ર દેખાવો કર્યા હતા અને “ન્યાય તો હમ દિલાકર રહેંગે, ચાર લાખ લે કે રહેંગે” ના બનેર સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિએ કલેકટરને આપેલા આવેદનમાં જણાવ્યું હતું કે, હાલના કટોકટીભર્યા સમયમાં કોવીડ -૧૯ મહામારીમાં ગુજરાત સરકારે ગુન્હાહિત બેદરકારી અને અણઘડ વહીવટ દ્વારા કોરોનાના કપરા કાળમાં હોસ્પિટલોમાં બેડ, દવાઓ, ઇન્જેક્શન, ઓક્સીજન અને વેન્ટીલેટરના અભાવે ગુજરાતના ૩ લાખ કરતાથી વધુ લોકોના મૃત્યુ થયા હતા. ખાનગી હોસ્પિટલમાં મોંઘી સારવારમાં લાખો રૂપિયાની ઉઘાડી લૂંટ ચલાવામાં આવી. સામાન્ય અને માધ્યમ વર્ગના પરિવારો આર્થિક પાયમાલીનો સામનો કરવો પડ્યો. પશુ અને મનુષ્ય માટે ૫૦,૦૦૦ વળતરના એક સમાન ધારા ધોરણ જાહેર કરી ભાજપ સરકારે અસંવેદનશીલ સરકાર હોવાનું પુરવાર કર્યું છે અને મૃતક પરિવારો સાથે માનવ જાતની પણ ક્રૂર મજાક કરી છે એક બાજુ સરકાર મોતના આંકડા છુપાવવાની રમત કરી સરકારી ચોપડે નોંધાયેલ મૃતકોની યાદી ગેઝેટ મારફતે પ્રસિદ્ધ કરતી નથી. મૃતકના આધાર – પુરાવા તપાસી મરણ પ્રમાણપત્રમાં સુધારા કરવા જીલ્લા દીઠ નોડલ ઓફિસરની નિમણુંક કરવામાં આવતી નથી. મરણ પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ અન્ય બીમારી લખી મૃત્યુ આંક છુપાવી રહી છે.
વધુમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારજનોને અને મોંધી સારવારના કારણે આર્થિક રીતે પાયમાલ થયેલ લોકોને મદદરૂપ થવાના હેતુથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કૌવીડ-૧૯ ન્યાય યાત્રાનું આયોજન સમગ્ર રાજ્યમાં કરવામાં આવેલ છે. આ યાત્રાનો હેતુ મહામારીમાં મૃતકોની વિગતો ઓનલાઈન વર્ચ્યુઅલ મેમોરિયલ પર અપલોડ કરી તેમને શ્રદ્ધાંજલિ આપવાનો તેમજ આપણા કોવીડ-૧૯ ન્યાય પત્રની ચાર માંગણીઓ જેવી કે કોવીડ -૧૯ થી અવસાન પામેલ દરેક મૃતક માટે રૂપિયા ચાર લાખનું વળતર, કોવીડગ્રસ્ત તમામ દર્દીઓના તમામ મેડીકલ બિલ્સની રકમની ચુકવણી, સરકારી તંત્રની ઘોર નિષ્ફળતાની ન્યાયિક તપાસ, કોવીડથી અવસાન પામેલ સરકારી કર્મચારીઓના સંતાન, પરિવારજનો પૈકી કાયમી નોકરી જેવી માંગણીઓ દ્વારા કોરોના મહામારીના અસરગ્રસ્ત લોકોને મદદરૂપ થવાનો છે.
તેમજ ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૩ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫ અંતર્ગતની જોગવાઈ મુજબ કુદરતી આપદા સમયે રાહત-સહાયના ૪ લાખ રૂપિયા ચુકવવા પૈસા નથી .પરંતુ બુલેટ ટ્રેન, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ, ઉદ્યોગપતિઓના દેવા માફી,એરોપ્લેન – હેલીકોપ્ટર ખરીદવા માટે કરોડો રૂપિયા વેડફી રહી છે. ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓ ખૂણે ખૂણે જઈને કોરોના મૃતક પરિવારજનોને મળ્યા છે. કોરોના મૃતક પરિવારજનો વતી કોંગ્રેસે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ પ્રમાણે કોરોના મૃતક પરિવારોને રૂપિયા ચાર લાખની સહાય સરકારશ્રી તરફથી ચુકવવામાં આવે તેવી માંગ કરી છે.

(12:08 pm IST)