Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ ૯૮મા જન્મ જયંતિ મહોત્સવ ઉપક્રમે રાજકોટના 'બાપ્સ' મંદિરે જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણીઃ 'શ્રી હરિ સંભારે શ્રી કૃષ્ણ' વિષય પર સંતો દ્વારા કથામૃતનું રસપાનઃ મહાઅન્નકૂટ, મહાઆરતી સહિતના આયોજનો

રાજકોટ : વિશ્વવંદનીય સંત વર્ય પરમ પૂજય પ્રમુખ સ્વામી મહારાજના ૯૮ મા જન્મજયંતિ મહોત્સવ ઉપક્રમે રાજકોટ બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર દ્વારા જન્માષ્ટમીના પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં સંતો-ભકતો સમગ્ર દિવસ દરમ્યાન વિવિધ કાર્યક્રમોમાં જોડાઇ રહ્યા છે. સવારે શણગાર આરતી બાદ શ્રી કૃષ્ણ ભગવાનની પૂજન-અર્ચન કરવામાં આવી, શ્રી કૃષ્ણ ભગવાનના પદો ગાવામાં આવશે. જન્મોત્સવે રાત્રે મુખ્યસભામાં શ્રી કૃષ્ણ ભગવાન સમક્ષ મહાઅન્નકૂટ રચવામાં આવશે અને મહાઆરતી ઉતારવામાં આવશે. બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિરે સવારે ૮ થી ૯.૩૦ સુધી યોગીસભાગૃહ ખાતે સંસ્થાના વિદ્વાન સંતોની કથાવાર્તા હરિભકતોને આધ્યાત્મિક પ્રગતિના સોપાન સર કરાવી હતી. જેમાં આજે  સોમવારથી રવિવાર સુધી પૂજય નારાયણચરણ સ્વામી જેમણે વર્ષો સુધી પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજના સેવક સંત તરીકે સેવાઓ કરેલી છે તેઓ 'પ્રમુખ ચરિતમ' વિષય પર પ્રમુખસ્વામી મહારાજના પ્રસંગોનું રસપાન કરાવી રહ્યા છે. આજના દિવસ જન્માષ્ટમીના વિશિષ્ટ દિનની સ્મૃતિ કરતા પૂજય નારાયણચરણ સ્વામીએ જણાવ્યું હતું કે, પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજે ૩૦થી વધુ વખત આ ઉત્સવ અટલાદરા મુકામે કર્યો હતો તેની વિડીયો સ્મૃતિ કરવામાં આવી હતી. આ દિને સ્વામી શ્રી આશીર્વચન આપતા જણાવતા કે, ભગવાન અને ભગવાનના સાચા સંતના સમાગમે કરીને જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. આજે રાત્રે ૮ વાગ્યાથી જન્માષ્ટમી પર્વ નિમિતે વિશિષ્ટ સભાનું આયોજન કરવામાં આવશે જેમાં 'શ્રી હરિ સંભારે શ્રી કૃષ્ણ' વિષય પર સંતો કથામૃતનું રસપાન કરાવશે. સ્વામીનારાયણ સંપ્રદાયના મુખ્યગ્રંથ વચનામૃતમાં ભગવાન સ્વામીનારાયણે સત્સંગનો મહિમા સમજાવવા માટેના ઉધ્ધવજી અને શ્રીકૃષ્ણ, નારદજી અને શ્રી કૃષ્ણ, ગોપી અને શ્રી કૃષ્ણ સાથેના સંવાદ સંભાર્યા છે તેની સ્મૃતિ કરવામાં આવશે. પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજના સેવક સંત પૂજય નારાયણચરણ સ્વામી જન્માષ્ટમી પર્વે પ્રમુખસ્વામી મહારાજના પ્રસંગોનું રસપાન કરાવશે. શ્રી કૃષ્ણ જન્મોત્સવે અન્નકુટ રચવામાં આવશે અને સભાના અંતે મહાઆરતી ઉતારવામાં આવશે. આ જન્માષ્ટમી પર્વે બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિરના કોઠારી સંત પૂજય બ્રહ્મતીર્થ સ્વામી અને સંત નિર્દેશક પૂજય અપૂર્વમુનિ સ્વામીએ સૌને હાર્દિક શુભેચ્છા પાઠવી વિશિષ્ટ સભાનો લાભ લેવા નિમંત્રણ પાઠવ્યું છે. (પ-૧૩)

(4:48 pm IST)