Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

મોરબીમાં આશા-ફેસિલિએટર બહેનો દ્વારા પડતર પ્રશ્નો મુદ્દે આવેદન, આંદોલનની ચીમકી.

તા.૪ અને ૫ ના રોજ કાળા કપડા સાથે દેખાવો,ત્યારબાદ થાળીનાદ, ધરણાં તેમજ ૧૬મીએ રેલી પદયાત્રા સહિતના કાર્યક્રમો યોજાશે.

મોરબી :  ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ સેવા બજાવતી ૫૧૦૦૦ આંગણવાડી કેન્દ્રોની એક લાખ જેટલી આશાવર્કર બહેનો તેમજ આરોગ્ય વિભાગ હેઠળ ૧૫૦૦થી વધુ આરોગ્ય કેન્દ્રોમાં સેવા બજાવતી ૪૦૦૦૦ જેટલી ફેસિલિએટર બહેનોના લાંબા સમયથી પડતર પ્રશ્નો બાબતે મુખ્યમંત્રી,મહિલા બાળ વિકાસ મંત્રી અને આરોગ્ય પ્રધાન સમક્ષ આવેદનપત્ર સહિત અનેક રીતે રજૂઆતો કરવા છતાં સરકાર દ્વારા એક પણ પ્રશ્નનો ઉકેલ ન આવતા ગુજરાત વ્યાપી આંદોલન કરવાનો સીટુ સંકલિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આશા હેલ્થ વર્ક વર્ક યુનિયન દ્વારા નિર્ણય કરાયો છે.

આ ઉગ્ર આંદોલન બજેટ બેઠક સુધી ચાલુ રખાશે.આશાવર્કર અને ફેસિલિએટર બહેનોની મુખ્ય સમસ્યા એ છે કે કોરોના કાળમાં જીવના જોખમે નજીવા વેતનમાં કામગીરી બજાવવા છતાં વેતનમાં કોઇ વધારો કરાયો નથી. આ ઉપરાંત બહેનોને કાયમી કરવા,લઘુતમ વેતન આપવા,પેન્શન, ગ્રેજ્યુઇટી,પ્રોવિડન્ટ ફંડ યોજના લાગુ પાડવા,નિવૃત્તિ વય મર્યાદા 58ને બદલે ૬૦ કરવા કોરોના કામગીરીના દરમાં વધારો કરવા તથા ડ્રેસ આપવા, મીની આંગણવાડીને પૂર્ણ આંગણવાડી કરવા સહિતની માંગણીઓ મુદ્દે આંદોલનનો આરંભ કરાયો છે.
આ ઉપરાંત સરકાર દ્વારા કોરોના વોરિયર્સને જાહેર કરેલ મૃત્યુ વળતરની રકમો અવસાન પામેલ બહેનોને હજુ સુધી ચૂકવાઈ ના હોવાથી રોષ જોવા મળી રહ્યો છે.

(12:49 pm IST)