Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

સુરાપુરાના દર્શને જઇ રહેલા રાજકોટના રજૂપત પરિવારને ચોટીલા પાસે અકસ્માતઃ ભાનુબેનનું મોતઃ ૧૨ને ઇજા

કોઠારીયા રણુજા મંદિર પાસે શિવધારામાં રહેતાં મહિલાએ દમ તોડ્યોઃ તેમના પતિ, કુટુંબીજનો, વેવાઇ પક્ષના લોકોને સારવાર લેવી પડીઃ છોટાહાથીને પાછળથી ડમ્પર ચાલક ઠોકરે લઇ ભાગી ગયો

રાજકોટ તા. ૨૬: ચોટીલા નજીક આપાગીગાના ઓટલા પાસે નાગરાજ હોટેલ પાસે ગઇકાલે રાજકોટના છોટાહાથી વાહનને પાછળથી ડમ્પર કે આઇશરનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં સર્જાયેલા અકસ્માતમાં છોટાહાથીમાં બેસેલા રાજકોટના રજપૂત પરિવારના ૧૩ને ઇજા થતાં રાજકોટ ખસેડાયા હતાં. જેમાં કોઠારીયા રણુજા મંદિર પાસે શિવધારામાં રહેતાં ભાનુબેન પ્રવિણભાઇ મકવાણા (ઉ.વ.૪૦)નું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

જાણવા મળ્યા મુજબ રણુજા મંદિર પાસે શિવધારામાં રહેતાં ભાનુબેન, તેમના કુટુંબીજનો પ્રવિણભાઇ વજુભાઇ મકવાણા (ઉ.૫૦), વંદના પ્રકાશભાઇ (ઉ.૨૦), દિવ્યા પ્રકાશભાઇ (ઉ.૨૧), અલ્પા પ્રકાશભાઇ રાઠોડ (ઉ.૧૬), પ્રકાશભાઇ લીલાભાઇ રાઠોડ (ઉ.૬૦), પ્રફુલભાઇ પરસાભાઇ ધ્રાંગધીયા (ઉ.૫૦), ગીતાબેન રમેશભાઇ સોલંકી (ઉ.૫૨), યોગેશ પ્રફુલભાઇ વાગડીયા (ઉ.૨૫), વ્પિુલ ભરતભાઇ હાડા (ઉ.૩૩), નમ્રતા રાજેશ ધાધલ (ઉ.૨૨), ભાવના વિપુલ હાડા (ઉ.૩૨) તથા વંશીકા રાજેશ ધાધલ (ઉ.૨ માસ) એમ બે કુટુંબના લોકો ગઇકાલે છોટાહાથીમાં બેસી ચોટીલાના ખાટડી ગામે સુરાપુરાના દર્શન કરવા જઇ રહ્યા હતાં.

દરમિયાન ચોટીલા નજીક છોટાહાથીને પાછળથી ટક્કર મારી ડમ્પર કે આઇશરનો ચાલક ભાગી ગયો હતો. તમામને ઇજાઓ થતાં રાજકોટ ખસેડાયા હતાં. જેમાં ભાનુબેને દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ચોટીલા જાણ કરી હતી. મૃતકના પતિ કારખાનામાં કામ કરે છે. તેમને સંતાન નથી. બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

(12:06 pm IST)