Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

અટલજીના નિધનથી વિશ્વને ખોટ : જિલ્લા ભાજપ દ્વારા શ્રદ્ધાંજલી

રાજકોટઃ જિલ્લા અને રાજકોટ તાલુકા ભાજપ દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપાઇજીના નિધન થતા સાર્વજનિક સર્વદલીય પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં રાજકીય, બિન રાજકીય, સંસ્થાકીય તેમજ સામાજીક સંગઠનો તથા સંતો-મહંતો અને પૂર્વ સૈનિકો ઉપસ્થિત રહી અટલજીને ભાવપૂર્વક સ્મરણાંજલી સાથે શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. પ્રાર્થના સભામાં ઉપસ્થિત કેન્દ્રીય રાજયમંત્રી મનસુખભાઇ માંડવીયાએ જણાવ્યું હતું કે અટલજી ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લઇને ભારત છોડો આંદોલન દરમ્યાન જેલવાસ પણ ભોગવ્યો તેઓ ભારતીય જનસંઘ અને પછી ભાજપના સંસ્થાપક અધ્યક્ષ બન્યા હતા. સંસદીય દળના નેતા અને પછી વડાપ્રધાન તરીકે તેમણે પોતાનું અવિસ્મરણીય યોગદાન આપ્યું હતું. તેમના નિધનથી કેવળ ભારતને જ નહિ સમગ્ર વિશ્વને એક દૂરદર્શી નેતાની ખોટ પડી છે. જશુબેન કોરાટ, ડી.કે. સખીયા, મોહનભાઇ કુંડારિયા, ભાનુભાઇ મેતા, જયદેવ જોષી વગેરેએ શ્રદ્ધાંજલી આપી હતી. પ્રાર્થનાસભાનું સંચાલન જિલ્લા મહામંત્રી ભાનુભાઇ મેતાએ કર્યું હતું તથા સમગ્ર વ્યવસ્થા હિરેનભાઇ જોશી, દિપકભાઇ ભટ્ટ, જયેશભાઇ પંડયા, દિનેશભાઇ વિરડા, અલ્પેશભાઇ અગ્રાવત, નિશ્ચલભાઇ જોશી, વિવેકભાઇ સાતા, કિશોરભાઇ ચાવડા, રવિભાઇ જોશી સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

(3:59 pm IST)