Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

પોલીસે ખાત્રી આપતા હરિદ્વારમાં આપઘાત કરનાર દ્વારકાના યુવકનો મૃતદેહ સ્વીકારાયો

ખંભાળીયા-દ્વારકા, તા.૩: દ્વારકાની બે સગીરાને ભગાડી જનાર મુરૂભા બુધાભા માણેકે હરિદ્વારમાં ત્રીજા માળેથી કુદીને આપઘાત કર્યા બાદ યુવકના મૃતદેહને  પરિવારજનોએ સ્વીકાર્યો ન હતો, જો કે પોલીસે ખાત્રી આપતા સાંજના સમયે મૃતદેહનો પરિવારજનોએ સ્વીકાર કર્યો હતો. જો કે આ આપઘાતના બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દ્વારકામાં બે સગીરાઓને દ્વારકામાં રહેતો યુવાન મુરૂભા બુધાભા માણેક નામનો યુવાન આ બન્નેનું અપહરણ કરીને હરિદ્વાર લઇ ગયો હતો.

 એસ.પી. રોહન આનંદ તથા એ.એસ.પી. પ્રશાંતકુમાર શુકલએ આ અંગે તપાસ હાથ ધરીને મોબાઇલ પરથી ટ્રેકીંગ કરીને આ યુવાનની ભાળ મેળવીને પોલીસની ટીમને હરદ્વાર મોકલી હતી. આ પોલીસની ટીમ સાથે સગીરાના પિતા પણ હતા, જેથી પોલીસ આવતા વાઘેર યુવાન, ડઘાઇ ગયો હતો, તથા બન્ને કિશોરીઓનો તેમના કુટુંબીજનોએ કબજો લીધો હતો, તે પછી હોટલના ત્રીજા માળે રૂમમાંથી જમવા જતા પોલીસની નજર ચુકવીને આ યુવાને ત્રીજા માળેથી ઠેકડો મારતા તે મૃત્યુ પામ્યો હતો.

બાદમાં મૃતકની લાશને દ્વારકા પહોંચાડાઇ હતી. મૃતક પુત્રની લાશ સંભાળવાનો તેના પરિવારજનોએ ઇન્કાર કર્યા બાદ પોલીસે ખાત્રી આપતા મામલો થાળે પડયો હતો.

(3:37 pm IST)