Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

હું દેશભરમાં ફરતો નથી એટલે મને દેશ આખાની સ્થિતિનો ખ્યાલ ન હોય : મારા આર્શીવાદ નરેન્દ્રભાઈ ઉપર હંમેશા છે : કેશુબાપા

રાજકોટ : રાજયના પૂર્વ મુખ્યમંત્રી અને પીઢ નેતા શ્રી કેશુભાઈ પટેલે આજે રાજકોટ ખાતે મતદાન કરી લોકશાહી પર્વ ઉજવ્યો હતો. એરપોર્ટ નજીક આવેલ મતદાન કેન્દ્રમાં મતદાન કરી બહાર નીકળતા કેશુબાપાને ટીવી ચેનલના પત્રકારોએ પ્રશ્ન પૂછયો કે, દેશમાં શું માહોલ ચાલી રહ્યો છે? તેના જવાબમાં તેમણે જણાવેલ કે હું દેશમાં ફરતો નથી એટલે મને ખબર ન હોય. અન્ય એક પ્રશ્નના જવાબમાં કેશુબાપાએ જણાવેલ કે, હું અને નરેન્દ્રભાઈ દોઢ બે મહિના પૂર્વે જ એક કાર્યક્રમમાં મળ્યા હતા. જેમાં મેં તેમને આર્શીવાદ આપ્યા હતા. મારા આર્શીવાદ તેમના ઉપર હંમેશા હોય જ. કેશુબાપાએ જણાવેલ કે હું આમ તો ગાંધીનગર રહું છું પણ મારો લગાવ હંમેશ રાજકોટ - સૌરાષ્ટ્ર સાથે રહ્યો છે એટલે પ્રત્યેક ચૂંટણીમાં હું રાજકોટ આવીને જ મતદાન કરૂ છું અને મારૂ નિવાસસ્થાન પણ રાજકોટમાં જ રાખ્યુ છે. ઉકત તસ્વીરોમાં મતદાન કરી વ્હીલચેર ઉપર બહાર નીકળી રહેલા કેશુભાઈ પટેલ સાથે ધનસુખભાઈ ભંડેરી, જયમીન ઠાકર અને મનીષભાઈ રાડીયા તેમજ કમલેશભાઈ મિરાણી સહિતના આગેવાનો - કાર્યકરો નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:14 pm IST)