Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

જામનગરમાં શનિવારે ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા

જામનગર તા.૩ : શહેરમાં શનિવાર ૬ જૂલાઇના દિને ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય ૧૨મી રથયાત્રાનું આયોજન કરાયુ છે. આ પ્રસંગે રાજકોટ જામનગર હાઇવે ધુંવાવ રોડ પહેલા ઇસ્કોન મંદિરમાં ધાર્મિક કાર્યક્રમો થશે અને બપોરે ૩-૩૦ વાગ્યે રથયાત્રા રામેશ્વર મહાદેવના મંદિર પાસેથી પ્રારંભ થશે. જેની પુર્ણાહુતી ટાઉનહોલ ગ્રાઉન્ડમાં સાંજે ૭-૩૦ વાગ્યે થશે. ત્યારબાદ કથા ડ્રામા સંકીર્તન આરતી પ્રવચન પછી સર્વેે ભકતો માટે પ્રસાદની વ્યવસ્થા રખાઇ છે.

જામનગરમાં ઇસ્કોન પરિવાર દ્વારા ભગવાન જગન્નાથજીની બારમી રથયાત્રાનુ આયોજન કરાયુ છે. જામનગર રાજકોટ હાઇવે ધુંવાવ રોડ ઇસ્કોન મંદિરમાં તા.૬ના ૪-૩૦ મંગલા આરતી દર્શન સાથે કાર્યક્રમનું મંગલાચરણ થશે. એ પછી ૭-૩૦ વાગ્યે શ્રૃંગાર દર્શન, ૮ તથા ૧૧ વાગ્યે ધાર્મિક પ્રવચન, બપોરે ૧૨-૩૦ વિશેષ આરતી છપ્પનભોગ દર્શન થશે. સર્વે ભકતોને રથયાત્રા તેમજ દર્શનનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

ભગવાન જગન્નાથજી (જગન્નાથજી- સુભદ્રા-બલરામના વિગ્રહ) ની રથયાત્રાનો આરંભ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે હરે રામ હરે રામ રામ રામ હરે હરે જય જગન્નાથજીના નાદ સાથે બપોરે ૩-૩૦ નગરના મહાનુભાવોની અને કૃષ્ણભકતોની ઉપસ્થિતમાં રામેશ્વરનગર રામેશ્વર મહાદેવ મંદિર પાસેથી પ્રારંભ થશે અને રથયાત્રા ત્યાથી ડીકેવી કોલેજ, અંબરસિનેમા, જુના રેલ્વે સ્ટેશન, તીનબતી, બેડીગેઇટ, દિપક સિનેમા, રતનબાઇ મસ્જિદ, ચાંદીબજાર, સેન્ટ્રલ બેંક, સેતાવાડ, હવાઇચોક, પંચેશ્વર ટાવર, સુપરમાર્કેટ, ટાઉનહોલના પરિસરમાં રથયાત્રાની પુર્ણાહુતી થશે.

રથયાત્રા દરમિયાન વિવિધ મંડળો દ્વારા દરેક રૂટ પર સ્વાગત તેમજ પ્રસાદ, ફ્રુટ, શરબત, ઠંડાપીણાનુ વિતરણ થશે. દરેક રૂટ ઉપર વલ્લભ વિદ્યાનગર, ખંભાળીયા, સુરત, પોરબંદર વગેરેથી પધારેલ કૃષ્ણ ભકતો સંકીતર્ન, હરે કૃષ્ણના મંત્રોનો નાદ કરી રમઝટ બોલાવશે. પુર્ણાહુતી પછી ટાઉનહોલમાં પુજય ડો.સવ્યસાચી દાસ (ઇસ્કોન ભોપાલ) તેમજ રાધેદાસ (સુરત)ના પ્રવચન અને ડ્રામાનો કાર્યક્રમ પછી રાત્રે ૮-૩૦ દરેક કૃષ્ણ ભકતો ટાઉનહોલ પરિસરમાં પ્રસાદમની વ્યવસ્થા રાખેલ છે.

વધુ વિગત માટે મુરલીધરદાસ (મો. ૯૪૨૮૯ ૦૧૮૯૬) તથા રમારમણદાસ (મો. ૯૪૨૯૦ ૭૧૫૧૪) તેમજ (મો. ૯૪૨૬૯ ૧૮૭૫૫) એડવોકેટ દિપક ભોજાણીનો સંપર્ક કરવા જણાવ્યું છે.

ઇસ્કોનના પૂજય ડો.સવ્યસાચી દાસ

જીવનની સમસ્યા અને તેમનુ પુર્ણ સમાધાન પર પ્રવચન આપશે

ઇસ્કોન જામનગર કેન્દ્ર દ્વારા તા.૭ જૂલાઇ રવિવાર સાંજના ૭-૩૦ કલાકે ગૌરાંગ કૃપા, હરે કૃષ્ણધામ, કૃષ્ણપાર્ક સામે જામનગર રાજકોટ હાઇવે ધુંવાવ પહેલા ઇસ્કોન મંદિરમાં ભોપાલથી પધારેલ ઇસ્કોનના વરીષ્ઠ પુજય સવ્યસાચી દાસ જીવનની સમસ્યા અને તેમનુ પુર્ણ સમાધાન પર ખાસ પ્રવચન આપશે. જેમાં કૃષ્ણ ભકતોને પધારવા શ્રી મુરલીધરદાસ (મો. ૯૪૨૮૯ ૦૧૮૯૬) અનુરોધ કર્યો છે. પ્રવચન પછી રાત્રે ૯ વાગ્યે મહાપ્રસાદમની કૃષ્ણ ભકતો માટે વ્યવસ્થા રાખેલ છે. તેમ રમારમણદાસપ્રભુએ જણાવ્યું છે.

(11:41 am IST)