Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

બાઇક ચાલક અકસ્માત સર્જી ભાગી ગયોઃ રિક્ષા ઉંધી વળતાં બાળકીનું મોતઃ માસુમ ભાઇને ઇજા

જામનગર રોડ એરપોર્ટ બગીચા સામે બપોરે બનાવ : માધાપર ચોકડીએ રહેતો રિક્ષાચાલક યુવાન અશોક પરમાર પત્નિ શિલ્પા અને બે સંતાનને રિક્ષામાં બેસાડી બજારમાં ખરીદી કરવા માટે આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં બનાવ

અકસ્માતમાં ઘાયલ બંને સંતાનને લોહીલુહાણ હાલતમાં માતા-પિતાએ હોસ્પિટલમાં ખસેડતાં તબિબોએ તુરત સારવાર આપવાનું શરૂ કર્યુ હતું. પરંતુ બાળકીનું મોત નિપજ્યું હતું

રાજકોટ તા. ૨૪: જામનગર રોડ પર એરપોર્ટના બગીચા સામે બપોરે એક રિક્ષા સાથે અકસ્માત સર્જી બાઇક ચાલક ભાગી જતાં રિક્ષા ઉંધી વળી જતાં ચાલક, તેના પત્નિ અને માસુમ પુત્ર-પુત્રીને ઇજા થતાં ચારેય સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતાં. અહિ અઢી વર્ષની દિકરીનું મોત નિપજ્યાનું જાહેર થતાં કલ્પાંત સર્જાયો હતો. માધાપર ચોકડીએ રહેતો યુવાન પત્નિ-સંતાનોને રિક્ષામાં બેસાડી બજારમાં આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં બનાવ બન્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ માધાપર ચોકડી દ્વારકાધીશ પેટ્રોલ પંપ સામે મફતીયાપરામાં રહેતો અશોક કનુભાઇ પરમાર (વાલ્મિકી) (ઉ.૨૮) નામનો રિક્ષા ચાલક યુવાન બપોરે પોતાની રિક્ષામાં પત્નિ શિલ્પા પરમાર (ઉ.૨૫) તથા બે સંતાન પુત્ર નિશીથ (ઉ.૧) અને પુત્રી કિર્તી (ઉ.૨ાા)ને બેસાડી ઘરેથી જ્યુબીલી બજાર તરફ આવી રહ્યો હતો. રસ્તામાં જામનગર રોડ એરપોર્ટની દિવાલ પાસે આવેલા બગીચા સામે પહોંચ્યો ત્યારે એક બાઇક ચાલક રિક્ષા સાથે અથડાતાં રિક્ષા ઉંધી વળી ગઇ હતી.

આ અકસ્માતમાં અશોક તથા તેના પત્નિને સામાન્ય ઇજા થઇ હતી. જ્યારે પુત્રી કિર્તી અને પુત્ર નિશીથને વધુ ઇજા પહોંચી હોઇ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જો કે સારવાર દરમિયાન માસુમ દિકરી કિર્તીનું મૃત્યુ નિપજતાં દંપતિમાં કલ્પાંત સર્જાયો હતો.

(3:34 pm IST)