Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

મારૂતિ પાર્કમાં જ્યોત્સનાબેન વાઢીયાએ ગળાફાંસો ખાઇ જિંદગીનો અંત આણ્યો

પતિ બહારથી આવ્યા ત્યારે દરવાજો બંધ હતો, બીજી ચાવીથી ખોલતાં પત્નિ લટકતા દેખાયા : માનસિક બિમારીથી કંટાળીને પગલું: સુતાર પરિવારમાં શોક : હવે મારો સમય થઇ ગયો છે...તેવું રટણ કરી દવા લેવાનું પણ બંધ કરી દીધું હતું

રાજકોટ તા. ૨૩: સત્ય સાઇ હાર્ટ હોસ્પિટલ રોડ પર મારૂતિ પાર્ક-૫માં ભીમાણી સ્કૂલની સામેની શેરીમાં રહેતાં જ્યોત્સનાબેન જયેશભાઇ વાઢીયા (ઉ.વ.૫૦) નામના વૈશ સુતાર મહિલાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.  માનસિક બિમારીથી કંટાળી જઇ આ પગલુ ભર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.

બનાવની જાણ ૧૦૮ના ઇએમટી દિવ્યાબેને કરતાં કન્ટ્રોલ ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ ઝાલાએ તાલુકા પોલીસને જાણ કરતાં એએસઆઇ એ. એમ. જાડેજા અને રિતેશભાઇ પટેલે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ જ્યોત્સનાબેનને માનસિક બિમારી હોઇ તેની દવા ચાલુ હતી. કેટલાક દિવસથી તો આ દવા પીવાનું પણ બંધ કરી દીધું હતું અને હવે મારો સમય થઇ ગયો છે...તેવું રટણ ચાલુ કર્યુ હતું.

ગત સાંજે પતિ જયેશભાઇ બહાર હતાં. તેઓ ઘરે આવ્યા ત્યારે દરવાજો ખખડાવવા છતાં નહિ ખોલાતાં પોતાની પાસેની બીજી ચાવીથી ઇન્ટરલોક ખોલીને અંદર જતાં પત્નિએ ફાંસો ખાઇ લીધાની જાણ થતાં હેબતાઇ ગયા હતાં. ૧૦૮ બોલાવી હતી પણ તેના તબિબે તેમને નિષ્પ્રાણ જાહેર કર્યા હતાં. મૃત્યુ પામનારને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ બાંધકામનો વ્યવસાય ધરાવે છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

(1:23 pm IST)