Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

ભચાઉમાં માર્ગ અકસ્માતમાં ફૌજી જવાન સહિત બેના મોત

બંધ ટ્રક પાછળ બોલેરો ઘુસી જતા બે યુવકોના મોતથી પરિવારમાં આક્રંદ

ગાંધીધામ તા.૩: ભચાઉ શહેરમાં આવેલ ઓવરબ્રિજ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાતા આર્મીના જવાન સહિત બે વ્યકિતઓના કમકમાટીભર્યા મોત થયા હતા. સાતમ આઠમના પવિત્ર તહેવારમાં બે વ્યકિતઓના મોતથી પરીવારજનોમાં શોકનું મોજું ફરી જવા પામ્યું હતું.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ગોજારા અકસ્માતનો બનાવ રાત્રિના નવ વાગ્યે ભચાઉ ઓવરબ્રીજ ઉપર બનવા પામ્યો હતો. નંદગામ તા.ભચાઉ રહેતા રાજેશભાઇ ધનાભાઇ ચાવડા (ઉ.વ.૪૨) પોતાના કબ્જાની બોલેરો નંબર જીજે.૧૨-૧૨૩૫ને વરસાણાથી થઇ સામખીયાળી ખાતે રેલ્વે સ્ટેશન તરફ જતો હતો.

ત્યારે મુળ કાનપુર યુપી હાલ ભુજ આર્મીમાં ફરજ બજાવતા રામભાઇ શ્રીચંદ યાદવ (ઉ.વ.૩૧) પણ વરસાણાથી બોલેરોમાં બેઠેલ ભચાઉ ઓવરબ્રિજ ઉપર ટ્રેઇલર નંબર જી.જે.૧૨ છરૂમાં યાંત્રિક ખોટીપો સર્જાતા ટ્રેઇલર રોડ ઉપર ઉભેલ હતું. ત્યારે બોલેરોના ચાલક રાજેશ ચાવડાએ ધડાકાભેર ઠાઠામાં ભટકાવી દેતા કરૂણાંતિકા સર્જાઇ હતી. અને બન્ને જણાને ગંભીર પ્રકારની ઇજાઓ થતા સારવાર મળે તે પહેલા મોતને ભેટ્યા હતા.

બનાવની જાણ થતા પીએસઆઇ એચ.આ. વાઘેલા તથા ગેલાભાઇ નિલેષ બાવાજી સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને બન્ને યુવાનોને મૃતદેહોના પીએમ કરાવી તેમના પરિવાજનોને સોંપી દીધા હતા.સાતમ આઠમના પવિત્ર તહેવાર દરમ્યાન બે-બે યુવાનોના મોતથી પરિવાર જનોમાં ગમગીની છવાઇ પામી હતી.(૨.૩) 

(12:18 pm IST)