Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

ટંકારાના હરબટીયાળીમાં અખાત્રીજે લેઉવા પટેલ સમાજનો પ્રથમ સમુહ લગ્નોત્સવ

નરેશભાઇ પટેલ તથા જયેશભાઇ રાદડિયાની રકતતુલા તથા પરેશભાઇ ધાનાણીની સાકર તુલાઃ ૬૨ નવ દંપતિઓ પ્રભુતામાં પગલા માંડશે

મોરબી તા.૩: શ્રી સરદાર લેઉઆ પાટીદાર સમાજ ટંકારા દ્વારા તા. ૭ ને અખાત્રીજના દિવસે લેઉઆ પટેલ સમાજ વાડી હરબટીયાલી તા. ટંકારા ખાતે લેઉઆ પટેલ સમાજના પ્રથમ સમુહ લગ્નોત્સવ યોજાશે જેમાં ૬૨ નવદંપતિઓ પ્રભુતામાં પગલા માંડશે.

લેઉઆ પટેલ સમાજના પ્રથમ સમુહ લગ્નોત્સવમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ, ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણી તેમજ જ્ઞાતિ રત્ન મહેશભાઇ સવાણી સુરત અને કાગવડ ખોડલધામ ટ્રસ્ટી ગોપાલભાઇ વસ્તરપરા સહિતના સામાજીક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે પ્રથમ સમૂહલગ્નના પ્રણેતા એવા નરેન્દ્રભાઇ પરશોતમભાઇ સંધાત અને તેની સમગ્ર ટીમ સમુહ લગ્નોત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે અને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

લેઉઆ પટેલ સમાજના પ્રથમ સમુહ લગ્ન પૂર્વે ૪ સ્થળે રકતદાન કેમ્પ યોજાશે અને ૮૦૦ રકતદાતાઓ નોંધાઇ ચૂકયા છે. ત્યારે રકતદાન કેમ્પ બાદ સમુહલગ્નમાં પધારનાર નરેશભાઇ પટેલ અને જયેશભાઇ રાદડિયાની રકતતુલા કરવામાં આવશે જયારે પરેશભાઇ ધાનાણીની સાકર તુલા કરવામાં આવશે

સમુહ લગ્નમાં જોડાનાર દીકરીઓ પૈકી ૧૩ માતા પિતા વિહોણી દીકરીઓ પણ જોડાઇ છે જેને દાતાઓના સહયોગથી ફિકસ ડીપોઝીટ પણ આપવામાં આવશે અને દીકરીઓને માતા પિતાની કમી ના રહી જાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.

(11:54 am IST)