Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

કચ્‍છના ભુજ તાલુકાના રેલડી ગામે ખેડૂતે 1.50 લાખ સ્‍ટ્રોબેરીના રોપાનું વાવેતર કરીને મબલખ કમાણી કરીઃ મહારાષ્‍ટ્રમાંથી રોપા લાવ્‍યા બાદ વાવેતર કરીને સફળતા મેળવી

1 એકરમાં 18 હજાર રોપામાંથી 5 ટન સ્‍ટ્રોબેરીનું ઉત્‍પાદનઉ રાજ્‍યપાલ પણ મુલાકાતે આવ્‍યા હતા

ભુજ: કચ્છમાં શું કોઈ વિચારી શકે કે ઠંડા પ્રદેશમાં થતા પાકોનું ઉત્પાદન થાય આ અશક્ય વાતને શક્ય કરી બતાવ્યું છે. કચ્છના પ્રગતિશીલ ખેડૂતે કચ્છ જેવા રણ પ્રદેશમાં સ્ટ્રોબેરીની ખેતી કરીને લોકોને ચોંકાવી દીધા છે. કચ્છમાં શિયાળા દરમિયાન ઠંડી વધુ પ્રમાણમાં હોય છે. જેનો ફાયદો કચ્છના ખેડૂતોએ લીધો છે અને કચ્છમાં શિયાળામાં સ્ટ્રોબેરીનું સફળ વાવેતર અને ઉત્પાદન થયું છે. કચ્છમાં ડ્રેગન ફ્રૂટ, સફરજન સહિતના ફળોના સફળ વાવેતર બાદ ભુજ તાલુકાના રેલડી ગામે ખેડૂતે 1.50 લાખ સ્ટ્રોબેરીના રોપાનું વાવેતર કર્યું છે.કચ્છમાં ભૂકંપ બાદ પ્રગતિશીલ ખેડૂતોએ કાઠું કાઢયું હોય તેમ ઠંડા અને પર્વતીય વિસ્તારોમાં થતા ફળો પણ હવે કચ્છમાં ઉત્પાદિત થઈ રહ્યા છે. ઠંડા અને પર્વતીય સ્થળોએ પરંપરાગત રીતે ખીલતું ફળ સ્ટ્રોબેરી કચ્છના શુષ્ક ભૂપ્રદેશમાં પણ ઉત્પાદીત થઈ રહ્યું છે. ભુજ તાલુકાના રેલડી ગામે વાડી વિસ્તાર ધરાવતા હરેશભાઈ ઠક્કરે ગત વર્ષે પ્રથમ વખત પોતાની વાડીમાં સ્ટ્રોબેરીનું વાવેતર કર્યું હતું. મહારાષ્ટ્રમાં સ્ટ્રોબેરીનું મોટાપાયે ઉત્પાદન થાય છે. જેથી મહારાષ્ટ્રથી સ્ટ્રોબેરીના રોપા લાવી પ્રથમ વખત વાવેતર કર્યું હતું.

આધુનિક ટેકનોલોજી સાથે 1 એકરમાં 18 હજાર સ્ટ્રોબેરીના રોપા ઉછેર્યા, જેમાંથી 5 ટન સ્ટ્રોબેરીનું ઉત્પાદન પણ મેળવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કચ્છની મુલાકાતે આવ્યા હતા ત્યારે નવેમ્બરમાં વાડીએ આવ્યા હતા. જ્યાં તેમના હસ્તે સ્ટ્રોબેરીના પાકનું વાવેતર કરાયું હતું. કચ્છમાં નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી આકરી ઠંડી પડે છે. સ્ટ્રોબેરીમાં અન્ય પાકની સરખામણીમાં માત્ર 20 ટકા જ પાણીની જરૂરિયાત રહે છે. જેથી કચ્છમાં શિયાળાની આકરી ઠંડીમાં સ્ટ્રોબેરી થકી ખેડૂતો સારી આવક રળી શકે છે. કચ્છના પ્રગતિશીલ ખેડૂતો ખારેક, દાડમ, કેરી, ડ્રેગનફ્રૂટ અને સફરજનની ખેતીના સફળ પ્રયોગ થકી કમાણી કરી ચુક્યા છે.

ચાલુ વર્ષે હરેશભાઈ દ્વારા કુલ 7.5 એકરમાં 1.50 લાખ સ્ટ્રોબેરીના રોપા વાવવામાં આવ્યા છે. સામાન્ય રીતે વાવેતર બાદ 40 દિવસે ફળ આવવાની શરૂઆત થાય છે. સ્ટ્રોબેરીનો પાક નવેમ્બર મહિનામાં વાવેતર કરવામાં આવે તો જાન્યુઆરીના ઠંડીના સમયગાળામાં સારા એવા પ્રમાણમાં ઉત્પાદન મળે છે. નવેમ્બર માસમાં સ્ટ્રોબેરીના પાકનું વાવેતર કરવામાં આવે છે. ખાસ તો સ્ટ્રોબેરીને ખુબ ઓછું પાણી જોઈએ છે. ચાર દિવસે 20 મિનિટ પાણીનો છંટકાવ કરવામાં આવે છે. કચ્છમાં જ્યારે પાણીની કટોકટી વર્તાતી હોય ત્યારે આ પાક અનુકુળ નિવડે છે. તેમજ વાવેતર બાદ મલકીંગ (પ્લાસ્ટિક કવર) કરવામાં આવે છે. ખુબ માવજત પણ રાખવી પડે છે. સ્ટ્રોબેરીનો પાક ખર્ચાળ છે. કારણ કે, એક એકરમાં વાવેતર પાછળ દોઢ લાખ રૂપિયાનો ખર્ચો થાય છે તેમજ જાળવણી પણ રાખવી પડે છે. સામે પાણીની જરૂરિયાત ખુબ ઓછી હોય છે.

ગુજરાતમાં સ્ટ્રોબેરીનું વાવેતર ઓછું થાય છે. જેથી મહારાષ્ટ્રમાંથી સ્ટ્રોબેરીની આયાત કરવામાં આવે છે. સ્થાનિકે સ્ટ્રોબેરી ઉત્પાદીત થતી હોવાથી ભાવ પણ સારા મળે છે. પ્રથમ વખત વાવેતર કરાયું છે. જેનો સારો પ્રતિસાદ મળ્યો હતો. હાલમાં પણ કચ્છની સ્ટ્રોબેરીની માંગ ખૂબ છે અને ઓલ ઓવર ભારતમાં કચ્છની સ્ટ્રોબેરીને export કરવામાં આવી રહ્યુ છે. સામાન્ય રીતે કચ્છને ભલે સુકો મુલક માનવામાં આવે છે, પરંતુ પાછલા કેટલાક સમયથી ખેડૂતોએ ખેતી ક્ષેત્રે પ્રગતી કરી છે, જે બિરદાવવા લાયક છે.

કચ્છમાં ડ્રેગન ફ્રૂટ, સફરજન સહિતના ફળોના સફળ વાવેતર બાદ ભુજ તાલુકાના રેલડી ગામે સ્ટ્રોબેરીના રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મન કી બાતમાં પણ કચ્છના રેલડી ગામના પ્રગતિશીલ ખેડૂતનો ઉલ્લેખ કર્યો. કચ્છના ખંતીલા ખેડૂતે સુકા ભઠ્ઠ અને પાણીની અછતવાળા રણમાં સ્ટ્રોબેરીની સફળ ખેતી કરી બતાવી છે. વર્ષે પ્રાકૃતિક ખેતીની મદદથી સ્ટ્રોબરીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. જેથી એક સ્ટ્રોબેરીનું વજન પણ 15 ગ્રામથી લઈને 85 ગ્રામના વજન જેટલી સ્ટ્રોબેરીનું ઉત્પાદન થઈ રહ્યું છે. તથા 200 ગ્રામ સ્ટ્રોબેરીનો ભાવ 80 થી 110 રૂપિયા મળી રહ્યું છે. પ્રાકૃતિક ખેતીમાં પાણી, દેશી ગાયના ગોબર, ગોળ, ગૌમુત્ર, બેસન અને વડ કે પીપળના ઝાડની નીચેની માટી તથા કેળાંના ફૂલના મિશ્રણ દ્વારા બનાવવામાં આવતા જીવામૃત દ્વારા સ્ટ્રોબેરીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. કચ્છી ખેડૂતોએ હંમેશા પોતાના કોઠા સૂઝથી ખેતીમાં અનેક પ્રગતિ કરી છે અને વડાપ્રધાનના 2022ના ખેડૂતની ડબલ આવકના સપનાને તેમના જેવા ખેડૂતો સાકાર કરશે ઠકકરે જણાવ્યું હતું.

(5:12 pm IST)