Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

રાજકોટની પ્રજાના વીજળી બીલ માફ કરો : રહેઠાણ - પાણી - મીલકત વેરો પણ માફ કરો : કોંગ્રેસની કલેકટર સમક્ષ માંગણી

ખાનગી શાળા પ્રથમ સત્રની ફી માફ કરે : કલેકટરને આવેદન આપતુ શહેર કોંગ્રેસ

શહેર કોંગ્રેસના આગેવાનોએ વિવિધ વેરા માફ કરવાની માંગણી સાથે કલેકટરને આવેદન પાઠવ્યું હતું. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૬ : શહેર કોંગ્રેસ આજે કલેકટરને આવેદન પાઠવી, લોકડાઉન - વેપાર ઉદ્યોગ બંધ સંદર્ભે સામાન્ય પ્રજાજનોને સહાય કરવા અનેક માંગણીઓ ઉઠાવી હતી.

આવેદનમાં જણાવેલ કે, ભારતમાં અને વિશેષતઃ ગુજરાતમાં કોરોનાની મહામારી વ્યાપક બની છે. મહામારીને પગલે સરકાર દ્વારા છેલ્લા ૫૫ દિવસથી લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે, સમગ્ર પંધા-ઉદ્યોગ સંપૂર્ણપણે બંધ છે. ગરીબ અને મધ્યમવર્ગ માટે આજીવિકા બંધ થઈ ગઈ હોવાને કારણે આટલો લાંબો સમય નિર્વાહ કરવાનું કપરું બન્યુ છે. આવા સંજોગોમાં પ્રજાજનોને શકય તમામ રીતે અને મહત્તમ સહાય કરવી તે આપણાં સૌની ફરજ છે. વિશેષતઃ સરકાર અને વહીવટી તંત્રની તો આ બંધારણીય ફરજ પણ છે. હંમેશા પ્રજાજનોને પડખે રહેવાની અને પ્રજાજનોની સહાયરૂપ થવાની તેમજ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની અને યોગ્ય રજૂઆત કરવાની કોંગ્રેસ પક્ષની નીતિ રહી છે. આ સંદર્ભમાં ગુજરાત રાજ્યમાં લાંબા લોકડાઉનને લીધે આજીવિકાથી વંચિત સામાન્ય પ્રજાજનોને સહાય કરવા માટે કોંગ્રેસ પક્ષ આ માંગણીઓ અને રજૂઆત કરે છે.

કોંગ્રેસે આવેદનમાં કરેલ માંગણીઓમાં માર્ચ ૨૦૨૦થી જૂન ૨૦૨૦ સુધીના તમામ લોકોના વીજળી બિલ માફ કરવામાં આવે. ગરીબ અને મધ્યમ વર્ગના તમામ પરિવારોના રહેઠાણ, પાણી વેરા અને મિલ્કત વેરા તેમજ નાના વેપારીઓના ધંધાના સ્થળના વેરા માફ કરવામાં આવે. ખાનગી શાળાની આગામી શૈક્ષણિક વર્ષની પ્રથમ સત્રની ફી માફ કરવામાં આવે અથવા સરકાર આવી ફીની રકમની સહાય પૂરી પાડે.

લાંબા લોકડાઉનના વર્તમાન કપરા સંજોગોમાં કૃષિ ધિરાણની મુદ્દલ અને વ્યાજ ભરવા માટે ખેડૂતો પાસે રોકડ રકમની સગવડ નથી ત્યારે સરકાર ધિરાણ પરત કરવાની મુદ્દતમાં વધારો કરવાની સાથે ઓટો રિન્યૂઅલ અમલમાં મુકે અને વ્યાજ માફ કરે.

આવેદન દેવામાં શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર ઉપરાંત વશરામભાઇ સાગઠીયા, મહેશભાઇ રાજપૂત, ડો. હેમાંગભાઇ વસાવડા, જશવંતસિંહ ભટ્ટી, દિનેશભાઇ ચોવટીયા, દિનેશભાઇ મકવાણા, પ્રદિપભાઇ ત્રિવેદી વિગેરે જોડાયા હતા.

(2:40 pm IST)