Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

સમરસ કવોરન્ટાઇન ફેસિલિટી સેન્ટરમાં રમઝાન ઇદની ભાવસભર ઉજવણી

ધાર્મિક પુસ્તકો, રમકડા અને મીઠી સેવૈયાનું વિતરણ : કવોરન્ટાઇન થયેલ મુસ્લિમ બિરાદરો ગદગદીત : સુવિધાઓથી સંતોષ વ્યકત કર્યો

રાજકોટ તા. ૨૫ : સમરસ કવોરન્ટાઇન ફેસેલીટી સેન્ટર ખાત રમઝાન ઇદની ઉજવણી રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધાર્મિક પુસ્તકો, બાળકોને રમકડા તથા ચોકલેટ અને મીઠી સેવૈયાના વિતરણ સાથે કરવામાં આવી હતી.

રાજકોટ શહેર તથા ગ્રામ્ય વિસ્તારના જે નાગરિકોને કોરોના પોઝીટીવનું નિદાન થયું હોય, તેમના પરિવારજનો તથા સંસર્ગમાં આવેલા તમામને સમરસ હોસ્ટેલ ખાતે કવોરન્ટાઇન કરવામાં આવે છે. આ નાગરિકો પૈકીના મુસ્લિમ બિરાદરોની ધાર્મિક લાગણીને માન આપીને ઇદ નિમિતે ડેપ્યુટી કલેકટર અને આ સેન્ટરના નોડલ ઓફિસરશ્રી સરયુબેન ઝંકાત દ્વારા ધાર્મિક પુસ્તકો, બાળકોને કેરમ, પઝલ, લુડોની રમતો, ચોકલેટ અને સાંજના જમણમાં મીઠી સેવૈયાનું વિતરણ કરાયું હતું.

સમરસ સેન્ટર ખાતે કવોરન્ટાઈન કરાયેલા ૧૪૨ નાગરિકો પૈકી ૪૫ નાગરિકો મુસ્લિમો છે તથા ૧૫ વર્ષથી નાના ૨૭ બાળકો છે. તેમના લાભાર્થે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેની કવોરન્ટાઇન થયેલા તમામ નાગરીકોએ સરાહના કરી હતી અને સેન્ટર ખાતે ઉપલબ્ધ ભોજન, નિવાસ તથા અન્ય સુવિધાઓ પ્રત્યે સંતોષ વ્યકત કર્યો હતો.

સમરસ હોસ્ટેલ ખાતે કાર્યરત ફેસિલિટી સેન્ટર ખાતે કામ કરતા તમામ કર્મચારીઓ તથા સફાઇ કામદારોને પણ છ પ્રકારની આયુર્વેદિક દવાઓ, કાવો તથા  હોમિયોપેથીની દવાઓનું નિયમિત સેવન કરાવવામાં આવે છે. તેમને કોરોનાનું સંક્રમણ ન થાય તે માટે તકેદારીના તમામ પગલા લેવામાં આવે છે.

સમરસ સેન્ટર ખાતે જાવેદ પઠાણ નામના મુસ્લિમ બિરાદર તેમના પરિવારના અન્ય ચાર સભ્યો સાથે અત્રે કવોરન્ટાઇન થયેલા છે. તેમણે જણાવ્યું હતું કે અહીં અમને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે જેનાથી અમે પૂર્ણ રીતે સંતુષ્ટ છીએ. અમારા બાળકોને રમવા માટે રમકડા, ચિત્ર દોરવા માટે ડ્રોઈંગ બુક, ચોકલેટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવે છે. નિયમિત રીતે અમારૂ ફિઝિકલ ચેક-અપ કરવામાં આવે છે. તેમજ જે લોકોને માનસિક સધિયારાની જરૂર હોય તેમને કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે. ઘણી વખત તો એવું લાગે છે કે આટલી સરસ સુવિધાઓ અમને અમારા ઘરમાં પણ ન મળી હોત.

જય તેજવાણી નામના કવોરન્ટાઇન થયેલા યુવાનનો આજે સમરસ ટાઈમ ફેસિલિટી સેન્ટર ચૌદમો દિવસ હોવાથી તેમને અહીંથી છૂટા કરવામાં આવી રહી છે. અહીં મળતી તમામ સુવિધાઓ અને સવલતો બાબતે જય તેજવાણીએ આનંદની લાગણી વ્યકત કરતા કહ્યું હતું કે, અમારા જેવા નવયુવાનો માટે અહીંના સેન્ટર ખાતે ખાવાપીવાની તેમજ અન્ય પુષ્કળ સગવડો હોય છે. ખોરાકની ગુણવત્ત્।ા અમારા દ્યર જેવી જ હોય છે. શકય હોય ત્યાં સુધી સહુની પસંદનું ધ્યાન રાખવામાં આવે છે. અહીં અમે અંદાજે ૧૪૦થી વધુ માણસો છીએ, એટલે સામૂહિક જીવનની પણ ટેવ પડે છે. એકંદરે અમારો કવોરન્ટાઇન પીરીયડ ઘણો સુખદ રીતે પસાર થયો છે.

યુનિવર્સિટી રોડ પર આવેલ સમરસ બોયઝ હોસ્ટેલમાં કાર્યરત કવોરન્ટાઇન ફેસેલીટી સેન્ટરમાં હાલ ઉપલેટા, ધોરાજી, જેતપુર, આટકોટ, કોટડાસાંગાણી, જસદણ તથા રાજકોટ શહેરના કુલ ૧૪૨ નાગરિકોને કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

આ સેન્ટર ખાતે બે શિફ્ટમાં મામલતદાર શ્રી ઉત્તમ કાનાણી તથા શ્રી જીનેશ મહેતાની રાહબરી હેઠળ નાયબ મામલતદાર શ્રી એસ.કે ઉંધાડ સહિત તલાટી  એસ.એ.રાણા તથા રાઘવ સોનગ્રા ઉપરાંત એચ. એન. ચાવડા, પાર્થ મૈયડ, ડો.જયદીપ ભુંડીયા સહિતનો સ્ટાફ રાઉન્ડ ધ કલોક તેમની ફરજો બજાવી રહ્યા છે.  (ગુજરાત માહીતી બ્યુરો, રાજકોટ)

(2:37 pm IST)