Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

રે કળજુગ !!

છૂટાછેડા લીધેલ માતાના નામનું મકાન વેચી મારવા ૭૦ વર્ષના વયોવૃદ્ધ માતાને પુત્રએ ઢોરમાર માર્યોઃ ચકચાર

પૈસા જોતા હોય તો જા તારા બાપ પાસે, કરોડપતિ છે!!

રાજકોટ તા. રપઃ અમદાવાદના મણીનગરમાં રહેતી ૭૦ વર્ષની વૃધ્ધ માતાને તેનું મકાન વેચીને પૈસાની માંગણી કરી નરાધમ પુત્રએ ઢોર માર માર્યો હતો. આ અંગે વૃધ્ધાએ મણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

 

આ બનાવની વિગત મુજબ મણીનગરમાં કૃષ્ણબાગ મોહનલાલ કરમચંદ ફલેટમાં ઇશ્વરીબહેન તોપનદાસ ચેલારામાણી (૭૦) તેમના પુત્ર પ્રકાશ ચેલારામાણી (પ૦) સાથે રહે છે. ઇશ્વરીબહેનના પંદર વર્ષ અગાઉ પતિ સાથે છુટાછેડા થઇ ગયા હતા. પ્રકાશ છુટક ફિનાઇલ એસિડ વેચવાનું કામ કરે છે. ઇશ્વરીબહેન જયાં રહે તે મકાન તેમના નામે છે અને પુત્ર પ્રકાશ અવારનવાર તેના પિતાની ચઢામણીથી માતા પાસે મકાનની માંગણી કરી ઝઘડો કરતો હતો.

રર ઓગષ્ટના રોજ પ્રકાશે એકદમ ઉશ્કેરાઇ જઇને ઇશ્વરીબહેનને બિભત્સ ગાળો બોલીને મકાન વેચી નાંખી તાત્કાલિક પૈસા આપી દેવા જણાવ્યું હતું. ઇશ્વરીબહેને તારા પપ્પા કરોડપતિ છે. જા તેમની પાસેથી પૈસા લઇ લે એમ કહેતા તે વધારે ઉશ્કેરાયો હતો. બાદમાં પ્રકાશે પ્લાસ્ટીકની લાકડીથી ઇશ્વરીબહેનના માથામાં અને પગમાં આડેધડ માર માર્યો હતો. પ્રકાશે મકાન વેચી પૈસા નહીં આપે તો જાનથી ખલાસ કરી નાંખીશ, એવી ધમકી માતાને આપી હતી.

ગભરાયેલા ઇશ્વરીબહેન તાત્કાલિક મણીનગર પોલીસ સ્ટેશન ગયા હતા અને પોલીસ સાથે ઘરે આવ્યા હતા. જો કે પ્રકાશ ચાલ્યો ગયો હતો. મણીનગર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. (૭.ર૯)

(3:44 pm IST)